• Home
  • News
  • ગુજરાતમાં ગરબા નહીં થાય:નવરાત્રી, દશેરા, દુર્ગાપૂજા અને દિવાળીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ, નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના થઈ શકશેઃ સરકારની ગાઇડલાઇન્સ
post

કોઈપણ પ્રકારના ગરબા નહીં યોજાય, પણ પેટાચૂંટણીમાં સ્ટાર પ્રચારકોને છૂટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-09 11:43:59

છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં ચર્ચાનો વિષય હતો કે રાજ્ય સરકાર નવરાત્રી યોજવા માટે મંજૂરી આપશે કે નહીં, જોકે આજે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.

દશેરા, દુર્ગાપૂજા, દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ

દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ-નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ-શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વમંજૂરી આવશ્યક છે. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય એના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓનો ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ-સંચાલક, આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય એનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ

·         આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં.

·         એટલે કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.

·         નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય.

·         આ માટે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે.

·         200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.

·         કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.

·         છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.

·         સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.

·         થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાનાં રહેશે.

·         હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.

·         સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

·         65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ હિતાવહ છે.

·         જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.

·         લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકશે.

·         મૃત્યુ બાદની અંતિમક્રિયા - ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિની મર્યાદા રહેશે.

ધાર્મિક તહેવારો પર પ્રતિબંધ, ચૂંટણી પ્રચારને છૂટ!
કોરોના સંક્રમણના કારણે એકતરફ સરકાર નવરાત્રી, દશેરા, દુર્ગા પૂજા અને દિવાળી જેવા ધાર્મિક તહેવારોના આયોજન પર પ્રતિબંધ મૂકી રહી છે અને એ માટે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી રહી છે. પરંતુ આ તહેવારો દરમિયાન જ રાજ્યમાં વિધનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી જવા થઇ રહી છે. આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે ઉતારશે. કોરોનાના કારણે ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદી શકાતો હોય તો ચૂંટણી પ્રચાર માટે પણ સરકારે આ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવી જોઇએ તેવી ચર્ચા સામાન્ય નાગરિકોમાં થઇ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post