નીતીશે ફેબ્રુઆરી 2023માં કહ્યું હતું કે જો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ 2024ની લોકસભા ચૂંટણી એકજૂથ થઈને લડશે તો ભાજપ 100 બેઠકો પણ જીતી શકશે નહીં.
કોલકાતા: 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતા અંગે બિહારના સીએમ નીતીશ
કુમાર તેમના ડેપ્યુટી તેજસ્વી સાથે સોમવારે કોલકાતા પહોંચ્યા હતા. બંને બંગાળનાં
સીએમ મમતા બેનર્જીને મળ્યા હતા. નીતીશે કહ્યું કે વાતચીત સકારાત્મક રહી. મમતાએ
કહ્યું- ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન સાથે જવાનો તેમને કોઈ અહંકાર નથી. હું ઈચ્છું
છું કે આગામી ચૂંટણીમાં ભાજપ હીરોમાંથી ઝીરો બની જાય.
બેઠક બાદ બંને નેતાઓએ
પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નીતીશે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં
તમામ વિપક્ષી પાર્ટીઓનું એક મંચ પર આવવું ખૂબ જ જરૂરી છે. આ માટે વિરોધ પક્ષોએ સાથે
બેસીને રણનીતિ ઘડવી પડશે. મમતાજી સાથે સારી વાતચીત થઈ. અમે ભવિષ્યમાં અન્ય પક્ષોને
સાથે લાવીને વાતચીત કરીશું.
નીતીશ-તેજસ્વી ઉત્તર
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવને પણ મળશે. ત્રણેય નેતાઓની
બેઠક 2024ની લોકસભા ચૂંટણી માટે પણ મહત્ત્વની છે કારણ કે આ ત્રણેય રાજ્યો કેન્દ્રમાં
સરકારની રચનાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. લોકસભાની 80 સીટો યુપીમાંથી, 40 બિહારમાંથી અને 42 બંગાળમાંથી આવે છે.
એટલે કે 545 સભ્યોવાળી લોકસભાની 162 બેઠકો એકલા આ ત્રણ રાજ્યોમાં છે.
મમતાએ કહ્યું- હું
ઈચ્છું છું કે ભાજપ ઝીરો થઈ જાય
મીડિયા સાથે વાત કરતાં મમતાએ કહ્યું- અમે સાથે મળીને આગળ વધીશું. અમારો કોઈ
વ્યક્તિગત અહંકાર નથી, અમે સામૂહિક રીતે સાથે મળીને કામ કરવા માગીએ છીએ. અમે વિરોધ પક્ષોને એક કરવાની
વાત કરી છે.
મેં નીતીશજીને વિનંતી
કરી છે કે જયપ્રકાશજીનું આંદોલન બિહારથી શરૂ થયું હતું તેથી આપણે બિહારમાં
સર્વપક્ષીય બેઠક પણ યોજવી જોઈએ. અમારે બિહારના લોકોને પણ સંદેશ આપવાનો છે કે અમે
બધા સાથે છીએ. મેં પહેલેથી જ કહ્યું છે કે મને આની સામે કોઈ વાંધો નથી, હું ઈચ્છું છું કે ભાજપ
હીરોમાંથી ઝીરો બને.
નીતીશે કહ્યું- મારી
કોઈ અંગત ઈચ્છા નથી
બિહારના સીએમ નીતીશ કુમારે કહ્યું કે મારે મારા માટે કંઈ નથી જોઈતું. અમારી
કોઈ અંગત ઈચ્છા નથી, અમે આખા દેશનાં હિત માટે વિચારીએ છીએ. અત્યારે જે પણ થઈ રહ્યું છે, લોકો આખા દેશનો ઈતિહાસ
બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશ સુરક્ષિત રહે તે માટે અમે ઈચ્છીએ છીએ.
દેશની આઝાદી માટે થયેલી
આટલી મોટી લડાઈ વિશે નવી પેઢીઓને જાણ થવી જોઈએ. લોકો આજ સુધી બધું બદલવા માગે છે.
બધા ભેગા થાય તો દેશ સુરક્ષિત રહેશે. અમે આ માટે જ કામ કરી રહ્યા છીએ. નીતીશ અને
તેજસ્વી આજે લખનઉમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ મળશે.
નીતીશ 12 એપ્રિલે રાહુલ ગાંધીને
મળ્યા હતા
આ પહેલાં 12 એપ્રિલે નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ દિલ્હીમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. બેઠક બાદ નીતીશ કુમારે કહ્યું હતું કે અમારી
વિપક્ષી એકતા પર ચર્ચા થઈ છે. વધુમાં વધુ પક્ષોને સાથે લાવવાનો પ્રયાસ છે. અમે
સકારાત્મક વાતચીત કરી છે.
તે જ દિવસે સાંજે બંને
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. કેજરીવાલે બેઠક બાદ કહ્યું હતું કે
હાલ દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આવે
અને સરકાર બદલે તે જરૂરી છે. અમે નીતીશ કુમાર દ્વારા લેવામાં આવેલી પહેલની સાથે
છીએ.
કેજરીવાલે વધુમાં કહ્યું કે અત્યારે દેશમાં આઝાદી પછી સૌથી ભ્રષ્ટ સરકાર છે.
આપણે બધાએ સાથે મળીને કેન્દ્ર સામે ઊભા રહેવાનું છે. તે જ સમયે, મિટિંગ પછી નીતીશ કુમારે
કહ્યું કે અમારી આખી વાતચીત સમાપ્ત થઈ ગઈ છે. વિપક્ષી એકતા માટે અમે સાથે મળીને
કામ કરીશું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ પક્ષોને એક કરીશું. નીતીશે
ફેબ્રુઆરી 2023માં કહ્યું હતું કે જો
કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ 2024ની લોકસભા ચૂંટણી એકજૂથ થઈને લડશે તો ભાજપ 100
બેઠકો પણ જીતી શકશે નહીં.