શહેરીજનોએ લીધા રાહતના શ્વાસ, ઓખી બાદ નિસર્ગ વાવાઝોડાએ દિશા બદલી
સુરત: અરબી
સમુદ્રમાં સાકાર થયેલા ચક્રવાત નિસર્ગની દિશા બદલાઇ છે. હવે માત્ર મહારાષ્ટ્રના
કાંઠા વિસ્તારમાં જ ચક્રવાત ત્રાટકશે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના
માથેથી ચક્રવાતનું મોટું સંકટ દૂર થતાં શહેરીજનો સાથે તંત્રે રાહતના શ્વાસ લીધા છે.
આજ રોજ બપોરે વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગમાં ત્રાટકશે. સુરત કલેક્ટર ડો. ધવલ
પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ચક્રવાતના કારણે 70થી 90 કિમીની ઝડપે
પવન સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
સાઉથ ગુજરાતથી દૂર
મહારાષ્ટ્રના કોસ્ટલ એરિયા અલીગઢમાં લેન્ડફોલ થવાની શક્યતા
વર્ષ 2017માં ઓખી બાદ નિસર્ગ ચક્રવાતની મોટી ઘાત ટળી છે. નિસર્ગ ચક્રવાતને લઇ દક્ષિણ
ગુજરાતના તિથલ, ડુમસ અને સુવાલીના બીચ બંધ કરી દેવામાં આવ્યા હતા. મોટા હોર્ડિંગ્સ, હાઇમાસ્ટ
ટાવર ઉતારવા સાથે વૃક્ષોના ટ્રિમિંગની મોટાપાયે કામગીરી હાથ ધરાઇ હતી. એટલું જ
નહીં એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો પણ સુરતમાં ઉતારી દેવાઇ હતી. જોકે, ચક્રવાત
સાઉથ ગુજરાતથી દૂર મહારાષ્ટ્રના કોસ્ટલ એરિયા અલીગઢમાં લેન્ડફોલ થવાની શક્યતા છે.
જેથી દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું ટોળાતું સંકટ દૂર થયું છે. ચક્રવાતની સૌથી
વધુ અસર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં આવેલ અલીબાગ, દાપોલી, પેન, થાણે, વસઇમાં જોવા
મળશે. આ વિસ્તારમાં 100થી 120 કિમીની ઝડપે સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતનો ઘેરાવો 250 કિમીનો છે.
સમગ્ર સાઉથ
ગુજરાતમાં ચક્રવાતની ઓછી અસર જોવા મળશે
હવામાન અધિકારી દિલીપ હિંદયાએ જણાવ્યું હતું કે, ચક્રવાતની
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નહિંવત અસર જોવા મળશે. હાલમાં ચક્રવાત
ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલા મહારાષ્ટ્રના કાંઠા વિસ્તાર તરફ લેન્ડફોલ
થશે. જેથી સુરત સાથે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર ઓછી જોવા મળશે. દક્ષિણ
ગુજરાતમાં 35થી 40 કિમી ગતિએ પવન ફૂંકાવવા સાથે વરસાદ પડી શકે છે.
દરિયા કાંઠાના 1672 લોકોને
સલામત સ્થળે ખસેડયા
દક્ષિણ ગુજરાત તરફ આવી રહેલુ નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઇ ગયું છે.
જોકે, વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં 35 કિમીની
ઝડપે પવન ફુંકાવાની શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટર ડો.
ધવલ પટેલ દ્વારા સુરત જિલ્લના દરિયા કાંઠાના 3 કિમીના
વિસ્તારમાં રહેતા લોકોનું સુરક્ષિત સ્થળો પર મોકલી આપ્યા છે. જેમાં મજુરા તાલુકાના
ડુમસ, સુલતાનાબાદ, મગદલ્લા અને ખજોદમાંથી 370 લોકો, ચોર્યાસી
તાલુકાના હજીરા, સુવાલી, દામકા, વાંસવા, અને ઉબેરમાંથી 167, તથા ઓલપાડ તાલુકાના દાંડી, લવાછા, ભગવા, દેલાસા, મોરા, પારડી
ઝાંખરી, કરંજ,માંથી 1135 લોકો મળી કુલ 1672 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ લોકો માટે કુલ 21 આશ્રય
સ્થાનો બનાવવામાં આવ્યા છે.
નિસર્ગ વાવાઝોડાને
લઈને ડીજીવીસીએલે કંટ્રોલ રૂમ શરૂ કરી લાઈનમેન તૈનાત કર્યા
દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહેલું નિસર્ગ વાવાઝોડુ મંગળવારે મુંબઇ તરફ ફંટાઈ
ગયું છે. તેમ છતાં ઝડપી પવન સાથે વરસાદની આગાહીને જોતાં દક્ષિણ ગુજરાતના દરિયાઇ
કાંઠા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને કોઇ મોટી દુઘર્ટના નહીં થાય તે માટે
ડીજીવીસીએલ કંપનીએ મેઇન કંટ્રોલ રૂમની સાથે સુરત, નવસારી, વલસાડ અને
ભરૂચના દરિયાઇ કાંઠા વિસ્તારના તમામ સબ ડિવિઝનને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ઉપરાંત મેઇન કંટ્રોલ રૂમના સાથે સુરત, ભરૂચ અને
વલસાડ સર્કલના કંટ્રોલ રૂમને પણ એલર્ટ કરવામાં આવ્યો છે અને લાઇનમેન સહિતના
સ્ટાફની ગેંગ તૈયાર રાખવામાં આવી છે. કોઇ દુધર્ટના સર્જાય તો તેને પહોંચી વળવા
માટેના તમામ પગલા ભરવાની સાથે જે તે સર્કલમાં જરૂરી મટીરીયલ્સ પણ પહોંચાડી દેવામાં
આવ્યું છે.