• Home
  • News
  • નવરાત્રિને મંજૂરી નહીં મળે:નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત: મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં, શેરી ગરબાનો નિર્ણય અનલોક-5ની ગાઈડલાઈનના આધારે લેવાશે
post

રાજકોટના સૌથી મોટા સહિયર અને સરગમ ક્લબ ગ્રુપ દ્વારા રાસોત્સવ નહીં યોજાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-01 12:40:12

રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે નવરાત્રીના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે ત્યારે આ વખતે પાર્ટી પ્લોટ કે મોટા આયોજન થતા હોય તેવા ગરબાને મંજૂરી મળે તેવી કોઇ શક્યતા નથી. રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાની સરકારે અગાઉ જ જાહેરાત કરી દીધી છે ત્યારે હવે ગામડા અને શહેરી વિસ્તારોની સોસાયટીઓમાં ધાર્મિક આસ્થા સાથે યોજાતા શહેરી ગરબાને મંજૂરી આપવા અંગે સરકાર કેન્દ્ર સરકારની ગાઇડલાઇનની રાહ જોઇ રહી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમા નથી. ગ્રામ્ય કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે મંજૂરી આપવી તે મુદ્દે સરકારે હાલ કોઈ નિર્ણય કર્યો નથી. ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન આવે અને તેમાં જે છૂટછાટ અપાય તેના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આ વખતે ગરબાનું આયોજન નહીં કરવા અંગે ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે. ડોક્ટરોએ પણ મહામારીના આ સમયમાં મોટા પાયે ગરબા ન કરવા સરકારને સૂચનો કર્યા છે. આ સંજોગોમાં રાજ્યમાં મોટાપાયે ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.

સમય મર્યાદા અને શરતો સાથે શેરી ગરબાને મંજૂરી મળવાની શક્યતા
રાજ્ય સરકાર નવરાત્રીના ધાર્મિક આસ્થા જળવાઇ રહે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં ચોકમાં યોજાતા પરંપરાગત ગરબા અને શહેરી વિસ્તારોમાં સોસાયટીના નાગરિકો દ્વારા યોજાતા શેરી ગરબાને મોટા સમૂહમાં એકત્ર નહીં થવા અને ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવા સહિતની શરતો સાથે મંજૂરી આપવાની વિચારણા કરી રહી છે. માતાજીની માંડવીની સ્થાપના અને પૂજા- આરતીનો મૂળ ભાવ જળવાઇ રહે તે માટે નાના પાયે આયોજન થાય તેવી રીતે મંજૂરી અપાશે.

ચાલુ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રી હવે ઇ-પ્લેટફોર્મ પર યોજવાની વિચારણા
વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ તરીકે રાજ્ય સરકારે વાયબ્રન્ટ નવરાત્રીને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરી છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હજારો ખેલૈયાઓની હાજરીમાં ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે પરંતુ તેને હવે ઇ-પ્લેટફોર્મ મારફતે લોકો નિહાળી શકે તે માટે નવરાત્રીના નવ દિવસ સુધી દરરોજ એક ઐતિહાસિક મંદિર ખાતે ખેલૈયાઓના એક ગૃપ દ્વારા ગરબા રમાય અને તેનું ઓનલાઇન વેબકાસ્ટીંગ થાય તેવું આયોજન પ્રવાસન વિભાગ દ્વારા વિચારાઇ રહ્યું છે. આ માટે અંબાજી, પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં પરંપરાગત રાસ-ગરબાનો કાર્યક્રમ યોજવાનું આયોજન થઇ રહ્યું છે.

મેદાનમાં હજારો લોકો દાંડીયા રાસ રમે તેમાં માસ્કના નિયમનો ભંગ થઈ શકે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોટાપાયે અર્વાચીન દાંડીયારાસમાં જે રીતે હજારો લોકો એક મેદાનમાં એકત્ર થઈને નવરાત્રિ ઉજવણીનો આનંદ માણે છે તેમાં માસ્કના નિયમનો ભંગ થઈ શકે છે. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાશે નહીં, તેથી નિષ્ણાંત તબીબોનો પણ અભિપ્રાય એ છે કે આ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જાય છે અને તેથી નવરાત્રિ આયોજનને મંજૂરી આપવી જોઈએ નહીં. વ્યાવસાયિક ધોરણે દાંડીયારાસને મંજુરી મળવાની કોઈ શકયતા નથી. જો કે શેરી-ગરબીઓ જે યોજાય છે તેના પર હજુ નિર્ણય લેવાયો નથી.

26 સપ્ટેમ્બરે સરકારે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ્દ કર્યો
અગાઉ રાજ્યના તમામ મોટા ગરબા આયોજકો ગરબા રમાડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. દિવ્ય ભાસ્કરે આ સમાચાર 12 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કર્યા હતા. આ પછી જ ચર્ચા શરૂ થઈ હતી કે સરકાર શું નિર્ણય કરે છે? ત્યાર બાદ 26 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને રદ કરાયો છે.

રાજકોટના સૌથી મોટા સહિયર અને સરગમ ક્લબ ગ્રુપ દ્વારા રાસોત્સવ નહીં યોજાય
રાજકોટમાં કોરોના સંક્રમણ વધવાના કારણે તાજેતરમાં જ શહેરના બે અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આ વર્ષે આયોજન રદ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપના સંચાલકો દ્વારા નવરાત્રિ રદની જાહેરાત કરી છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા રદ
સમગ્ર ગુજરાતમાં જેની નામના છે એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી યોજાશે નહીં. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ થોડા દિવસ પહેલા આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી પ્રાથમિકતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post