મેયર,ડેપ્યુટી મેયર, પક્ષના નેતા સહિતના પદાધિકારીઓએ રથયાત્રા રૂટ પર રોડ અને જર્જરિત મકાનોનું નિરીક્ષણ કર્યું.
અમદાવાદમાં
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા આગામી 12 જુલાઈના રોજ
યોજાશે કે કેમ તેની મંદિર કે સરકાર તરફથી રથયાત્રા કાઢવા મામલે હજી સુધી કોઈ
જાહેરાત કરી નથી. જો કે રથયાત્રા કાઢવાની જગન્નાથ મંદિર, શહેર પોલીસ
અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેને જોતા રથયાત્રા
ચોક્કસ યોજાશે. આજે જગન્નાથ મંદિરને 120 જેટલા
ખલાસીઓનું લિસ્ટ ખલાસીઓ દ્વારા આપવામાં આવ્યું છે. જેઓ વેકસીનેટેડ હશે. જગન્નાથ
મંદિરની બહાર ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનું જગન્નાથ
મંદિરનું મોટું બેનર લગાવવામાં આવ્યું છે.
રથયાત્રાના
સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું
બેનરમાં ભગવાનશ્રી જગન્નાથની ઐતિહાસિક પારંપરિક 144મી રથયાત્રા 12-07-2021ને સોમવારે.
બેનરમાં સામાજિક અંતર જાળવો અને માસ્ક પહેરો તેવું પણ લખ્યું છે. આજે બુધવારે
સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો એવા મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર
ગીતાબેન પટેલ,
સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ
અને કમિટીના ચેરમેનો દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રોડના પેચવર્ક
તેમજ જર્જરીત મકાનો અંગે તપાસ કરાઇ
રથયાત્રા રૂટ પર મેયર સહિત પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
જેમાં રૂટ પર રોડના પેચવર્ક, જર્જરિત મકાનો વગેરેની તપાસ
કરવામાં આવી હતી. ખાડિયા જેવા વિસ્તારમાં જ્યાં વધુ જર્જરિત મકાનો છે ત્યાં તેમજ
અન્ય જગ્યાએ કોર્પોરેશન દ્વારા ત્રણ વાર રાઉન્ડ લઈ નોટિસ ઉપરાંત રીપેરીંગ કરવામાં
આવ્યા છે. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ
તૈયારીઓ કરવામાં આવી છે. રોડના પેચવર્ક તેમજ જર્જરિત મકાનો અંગે તપાસ કરાઇ છે.
આજે કેબિનેટ
બેઠક બાદ રથયાત્રા કાઢવા નિર્ણય થઈ શકે
રથયાત્રાની મંદિરમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
સમગ્ર મંદિરને લાઈટોની રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. ભક્તો મંદિરમાં પ્રવેશ
કરે તેના માટે બહાર લાઈન માટે બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે. દર વર્ષે જે રીતે
ભક્તોને સવારે અંદર પ્રવેશ આપવામાં આવે છે તે મુજબ જ દર્શન કરવા દેવામાં આવશે તેવી
તૈયારીઓ થઇ રહી છે. શહેર પોલીસ દ્વારા રથયાત્રાને લઈ તડામાર તૈયારી થઈ રહી છે.
રથયાત્રાના બંદોબસ્તમાં અલગ અલગ જિલ્લામાંથી પોલીસફોર્સ બોલાવી લેવામાં આવ્યો છે. તમામ
જિલ્લાની પોલીસ આજથી અમદાવાદ આવી પહોંચી છે અને અલગ અલગ મ્યુનિસિપલ સ્કૂલમાં ઉતારો
આપવામાં આવ્યો છે. અંદાજે 2000થી વધુ પોલીસ અમદાવાદ આવી
પહોંચી છે. આજે કેબિનેટ બેઠક બાદ રથયાત્રા કાઢવા મામલે નિર્ણય જાહેર કરી શકે છે.
રથયાત્રામાં
જોડાવા ગજરાજ નિજ મંદિર પહોંચ્યા
સાથે રથયાત્રામાં આ વખતે ઘણી એક્ટિવિટી પર પ્રતિબંધ
હશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જેમાં અખાડા અને ટ્રકને પરવાનગી નહિ મળે સાથે
સામાન્ય લોકો પણ દૂરથી જ નાથના દર્શન કરી શકશે. આ રથયાત્રામાં સૌપ્રથમ હાથી નીકળે
છે ત્યારબાદ ભગવાનના રથ મંદિર પરિસરની બહાર નગરચર્યાએ નીકળે છે. આ હાથીએ
રથયાત્રામાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે. બાળકોથી માડીને વૃદ્ધો પણ
જ્યારે નાથની નગર ચર્યા દરમિયાન હાથી તેઓના ઘર આગળથી પસાર થાય ત્યારે તેના દર્શન
કરી તેને ફ્રૂટ કે ગોળ જેવી વસ્તુઓ ખવડાવતા હોય છે.