હનુમાન બેનીવાલ રાજસ્થાનમાં ભાજપના સહયોગી પક્ષ રાલોપાના સાસંદ છે, વસુંધરાના વિરોધી કહેવાય છે
જયપુર: રાજસ્થાનમાં ભાજપના
સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (રાલોપા)ના સાંસદ હનુમાન બેનીવાલે
વસુંધરા રાજે પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે વસુંધરા રાજેએ
રાજસ્થાન કોંગ્રેસમાં તેમના નજીકના ધારાસભ્યોને ફોન કરીને ગેહલોતનો સાથ આપવા માટે
કહ્યું છે. સીકર તેમજ નાગૌર જિલ્લાના એક એક જાટ ધારાસભ્યો સાથે રાજેએ પોતે વાત
કરીને પાયલટથી દૂર રહેવા કહ્યું છે. બેનીવાલ કહ્યું છે કે આ બાબતના તેમની પાસે
પુરાવા છે.
રાજકીય જાણકારો કહે છે કે
બેનીવાલ અમિત શાહની નજીક છે. તેઓ વસુંધરા રાજેના વિરોધી માનવામા આવે છે. તે સિવાય
રાજસ્થાનમાં સાત દિવસોથી ચાલી રહેલા રાજકીય ડ્રામા અંગે વસુંધરા રાજેએ કોઇ ટિપ્પણી
કરી નથી. જયપુરમાં બે વખત ભાજપે બેઠક રાખી તેમાં પણ વસુંધરા સામેલ થયા ન હતાં.
અશોક ગેહલોત અને વસુંધરા રાજેના ગઠબંધન અંગે ટ્વિટર પર ચર્ચાઓ શરૂ થઇ હતી.
બેનીવાલ ભાજપમાં રાજકારણની
શરૂઆત કરી હતી
બેનીવાલ
અત્યારે રાજસ્થાનના નાગૌર સીટથી સાંસદ છે. તેમણે ભાજપમાં જોડાઇને રાજકારણમાં પગ
માંડ્યો હતો. 2008માં બેનીવાલ પહેલી વખત
ભાજપની ટિકીટ પર ચૂંટણી જીતને વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારબાદ 2013માં તેમણે અપક્ષ ચૂંટણી
લડી હતી. 2018માં તેમણે રાષ્ટ્રીય
લોકતાંત્રિક પાર્ટીનું ગઠન કર્યું. તેઓ નાગૌરના બારાંગાંવના રહેવાસી છે.
રાજસ્થાનના જાટ સમુદાયમાં તેમની મજબૂત પકડ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં
તેમની પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.