• Home
  • News
  • ગુજરાતમાં હત્યા અને ઓસ્ટ્રેલિયામાં ડ્રગ ટ્રાફિકિંગ, આ રીતે થયો ભારતીય દંપતીના સામ્રાજ્યનો વિનાશ
post

કોકેનની દાણચોરીથી કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-31 18:53:18

લંડનમાં રહેતા ભારતીય મૂળના દંપતી (Indian origin couple)ને ઈંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયામાં રૂપિયા 600 કરોડના ડ્રગની દાણચોરી (smuggling drugs) માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ દંપતી પર ગુજરાતમાં ડબલ મર્ડરનો પણ આરોપ છે. ભારતની તમામ વિનંતીઓ છતાં, બ્રિટિશ અદાલતોએ તેમને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. હવે સોમવારે તેઓ લંડનથી સિડનીની કોમર્શિયલ ફ્લાઈટ મારફતે કોકેનની દાણચોરી માટે દોષિત સાબિત થયા છે.

દંપતીએ ફ્લાઈટ મારફતે કોકેન ઓસ્ટ્રેલિયા મોકલ્યું હતું

નૈરોબી (Nairobi)માં જન્મેલી 59 વર્ષીય બ્રિટિશ ભારતીય આરતી ધીર (Aarti Dhir) પંજાબના ગુરદાસપુરની છે. મહિલાનો 35 વર્ષીય પતિ કવલજીત સિંહ રાયજાદા (Kawaljit Singh Raijada) ગુજરાતના કેશોદનો વતની છે અને તે ભારતીય નાગરિક છે. હાલ બંને હેનવેલ, ઈંગ્લેન્ડ (Henwell, England)માં રહે છે. બંનેને ઓસ્ટ્રેલિયામાં 514 કિલોગ્રામ કોકેન મોકલવા માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. નેશનલ ક્રાઈમ એજન્સી (NCA)ની તપાસમાં જાણવા મળ્યું છે કે દંપતીએ કંપનીના નામે મેટલ ટૂલબોક્સના કવરમાં સંતાડીને ફ્લાઈટ મારફતે કોકેન ઓસ્ટ્રેલિયા મોકલ્યું હતું. મે 2021માં કોકેન સિડની પહોંચ્યું હતું. આ પછી ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે તપાસ શરૂ કરતાં આ મોટા કૌભાંડ પાછળ આ દંપતીનો હાથ હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીઓને ખબર પડી હતી કે આ કન્સાઈનમેન્ટ આરતી ધીર અને કવલજીત રાયજાદા પાસેથી આવ્યું છે.

કેસમાં તપાસ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા

આ કેસમાં અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરાતાં રાયજાદાના ફિંગરપ્રિન્ટ્સ પ્લાસ્ટિક રેપિંગ પર મળી આવ્યા હતા. આ ઉપરાંત જે ટૂલબોક્સમાં કોકેન સંતાડવામાં આવ્યું હતું તેની રસીદો દંપતીના ઘરમાંથી મળી આવી હતી. ધીર અને રાયઝાદા બંને લંડનના હીથ્રોમાં એક ફ્લાઇટ સર્વિસ કંપનીમાં કામ કરતા હતા. જેનો ફાયદો ઉઠાવીને તેઓએ પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપ્યો હતો. આ કપલની ધરપકડ પછી, તપાસ અધિકારીઓને તેના ઘરમાંથી લાખો પાઉન્ડ રોકડ અને સોનાનો ઢોળ ચડાવેલી ચાંદીની લગડીઓ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે  ડ્રગની દાણચોરીના એકમાત્ર હેતુ માટે તેણે જૂન 2015માં વાઈફલાય ફ્રેઈટ સર્વિસીસ નામની એક ફ્રન્ટ કંપનીની સ્થાપના કરી હતી. બંને આરોપીઓ કંપનીની સ્થાપના થઈ ત્યારથી અલગ-અલગ સમયે તેના ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

ડ્રગ એક્સપોર્ટ અને મની લોન્ડરિંગના ગુનામાં બંનેને દોષિત ઠેરવવામાં આવ્યા

સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં ડ્રગ એક્સપોર્ટના 12 અને મની લોન્ડરિંગના 18 ગુનામાં બંનેને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જોકે, ધીર અને રાયજાદાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. હવે NCA તેની ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલી મિલકત જપ્ત કરવા તેમની સામે કાર્યવાહી શરૂ કરશે. આ દંપતી ગુજરાતમાં ડબલ મર્ડર કેસમાં પણ દોષિત છે. બેવડી હત્યાના આરોપી દંપતીને ભારતે 2019 માં લંડનથી પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દંપતી પર ગુજરાતમાં 12 વર્ષના અનાથ ગોપાલ સેજાણીની અને બનેવી હરસુખભાઈ છગનભાઈ કરદાનીની હત્યાનો આરોપ છે. નીતીશ મુંડ સાથે મળીને આ દંપતીએ બંનેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરતી ધીરે ગોપાલ સેજાણીને 2015માં દત્તક લીધો હતો. 

દંપતી પર ભાડુતી હત્યારા રાખવા રૂપિયા આપવાનો આરોપ

જૂનાગઢના કેશોદમાં 2017ની 8મી ફેબ્રુઆરીએ દત્તક પુત્ર ગોપાલ અને બનેવી હરસુખભાઈ પર બે નકાબધારી હત્યારાઓએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બંનેનું મોત થયું હતું. ધીર અને રાયજાદા પર ભાડુતી હત્યારા રાખવા મુંડને 5 લાખ રૂપિયા આપવાનો આરોપ છે. 2019ની બીજી જુલાઈએ લંડનની કોર્ટ દ્વારા તેની પ્રત્યાર્પણની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. 


adv

Related News

post
post
post
post
post
post
post