• Home
  • News
  • વરાછામાં ફરી નીકળ્યો કાદવ, બે દિવસ થયા, પણ સમસ્યા ઠેરની ઠેર, મેટ્રો દ્વારા અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી અટકાવી દેવાઈ
post

વિઠ્ઠલનગર સોસાયટીની જે ઘટના બની છે એને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 17:36:57

સુરત: સુરતમાં બે દિવસ પહેલાં વરાછાની વિઠ્ઠલનગર સોસાયટીમાં મેટ્રોની કામગીરીને લઈને કાદવનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. કાદવને કારણે બે ઘર પણ સીલ કરી દેવામાં આવ્યાં છે. છેલ્લા બે દિવસથી મેટ્રો દ્વારા અહીં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ફરી આજ સોસાયટીમાં કાદવ નીકળ્યો છે, જેને પગલે મેટ્રો દ્વારા અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી પણ અટકાવવામાં આવી છે.

કાદવના કારણે 50થી વધુ લોકો પ્રભાવિત
સુરતમાં વરાછા વિસ્તારની વિઠ્ઠલનગર સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બોરિંગ મશીનથી ચાલી રહેલા ખોદકામ દરમિયાન વર્ષો જૂનો એક બોર તૂટી જતાં જમીનમાંથી જ્વાળામુખીની જેમ મોટા પ્રમાણમાં કાદવ સોસાયટીમાં ફૂટી નીકળી ફેલાઈ ગયો હતો. 4 મકાનમાં વોશબેઝિન, લિવિંગરૂમ, ડ્રેનેજ-પાણી સહિતની લાઇનમાંથી પ્રેશર સાથે કાદ‌વ નીકળ્યો હતો, જેમાં 2 મકાનનું ફ્લોરિંગ ઊંચકાઈ જતાં મોટું નુકસાન થતાં શિફટિંગની નોબત આવી છે. આ ઘટનાથી અંદાજે 50થી વધુ લોકો પ્રભાવિત થયા છે. મેટ્રોના અધિકારીઓએ અસરગ્રસ્તોને શિફ્ટ કરી હોટલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી.

ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સોસાયટીની પાસે મેટ્રોની કામગીરી થઈ રહી છે અને મેટ્રોની કામગીરીને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘટના બાદ મનપા અને મેટ્રોના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ સમગ્ર મામલે મેટ્રો અને મનપાની અધિકારીઓની ટીમે આ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે બે દિવસે પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આજે ફરી કાદવ નીકળ્યો હતો.

મેટ્રો પ્રોજેક્ટની ટેક્નિકલ ટીમ દ્વારા ફોલ્ટ શોધવાની કવાયત
મેટ્રો પ્રોજેક્ટની ટેક્નિકલ ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી વિઠ્ઠલનગર સોસાયટીમાં તપાસ કરવામાં આવી રહી છે. બે મકાનોને સીલ કરીને આ સમસ્યાનું કારણ શોધવાની કવાયત ચાલી રહી છે. જોકે હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. એને લઈને મેટ્રો દ્વારા ટનલની કામગીરી પણ અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા બે દિવસથી અસરગ્રસ્ત લોકો હોટલમાં
વિઠ્ઠલનગર સોસાયટીની જે ઘટના બની છે એને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી અસરગ્રસ્ત લોકો હોટલમાં રહે છે. મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા આજે ફરી એક વખત વિઠ્ઠલનગર સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓએ કયા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે એ અંગે પણ તપાસ શરૂ કરી છે. કામગીરી માટે આ પ્રકારની ટેક્નિકલ ખામી ઊભી થઈ રહી છે, એનો રિપોર્ટ તૈયાર કરાયો છે.

મેટ્રોના અધિકારીઓની ચહલપહલ યથાવત્
છેલ્લા બે દિવસથી સતત અધિકારીઓ વિઠ્ઠલનગર સોસાયટીમાં ધામો નાખીને બેઠા છે. મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ સુધી રિપોર્ટ માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સોસાયટીની સતત અધિકારીઓ મુલાકાત લઇ રહ્યા છે, પરંતુ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, હજી સુધી કાદવ બહાર આવવા પાછળનું કારણ બહાર આવ્યું નથી અને એને કેવી રીતે રોકી શકાય એ અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

અધિકારીઓ માટે પણ નવો જ ટેક્નિકલ મુદ્દો
મેટ્રોની કામગીરી દરમિયાન આ પ્રકારની સ્થિતિ અત્યાર સુધી ઊભી થઈ ન હોવાથી અધિકારીઓ માટે પણ નવો જ ટેક્નિકલ મુદ્દો ઊભો થયો છે. અધિકારીઓ માટે પણ હવે મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અત્યારે જે ઘરોમાં મુશ્કેલી ઊભી થઈ છે એ વધીને અન્ય ઘરો સુધી પણ પહોંચી ગઈ છે કે કેમ એને લઈને ચર્ચા ચાલી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post