2014માં નવા લોકાયુક્ત આયોગે કાયદો બનાવ્યો છતાં જૂના કાયદા મુજબ નિમણૂક
ગાંધીનગર: ગુજરાતના લોકાયુક્તનું
પદ દોઢ વર્ષ સુધી ખાલી થયા બાદ આ પદ ઉપર નિવૃત્ત જસ્ટિસ રાજેશ એચ. શુક્લાની નિમણૂક
થઇ છે. મંગળવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજેશ શુક્લાને લોકાયુક્ત તરીકે હોદ્દો
અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શુકલાએ શપથગ્રહણ બાદ લોકાયુક્ત તરીકેને ચાર્જ
સંભાળ્યો છે. આ પહેલાના લોકાયુક્ત નિવૃત્ત જસ્ટિસ ડી.પી. બૂચનો કાર્યકાળ ડિસેમ્બર 2018માં પૂર્ણ થયો હતો. તે
પછી દોઢ વર્ષ સુધી જગ્યા ખાલી રહ્યા બાદ હવે નવા લોકાયુક્તની નિમણૂક થઇ છે. આ
નિમણૂક 1984ના જૂના લોકાયુક્ત એક્ટ
હેઠળ કરવામાં આવી છે.
નવા કાયદા પ્રમાણે ચાર
ઉપલોકાયુક્ત નિમવાની જોગવાઈ
સરકારે
લોકાયુક્ત આયોગ બિલ વિધાનસભામાં 2013માં પસાર કરાયું હતું જેને રાષ્ટ્રપતિએ 2014માં મંજૂરી આપી હતી.
સપ્ટેમ્બર 2014માં ગુજરાત સરકારના
ગેઝેટમાં પણ લોકાયુક્ત આયોગ કાયદો-2013 પ્રસિદ્ધ કરાયો હતો પરંતુ
તેનું નોટિફિકેશન બહાર પાડી, નીતિ-નિયમો ઘડીને અમલમાં લાવવામાં આવ્યો નથી. જેથી
હાલની સ્થિતિએ કાયદો અમલી નથી. નવા કાયદામાં તલાટી- સરપંચથી લઇને મુખ્યમંત્રી, અધિકારીઓ અને જાહેર
સેવકો તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પણ લોકાયુક્તના દાયરામાં આવરી લેવાની
જોગવાઇ કરાઇ છે સાથે લોકાયુક્ત ઉપરાંત ચાર ઉપલોકાયુક્તની નિમણૂકની જોગવાઇ કરવામાં
આવી છે.
જૂના કાયદા પ્રમાણે શું જોગવાઇ
છે?
લોકાયુક્ત
એક્ટ-1986
પ્રમાણે
મુખ્યમંત્રી,
વિધાનસભા
અધ્યક્ષ અને વિરોધપક્ષના નેતા સંકલનમાં રહીને હાઇકોર્ટના ચીફજસ્ટિસ પાસેથી નિવૃત્ત
જસ્ટિસના નામ મંગાવે છે. જે પેનલમાંથી એક નામ ઉપર સર્વસંમતિ સાધીને રાજ્યપાલને
મોકલવામાં આવે છે અને રાજ્યપાલ લોકાયુક્તની નિમણૂક કરે છે. લોકાયુક્તના દાયરામાં
મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સામેની ફરિયાદો, ભ્રષ્ટાચાર અંગેની તપાસ સહિતની બાબતો સમાવિષ્ટ કરાઇ
છે.
નવા કાયદામાં શું જોગવાઇ છે?
લોકાયુક્ત
આયોગ એક્ટ-2013માં લોકાયુક્ત ઉપરાંત
તેમના હસ્તક ચાર ઉપલોકાયુક્તની નિમણૂક કરવાની જોગવાઇ કરાઇ છે. લોકાયુક્તના
દાયરામાં મુખ્યમંત્રી,
મંત્રીમંડળ
ઉપરાંત તલાટી- સરપંચથી લઇને સરકારી અધિકારીઓ, જાહેર સેવકો અને પંચાયત- પાલિકા જેવી સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓને પણ સમાવી લેવાઇ છે. નવા કાયદામાં લોકાયુક્તની વય મર્યાદા પણ
નક્કી કરાઇ છે. નિમણૂકના 5
વર્ષ
અથવા 72 વર્ષની વય બેમાંથી જે
વહેલું હોય તે નિવૃત્તિ ગણાશે