તેલંગાણાના મંત્રીએ કહ્યું- અન્ય રાજ્યોમાં 2 કરોડ લોકો ફસાયા છે, બસોમાં નહીં લાવી શકીએ
તિરુવનંતપુરમ: કેરળના મુખ્યમંત્રી પી. વિજયને મીડિયાને કહ્યું છે કે 4 દિવસમાં 3 લાખથી વધુ એનઆરઆઇએ કેરળ પરત ફરવા રાજ્ય સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી એક લાખે પાછા ફરવાનું કારણ નોકરી ગુમાવી હોવાનું જણાવ્યું છે. અન્ય લોકોએ વિઝા પૂરા થવા, જેલમુક્તિ, વાર્ષિક રજાઓ જેવાં કારણ આપ્યાં છે. રજિસ્ટ્રેશન કરાવનારાઓમાં 9561 બાળકો અને 9515 સગર્ભાઓ છે. રાજ્ય સરકારે મૂળ કેરળના હોય તેવા એનઆરઆઇ માટે અલગ વિભાગ બનાવ્યો છે, જેના પોર્ટલ પર એનઆરઆઇ પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે. દરમિયાન, તેલંગાણાના મંત્રી ટી. એસ. યાદવે કહ્યું કે વિવિધ રાજ્યોમાં 2 કરોડથી વધુ લોકો ફસાયા છે. તેમની વાપસી માટે કેન્દ્રની ગાઇડલાઇન્સ ચોક્કસ નથી. તેઓ આટલી ગરમીમાં 3-4 દિવસની મુસાફરી કેવી રીતે કરી શકશે? તેમને બસોમાં તેમના ઘરે ન મોકલી શકાય. સરકારે ટ્રેનો દોડાવવી જોઇએ.
યુપીમાં શંકાસ્પદોને ક્વોરેન્ટાઇન માટે લઇ જતી ટીમ પર હુમલો
ઉત્તરપ્રદેશના
કાનપુરમાં કોરોનાના શંકાસ્પદોને ક્વોરેન્ટાઇન માટે લઇ જતી પોલીસ અને સ્વાસ્થ્ય
વિભાગની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો.
સખત લૉકડાઉન ખતમ થતાં જ કોઇમ્બતુરમાં ભીડ
તમિલનાડુના
કોઇમ્બતુરમાં ગુરુવારે સખત લૉકડાઉન ખતમ થયું. ત્યાર બાદ રસ્તા પર વાહનો, લોકોની
ભીડ ઊમટી. સરકારે જાહેર કર્યું હતું કે જીવનજરૂરી વસ્તુઓ માટે સવારે 6 વાગ્યાથી
સાંજે 5 વાગ્યા સુધી દુકાનો ખૂલશે. સેંકડો લોકો
ખરીદી કરવા નીકળી પડ્યા.