• Home
  • News
  • 'સલામત સવારી, બસ સ્ટેન્ડ પર જ ભારી':'રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નં.8 પર ઊભી રહેશે'નું એનાઉન્સમેન્ટ પૂરું થયું ને બસ બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં ઘૂસી; 20 લોકો માંડ માંડ બચ્યા
post

અકસ્માતની ઘટના બન્યા બાદ એસટી ડેપો મેનેજરે તપાસ હાથ ધરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-17 18:35:16

ગોંડલ: 'સલામત સવારી એસટી અમારી' આ સ્લોગન તો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું અને વાંચ્યું હશે, પરંતુ આજે આ સ્લોગનથી કંઈક ઊંઘો જ બનાવ ગોંડલ એસટીના બસ સ્ટેન્ડ પર બનવા પામ્યો છે. ઉપલેટાથી રાજકોટ જતી બસ ગોંડલ બસ સ્ટેન્ડમાં અંદર આવે છે અને તરત જ સ્ટેન્ડ પર ઊભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારીમાં ઘૂસી જાય છે. આ ઘટનામાં એકને ઈજા પણ પહોંચી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. એને લઈ પોલીસ અને ડેપો મેનેજરે વધુ તપાસ હાથ ધરી છે.

બસના ડ્રાઈવરે બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં ઘૂસી...
ગોંડલ બસ સ્ટેન્ડ પર રોજની જેમ લોકોની ભીડ જામી હતી. કેટલાક પોતાનાં કામ અર્થે જવા એસટીની રાહ જોઈને ઊભા હતા, તો કેટલાક વેકેશન હોવાથી વેકેશન કરવા જવા અર્થે અથવા અન્ય પોતાના કામ અર્થે બહાર જવા બસની રાહ જોઈને ઊભા હતા. થોડીવાર બાદ પૂછપરછની બારીએથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ઉપલેટાથી રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી રહેશે. એ સૂચના હજુ પૂરી જ થઈ હતી ત્યાં જ ઉપલેટાથી આવતી બસે બસ સ્ટેન્ડમાં ઘૂસતાં એક મોટો વળાંક લીધો અને પોતાની નિર્ધારિત જગ્યાએ, એટલે કે પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી રાખવા બસ વાળી અને ઓચિંતા જ ડ્રાઈવરે બસ ઊભી રાખવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી પૂછપરછની બારીમાં જ ઘૂસાડી દીધી.

એસટી બસ પૂછપરછ બારી સુધી પહોંચી
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ, શહેરમાં બસ સ્ટેન્ડમાં ઉપલેટા-રાજકોટ રૂટની બસમાં બ્રેક ના લાગતાં ગોંડલ બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર 8 પર બસ સ્ટોપ કરવાના બદલે પૂછપરછની બારી સુધી પહોંચી ગઇ હતી. જોકે એસટી બસ સ્ટેન્ડની અંદર ઘૂસતાં મુસાફરોમાં દોડધામ મચી જવા પામી હતી, જેમાં એક 12 વર્ષનો કિશોર ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત ખુશાલ ભરતભાઈ સાદિયા (ઉં.વ.12 હાલ પીપળિયા, મૂળ પોરબદર)ને 108 એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

22 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે, આ પહેલી ઘટના બની
રાજકોટ-ઉપલેટા રૂટના ડ્રાઈવર અતુલભાઈ કે. લુણાગરિયા (રહે. ઉપલેટા)એ જણાવ્યું હતું કે હું 22 વર્ષથી એસટી ડ્રાઇવિંગ કરું છું. એસટી બસમાં બ્રેક ના લાગવાને કારણે આ ઘટના બની હોવાનું જણાવ્યુ છે. જોકે આ સમગ્ર ઘટનાના CCTV સામે આવતાં ડેપો મેનેજર અને પોલીસે તપાસ હાથ ધરી છે. કયા કારણસર ઘટના બની એ તપાસ બાદ બહાર આવશે.

ડ્રાઈવરની બેદરકારીને કારણે આ ઘટના બની
અકસ્માતની ઘટના બન્યા બાદ એસટી ડેપો મેનેજરે તપાસ હાથ ધરી હતી. એ બાદ ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે આ ઘટના બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે બસમાં બ્રેક બરોબર જ છે. કદાચ ડ્રાઈવરની બેદરકારીને કારણે આ ઘટના બની હોઈ શકે. કદાચ ડ્રાઈવર બ્રેક મારી ન શક્યો હોય અથવા તો તેણે બ્રેકની જગ્યા પર લિવર પર પગ મૂકી દીધો હોઈ શકે. એસટી બસમાં બ્રેક અને બધું તો વ્યવસ્થિત જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post