સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મળ્યા બાદ તરત જ સી આર ગુજરાતમાં પ્રદેશ માળખાની પોતાની ટીમની જાહેરાત કરે તેવી શક્યતા
અમદાવાદ: ગુજરાત
ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ આવતા અઠવાડિયે સૌરાષ્ટ્રના પ્રવાસે જઇ રહ્યા છે.
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ પ્રથમવાર મુખ્યમંત્રી રૂપાણીના ગઢ ગણાતાં
સૌરાષ્ટ્રમાં જઇ ત્યાં જિલ્લે-જિલ્લાના કાર્યકર્તાઓ અને સંગઠનના નેતાઓને મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સી આર અહીંના કેટલાંક આર એસ એસ સાથે સંકળાયેલાં નેતાઓને
પણ મળવાના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાતમ-આઠમના તહેવાર બાદ સપ્તાહના અંતિમ દિવસોમાં પાટીલ
સૌરાષ્ટ્ર પ્રવાસની શરુઆત સોમનાથ મંદિરે દર્શન કરીને કરશે. અહીંથી તેઓ જૂનાગઢ, અને રાજકોટમાં
રોકાશે. આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાના નેતાઓને અલગ-અલગ જૂથમાં
મળશે. જો કે આ મુલાકાત દરમિયાન ખૂબ મોટા ટોળામાં લોકોને મળવાને બદલે પાટીલે ચુનંદા
લોકોને જ મળશે.
સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મળ્યા બાદ તરત જ સી આર ગુજરાતમાં પ્રદેશ માળખાની
પોતાની ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ પ્રવાસના
કાર્યક્રમની ડીટેઇલ્સ બની રહી છે અને તે ખૂબ ઝીણવટભરી બાબતોના વિચાર સાથે તૈયાર
થશે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી ચર્ચા માટે અને સંગઠનની બાબતની ચર્ચા માટે કોને-કોને
મળવું તે અંગેની પણ એક યાદી તૈયાર થઇ રહી છે. સી આર પાટીલે આ જવાબદારી પક્ષના
વરિષ્ઠ નેતા અને ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાને સોંપી છે.