એજન્સીએ કહ્યું- ભારતનું અર્થતંત્ર પાયાગત રીતે મજબૂત વૃદ્ધિની સ્થિતિમાં છે
નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રમાં આવેલા ઘસારાને પગલે વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે ગુરુવારે જાહેર કરેલા તેના રિપોર્ટમાં દેશનું રેટિંગ બીબીબી- જાળવી રાખ્યું છે. એજન્સીએ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર પાયાગત રીતે મજબૂત વૃદ્ધિની સ્થિતિમાં છે. આગામી બેથી ત્રણ વર્ષ દરમિયાન લાંબા ગાળા માટે સુધારાની સંભાવના છે. કોઈપણ દેશનું બીબીબી રેટિંગ તેના નાણાંકીય વચનો પૂરા કરવાની પર્યાપ્ત ક્ષમતા હોવાનું જણાવે છે.
એજન્સીએ કહ્યું છે કે હાલના ત્રિમાસિક ગાળામાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર ઘટાડો છતાં તેમનું માનવું છું કે તેના માળખાકીય વૃદ્ધિમાં અપેક્ષા કરતાં સારો દેખાવ રહ્યો છે. આથી વાસ્તવિક જીડીપી વૃદ્ધિ આગામી બે-ત્રણ વર્ષ દરમિયાન લાંબાગાળાના વલણ સાથે ધીરે ધીરે સુધરશે તેની સંભાવના છે.
2020-21માં વૃદ્ધિદર 6% રહેશે
રેટિંગ એજન્સીનું માનવું છે કે વર્ષ
2020-21માં ભારતનો આર્થિક વૃદ્ધિદર સુધરીને 6 ટકા અને તે પછીના વર્ષે 7 ટકા અને ત્યારપછી 7.4
ટકા સુધી પહોંચી શકે છે. વિશ્વના અન્ય અર્થતંત્ર કરતાં ભારતનું અર્થતંત્ર સુસ્તી છતાં ઝડપથી આગળ વધશે તેવું એજન્સી માની રહી છે. જોકે રાજકોષીય સ્થિતિ અસ્થિર જણાય છે. રાજકોષીય ખાધ વધી છે અને સરકારનો લોનનો બોજો પણ પહેલા કરતા વધ્યો છે.