પાર્ટી જ્યારે કહે ત્યારે જ ખબર પડેઃ ભૂપેન્દ્ર પટેલ
ભારતીય જનતા પાર્ટી અને પીએમ નરેન્દ્ર મોદી હંમેશા સરપ્રાઇઝ
આપતા હોય છે. ગઇકાલે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ નીતિન
પટેલ, મનસુખ માંડવિયા સહિત અનેક નામો ચર્ચામાં રહ્યાં હતા. જ્યારે કમલમમાં નવા
મુખ્યમંત્રીના નામની ઘોષણાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં સુધી કોઇને પણ ખબર નહતી
કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર
થશે. મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયા બાદ ભૂપેન્દ્ર પટેલ તૈયાર ન હતા કે કેવા
પ્રશ્ન પૂછાશે અને એટલા માટે જ તેઓ લાક્ષણિક શૈલીમાં જવાબ આપ્યા અને કહ્યું કે મને
કોઇ અણસાર ન હતો, પાર્ટીની એ પદ્ધતિ જ નથી.
બેનના આશીર્વાદ હંમેશાં
રહ્યા છે અને રહેશે
ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા અને અમિત
શાહનો આભાર માનું છું. ગુજરાતના સી આર પાટીલ અને વિજયભાઈની ટીમનો આભાર માનું છું.
આનંદીબેનના આશીર્વાદ હંમેશાં રહ્યાં છે અને રહેશે. ગુજરાતના જે કામો છે. તે અમે
સંગઠન અને સરકાર સાથે મળીને અત્યારસુધી જે સારા કામો થયા છે. છેવાડાના માનવી સુધી
પહોંચવાના પ્રયાસો થઇ રહ્યાં છે. હવે જે કામ બાકી હશે તે અમે નવેસરથી પ્લાન કરી
સંગઠન સાથે બેસી ખૂબ સારી રીતે આગળ વધે તેના માટે પ્રયત્નો કરીશું.
પત્રકાર પરિષદમાં સંવાદ
પ્રશ્નઃ તમને કોઇ અણસાર હતો? અચાનક આ કેવી રીતે થઇ
ગયું?
ભૂપેન્દ્ર પટેલઃ મને કોઇ અણસાર ન હતો, તમને બધાને ખબર પડી જ
ગઇ હશે કે મને અણસાર હતો કે નહીં.
પ્રશ્નઃ તમે કહ્યું
આનંદીબેનના આશીર્વાદ છે અને રહેશે?
ભૂપેન્દ્ર પટેલઃ એ તો એમનેમ પણ ખબર જ છે બધાને. એમા
કોઇ ઇશ્યુ નથી.
પ્રશ્નઃ ગઇકાલે કે
સવારે કોઇ ઇન્ડિકેશન હતા?
ભૂપેન્દ્ર પટેલઃ પાર્ટીની એ પદ્ધતિ જ નથી એટલે
પાર્ટી જ્યારે કહે ત્યારે જ ખબર પડે, કોઇને પણ ત્યારે જ ખબર
પડતી હોય, મને પણ ત્યારેજ ખબર પડી.
પ્રશ્નઃ આવતા વર્ષે
વિધાનસભાની ચૂંટણી છે, આ ચૂંટણીને તમે કેવી રીતે જોવો છો, તમારા જ નેતૃત્વમાં
ભાજપ ચૂંટણી લડશે?
ભૂપેન્દ્ર પટેલઃ ભાજપ એ ચૂંટણીલક્ષી કામ કરવા
ટેવાયેલી પાર્ટી નથી. પક્ષના દરેક કાર્યકર્તા પ્રજા વચ્ચે રહી કામ કરતો રહ્યો છે
અને કરતો રહેવાનો છે.
પ્રશ્નઃ શપથ ક્યારે
લેશો, મળવા ક્યારે જશો?
ભૂપેન્દ્ર પટેલઃ આવતીકાલે શપથ લેવાશે, સાંજે મળવા જઇશું.