• Home
  • News
  • સતાપર-ઉદેપુર કોઝ-વે પર તણાયેલા ભાઇ-બહેનના મૃત્યુ, 2 લાપતા બાળકીની શોધખોળ
post

પાણીના વહેણમાં લાપતા બનેલી બંને બાળાની પાલિકા અને સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 10:45:29

જામનગર: જામજોધપુર તાલુકાના સતાપર-ઉદેપુર વચ્ચેના માર્ગ પર સ્થિત બેઠા કોઝ વે પરથી સોમવારે બપોરે ઉદેપુરનો યુવાન અને તેના રાણાવાવ ખાતે રહેતા બહેન અને તેની બે બાળકીને પગપાળા બેઠો પુલ ક્રોસ કરાવી રહયો હતો જે વેળાએ પાણીનુ સ્તર વધી જતા ચારેય લોકો વહેણમાં તણાયા હતા જેમાં ભાઇ અને બહેનના મૃતદેહ મળી આવ્યા હતા.જયારે બંને માસુમ બાળકી પાણીમાં લાપતા બનતા તંત્ર દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

મામલતદાર ધર્મેશ કાછડ,સ્થાનિક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ
જામજોધપુર સહિત હાલારભરમાં ભારે અરેરાટી પ્રસરાવનારા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના ઉદેપુર ગામે રહેતા આવળાભાઇ ભોજાભાઇ સિંઘવ(ઉ.વ.28),તેના રાણાવાવ ખાતે રહેતા બહેન મંજુબેન રામાભાઇ (ઉ.વ.30) અને તેની પુત્રી  આનંદીબેન રામાભાઇ (ઉ.વ.10) અને જીનલબેન (ઉ.વ. 03)ને સાથે રાખીને સતાપર-ઉદેપુર માર્ગ પર બેઠા કોઝવે પર પાણી હોવાથી ચારેય સાથે કોઝ વે ઓળંગી રહયા હતા. જે વેળાએ એકાએક પાણીનો પ્રવાહ વધી જતા ચારેય લોકો વહેણમાં તણાઇ ગયા હતા જેના પગલે આજુબાજુમાં રહેલા સ્થાનિકોએ તુરંત દેકારો બોલાવતા ગ્રામજનો સહિતના લોકો સ્થળ પર દોડી ગયા હતા.જયારે મામલતદાર ધર્મેશ કાછડ,સ્થાનિક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.આ ઉપરાંત પાલિકાના ફાયર બ્રીગેડ શાખાના કાફલો અને સ્થાનિક તરવૈયાઓની શોધખોળ દરમીયાન આવળાભાઇ અને તેના બહેન મંજુબેનનનો મૃતદેહ મળી આવ્યા હતા. જોકે,બંને માસુમ બાળકીઓ પાણીમાં તણાઇને લાપતા બનતા તંત્ર દ્વારા બંને લાપતાની મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ રખાઇ છે.મૃતક યુવાન તેના રાણાવાવ સ્થિત બેન અને ત્રણ માસુમ ભાણેજને બાઇક પર લાવીને ઉદેપુર તરફ જઇ રહયો હતો જે વેળાએ કોઝ વે પર પાણી ફરી વળતા જળર્દુધટના સર્જાઇ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.

મૃતક મહિલાના એક બાળકનો આબાદ બચાવ
બાઇકસવાર યુવાન તેના બહેનના પરીવાર સાથે કોઝ વે પર પસાર થઇ રહયો હતો જે વેળાએ ઉપરવાસમાં વરસાદના કારણે પાણી જોવા મળતા એક આઠ વર્ષીય ભાણેજને ભોગગ્રસ્ત અગાઉ પગપાળા સામા કાંઠે મુકી આવ્યા હતો જે બાદ બેન અને અન્ય બે ભાણેજને કોઝ વે ઓળંગાવી રહયો હતો ત્યારે ગોઝારી જળર્દુઘટના સર્જાઇ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.

સાસરે રાણાવાવ જતી મહિલાએ જીવ ગુમાવ્યો
પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં વાડી વિસ્તારમાં રહેતા મૃતક મહિલા તેના પિયર ઉદેપુરથી સાસરે રાણાવાવ જઇ રહયા હતા જેને સતાપર તરફ મુકવા માટે મૃતક ભાઇ જઇ રહયો હતો ત્યારે વોંકળા પરના બેઠા કોઝ વે પર પસાર થતા માર્ગ પર  નડેલી ર્દુઘટનામાં ભાઇ અને બહેનએ જીવ ગુમાવ્યા હતા.જયારે સતાપર પંથક આજુબાજુના ડુંગરાળ વિસ્તારમાં વરસાદના કારણે બેઠા પુલમાં પાણીનુ પુર આવ્યુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.પિયરથી સાસરે જતી મહિલા અને બહેન તથા ભાણેજોને મુકવા જતા યુવકે માર્ગમાં જીવ ગુમાવ્યાના બનાવના પગલે ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post