માર્ચ મહિનાથી ઓનલાઇન અભ્યાસ કરાવાય છે, પરંતુ 60% વિદ્યાર્થીઓ તો ઓનલાઇન અભ્યાસ કરી શકતા નથી, 40% જ ભણે છે
રાજ્યમાં
કોરોના વાઇરસ મહામારીને પગલે હાલ શૈક્ષણિક કાર્ય બંધ છે. સ્કૂલો ફરીથી કયારે શરૂ
થશે એ અંગે કોઈ નિશ્ચિતતા નથી. આ સંજોગોમાં ચાલુ વર્ષમાં અભ્યાસના અંદાજિત 100 દિવસ બગડી શકે છે, એટલે કે રાજ્યમાં
શિક્ષણના 211
દિવસમાંથી
120 દિવસ જ અભ્યાસ થઈ શકે
છે. જો દિવાળી પછી પણ સ્કૂલો શરૂ ના થઈ તો અભ્યાસના વધુ દિવસો બગડશે, તેથી ઝીરો વર્ષ જાહેર
કરીને આગામી વર્ષે ધો. 1થી 8માં માસ પ્રમોશન આપવાની
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે માગણી કરી છે.
દિવાળી પછી સ્કૂલ શરૂ
થાય તો અભ્યાસ નક્કી કરવો મુશ્કેલ
કોરોનાના
કહેર વચ્ચે માર્ચ મહિનાથી શાળાઓ બંધ થયા બાદ હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ
કરાવાઈ રહ્યો છે. અગાઉ રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રહેશે તેવી જાહેરાત સરકારે
કરી હતી. જોકે દિવાળી પછી પણ સ્કૂલો શરૂ થવા અંગે અસમંજસ છે. માર્ચ મહિનાથી ઓનલાઇન
અભ્યાસ કરાવવામાં આવે છે,
પરંતુ
60% વિદ્યાર્થીઓ તો
ઓનલાઇનમાં અભ્યાસ કરી શકતા નથી, તો 40% બાળકો ઓનલાઇન ભણે છે. જો સ્કૂલો દિવાળી સુધી બંધ રહે
તો વિદ્યાર્થીઓના અભ્યાસના 100થી વધુ દિવસ બગડશે અને અભ્યાસ માટે માત્ર 120 દિવસ જ મળશે. આટલા
દિવસમાં સંપૂર્ણ કોર્સ પૂરો કરી શકાય તેમ નથી. આ સ્થિતિમાં ગુજરાત શિક્ષણ બોર્ડ પણ
અભ્યાસક્રમમાં 50
ટકાથી
વધુ કાપ મૂકવાની તૈયારીમાં લાગ્યું છે. તોપણ જો સ્કૂલો દિવાળી પછી શરૂ થાય એવી
સ્થિતિ સર્જાય તો અભ્યાસક્રમ નક્કી કરવો મુશ્કેલ બની શકે છે.
માસ પ્રમોશન આપવાની માગ
ઓલ
ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ દ્વારા પણ અભ્યાસક્રમમાં ઘટાડાની તરફેણ કરવામાં
આવી છે. વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કોરોનાની વર્તમાન સ્થિતિને જોતાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ
પ્રમોશન આપવાની માગણી કરી છે, જયારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની 3 જ વિષયની પરીક્ષા લેવાની
માગ કરી છે અને ધોરણ 10
અને
12ની બોર્ડની પરીક્ષા
લેવાની હોય તો વાલીઓને ઝડપથી જાણ કરવામાં આવે. હાઈકોર્ટના હુકમના અનુરોધમાં
વાલીમંડળની એવી પણ માગ છે કે સ્કૂલો જ્યારથી બંધ છે અને જ્યારે ચાલુ થશે એ
દરમિયાનની ટ્યૂશન ફીમાં સંપૂર્ણ માફી આપવી જોઈએ.