• Home
  • News
  • લોકડાઉનમાં આંશિક રાહત, રાજ્યના તમામ માર્કેટયાર્ડને આવતીકાલથી પૂન:કાર્યરત કરાશે, ખેડૂતોને નિશ્ચિત સંખ્યામાં બોલાવવા પડશે
post

વેચાણ માટે આવતા ખેડૂતોનું સંપૂર્ણ સેનિટાઇઝીંગ, માસ્કની પૂરતી વ્યવસ્થા કરવા સૂચના

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 08:40:59

અમદાવાદ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 15 એપ્રિલ-2020 બુધવારથી અનાજ માર્કેટ યાર્ડ બજાર સમિતિઓ પૂન: કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન કોરોના વાઈરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતિમાં રાજ્યભરના માર્કેટયાર્ડ-ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ બંધ હતી તે હવે સ્થાનિક પરિસ્થિતિ અને સુદ્રઢ આયોજન અનુસાર ફરી શરૂ કરી દેવાના દિશાનિર્દેશો તેમણે આપ્યા છે. આ માર્કેટયાર્ડબજાર સમિતિઓના સંચાલન અને કામકાજમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને કોરોના વાયરસનું સંક્રમણ  થાય તેની ખાસ તકેદારી રાખવાની પણ સુચનાઓ આપવામાં આવી છે. આ હેતુસર જિલ્લા કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. 

જીવનજરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવા નિર્ણય

આ નિર્ણયની ભૂમિકા આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, લોકડાઉનના સમયગાળામાં રવિ સિઝન બાદ ખેડૂતોને પડી રહેલા ખેત ઉત્પાદનોના કારણે આર્થિક સંકડામણ ભોગવવી પડતી હતી. તદ્દઉપરાંત રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ આ બજાર સમિતિઓ માર્કેટયાર્ડના માધ્યમથી મળતી રહે તેવા હેતુથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રાજ્યના માર્કેટયાર્ડ સંચાલકો સાથે યોજાયેલી બેઠકની ફલશ્રુતિરૂપે મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે. 

તારીખ-વાર મુજબ નિશ્ચિત કરેલી સંખ્યામાં ખેડૂતોને માર્કેટયાર્ડમાં બોલાવવા પડશે
મુખ્યમંત્રીના સચિવે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, જિલ્લાકક્ષાની સમિતિ માર્કેટ શરૂ કરવાના તમામ આયોજનની ખાતરી કર્યાં બાદ તારીખ નક્કી કરીને માર્કેટયાર્ડ ચાલુ કરાવશે. બજાર સમિતિએ ખરીદીની પ્રક્રીયા માટે અગાઉથી જ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ ત્યાર બાદ તારીખ અને વાર મુજબ નિશ્ચિત કરેલી સંખ્યામાં ખેડૂતોને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે બોલાવવાના રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહિ, સંબંધિત બજાર સમિતિ દ્વારા નિયત થયેલા સંખ્યા મુજબના ખેડૂતોની પસંદગી સંપૂર્ણ પારદર્શીતાથી થાય તે પણ સુનિશ્ચિત કરવાની સૂચનાઓ મુખ્યમંત્રીએ આપેલી છે. 

સોશિયલ ડિસ્ટન્સિગ જાળવીને હરાજી કરવાની ગોઠવણ  
અશ્વિની કુમારે આગળ કહ્યું કે,મુખ્યમંત્રીએ બજાર સમિતિઓમાં ખેડૂતોની ભીડભાડ ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય તે માટે બજાર સમિતિઓ પોતાના વિસ્તારની મુખ્ય જણસીઓ આઇડેન્ટીફાય કરીને જે-તે જણસી પ્રમાણે દિવસ, વાર નક્કી કરીને તે જ જણસી ખેડૂતો બજારમાં સમિતિમાં લાવે અને તેનું જાહેર હરાજીથી વેચાણ થાય તેવી ગોઠવણ કરવા પણ દિશાનિર્દેશો આપેલા છે. ખેડૂતોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બાદ નિયત કરેલી તારીખે અને સમયે જ ખેડૂતો પોતાના ઉત્પાદનનું સેમ્પલ લઇને માર્કેટયાર્ડમાં આવે. 

 આ ખેત ઉત્પાદનના ભાવ નક્કી થાય ત્યાર પછી વેપારી ખેડૂતના ખેતર અથવા પરસ્પર સમજૂતિ મુજબ ગોડાઉન અથવા ફેકટરી કે જગ્યા ઉપર તે ખેત ઉત્પાદન પહોચાડે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે. 

વેચાણ માટે આવતા ખેડૂતોનું સંપૂર્ણ સેનિટાઇઝીંગ, માસ્કની પૂરતી વ્યવસ્થા કરવા સૂચના 
જો ખેડૂત પોતાના વાહનમાં ખેત ઉત્પાદન લઇને અનાજ માર્કેટયાર્ડમાં આવે તો તેણે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા પોતાના વાહનમાં જ રહેવું તેમજ વેપારીઓ ક્રમાનુસાર આવી હરાજીથી ઉત્પાદનની ખરીદી કરે તેવી વ્યવસ્થાઓ અપનાવવાની સૂચનાઓ પણ આપી દેવાઇ છે. કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા બજાર સમિતીમાં કામ કરતા વેપારી, કમિશન એજન્ટ, હમાલ, તોલાટ, અન્ય કર્મીઓ તેમજ વેચાણ માટે આવતા ખેડૂતોનું સંપૂર્ણ સેનિટાઇઝીંગ, માસ્ક, ગ્લોવ્ઝ પૂરતી વ્યવસ્થા કરવાની સાથોસાથ દરેક વ્યકિતઓની ડિઝીટલ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ગન થી આરોગ્ય ચકાસણી અવશ્ય કરવાની પણ સ્પષ્ટ સૂચનાઓ માર્કેટયાર્ડ બજાર સમિતિઓને રાજ્ય સરકારે આપી છે. 

આ સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે તેવા માર્કેટયાર્ડ બંધ કરાશે
મુખ્યમંત્રીના સચિવે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જે બજાર સમિતિઓ આ સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે તેવા માર્કેટયાર્ડ બંધ કરાશે. બજાર સમિતિ-માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન બાદ જે સમય-તારીખ-દિવસ તેમને ફાળવવામાં આવે તે જ દિવસે પોતાના ઉત્પાદનના વેચાણ માટે જાય તે પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં તેમના તથા સમાજના વ્યાપક હિતમાં છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post