નવસારીના અબ્રામા ગામમાં રહેતી એક યુવતી અને ખેરગામમાં રહેતા બ્રિજેશ પટેલ નામના યુવક વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો
સુરત: નવસારીમાં સાહિસ્તા નામની યુવતીના મોતની ઘટનાને લઈને હવે
ખૂબ ચર્ચા થઈ રહી છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા તેના જ પરિવારના
લોકોએ કરી છે? એને લઈને અનેક તર્કો સામે આવી રહ્યા છે. યુવકે આક્ષેપ કર્યા હતા કે તેની
પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી છે. પાંચ વર્ષ જૂના પ્રેમપ્રકરણને લઈ યુવકે
ન્યાયની માગણી સાથે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી કરી હતી, જેના આધારે પોલીસે
કબ્રસ્તાન પહોંચી કબરમાંથી મૃતદેહ કાઢ્યો અને મૃતદેહનું સુરતની ન્યૂ સિવિલ
હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યું હતું, જેમાં પ્રાથમિક
તારણરૂપે લટકવાને કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગળા પર ફાંસો લીધો હોય S પ્રમાણેનાં નિશાન
મળ્યાં
આજે સવારે 9:00 વાગે સુરત સિવિલ ખાતે ફોરેન્સિક વિભાગની ટીમે પેનલ પીએમ કરતાં જેમાં હકીકત
સામે આવી હતી કે યુવતીના મોત બાબતે ફોરેન્સિક વડા ગણેશ ગોવેકરે માહિતી આપી હતી કે
યુવતીના શરીર પર ઇજાનાં નિશાન મળ્યાં હતાં, સાથે જ ગળા પર ફાંસો
લીધો હોય એ પ્રમાણેનાં નિશાન મળી આવ્યાં હતાં, એને લઇને ડોક્ટરની ટીમે
પ્રાથમિક તારણરૂપે લટકવાને કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવી પીએમની પ્રક્રિયા
પૂર્ણ કરી છે. તો સાથે જ ડોક્ટરોની ટીમ દ્વારા શરીરમાંથી ત્રણ જગ્યાએથી સેમ્પલ
લઈને વધુ તપાસ માટે મોકલ્યાં છે.
આક્ષેપોનો છેદ ઊડ્યો
સુરતના ફોરેન્સિક ટીમે આપેલા તારણથી ગઈકાલે યુવક દ્વારા કરાયેલા આક્ષેપોનું
ખંડન થતું જોવા મળી રહ્યું છે. યુવકે યુવતીના પરિવાર પર લગાવેલા ગંભીર આક્ષેપોનો
આમાં છેદ ઊડી જતો હોય તેવું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું છે. બીજી તરફ યુવતી
દ્વારા મોત પહેલાં લખાયેલી સુસાઇડ નોટમાં યુવક તેને રાખવામાં સક્ષમ ન હોય, જેથી તે હતાશ થઈને
આત્મહત્યા કરતી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ મામલે હવે જિલ્લા પોલીસ શું
કરે છે એના પર સૌકોઈની નજર છે.
શું છે સમગ્ર મામલો?
નવસારીના અબ્રામા ગામમાં રહેતી એક યુવતી અને ખેરગામમાં રહેતા બ્રિજેશ પટેલ
નામના યુવક વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવતી 20 એપ્રિલે તેના ઘરેથી
નીકળી જતા તેનાં પરિવારજનો બ્રિજેશના ઘરે પહોંચ્યાં હતાં. એ સમયે યુવતી પોતાના
ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી ત્યારે યુવતીના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા
અને બ્રિજેશને યુવતીનો એકાએક ફોન આવ્યો અને અને કહ્યું હતું કે, 'તું મને લઈ જા' અને ત્યાર બાદ યુવતીના
પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું કે 'તું તેને લઈ આવ અને
ત્યાર બાદ તલવાડા તળાવ પાસે અમને સોંપી દેજે'.
પોલીસ ફરિયાદ ન કરવા
કહ્યું
યુવતીનો ફોન આવતા બ્રિજેશ વલસાડ ગયો હતો અને ત્યાંથી લાવી તલવાડા ચોકડી પાસે
તેના પરિવારના સભ્યોને સોંપી દીધી હતી. સાદિક નામના વ્યક્તિ દ્વારા યુવતીને પોતાની
કારમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારબાદ યુવતીના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને
પોલીસ ફરિયાદ નહીં કરે તેવું કહીને રવાના કરી દીધો હતો. ત્યારબાદ બીજા દિવસે
બ્રિજેશને જાણવા મળ્યું કે, યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
પરિવારજનો પર
ઓનરકિલિંગનો આક્ષેપ કર્યો
પોતાની પ્રેમિકાના મોતના સમાચાર મળતા બ્રિજેશ પટેલ માનવા તૈયાર ન હતો કે, તેની પ્રેમિકા
આત્મહત્યા કરી લે. જેથી તેને આ મામલાની તપાસ માટે સૌ પ્રથમ સ્થાનિક પોલીસ સમક્ષ
અને ત્યારબાદ સુરત રેન્જ આઈજી સમક્ષ તપાસ કરવાની માગ કરી હતી. બ્રિજેશ પટેલે તેની
પ્રેમિકાનાં પરિવારજનો પર ઓનર કિલિંગનો આક્ષેપ કર્યો છે. પ્રેમિકાના મૃતદેહનું
પોસ્ટમોર્ટમ કર્યા વગર જ દફનવિધિ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મારી મૈયતમાં એને બોલાવજો,
મારું મોઢું બતાવજો'
મૃતક યુવતીની કહેવાતી સુસાઈડ નોટ સામે આવી છે. જેમાં
તેણે લખ્યું છે કે, મમ્મા-પપ્પા સોરી મને માફ કરી દો.પાણ મારી તો કઈ ભૂલ જ નથી. મેં તો ખાલી કોઈથી
મોહબ્બત કરી. બ્રિજેશને કહેજો કે સોરી એને મને કસમ આપીને રોકેલી હતી. પણ મારે
જીવવાથી કંઈ ફાયદો નથી. પપ્પા-મમ્મી ભૂલ તો મારી જ છે. એણે મને કીધું કે, હું તારી સાથે શાદી કરવા તૈયાર
છું. પણ તારું ભવિષ્ય બગડશે. મારા ઘરે તેલ લાવવાના પૈસા નથી. મારી પાસે કોઈ જોબ
નથી. તને લાવીને તારું ભવિષ્ય હું બગાડવાનો નથી. જે દિવસે હું પૈસા કમાતો થઈ જઈશ
તે દિવસે તને છાતી ઠોકીને લઈ જઈશ. મમ્મી હું મરી જાઉં તો અલ્લાહના વાસ્તે એને કંઈ
કરતા નહીં. એને માફ કરી દેજો. એક મારી ઉમ્મીદ છે કે,
મારી મૈયતમાં એને બોલાવજો. મારું મોઢું બતાવજો. પ્લીઝ
મમ્મી-પપ્પા મને માફ કરી દેજો.