• Home
  • News
  • રાજ્યમાં 7 મેના રોજ તલાટીની પરીક્ષા:ગુજરાતમાં 4500થી વધુ એસટી બસ દોડશે, ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી લેવા અપીલ; અમદાવાદમાં 24 કલાક કંટ્રોલરૂમ શરૂ
post

તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને એસટી બસ મળી રહે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-29 19:37:16

અમદાવાદ: ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આગામી 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા માટે 4 હજારથી વધુ બસો ઉમેદવારો માટે મૂકવામાં આવશે. શહેરના તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને કેન્દ્રના શહેર સુધી પહોંચાડી શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. 60 ટકા જેટલી બસો પરીક્ષા માટે ફાળવવામાં આવશે. વેકેશન હોવાથી બસમાં મુસાફરોની અવરજવર વધુ હોય છે. જેથી ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી દે જેથી પરીક્ષાના દિવસે કોઈ તકલીફ ન પડે.

આ વખતે 4 હજારથી વધુ બસો મૂકવાનું આયોજનઃ એમ.એ. ગાંધી
આ અંગે ગુજરાત ST નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ.એ. ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. તેવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગત વખતે 3500 જેટલી બસો મૂકવામાં આવી હતી, પરંતુ આ વખતે 8.50 લાખ ઉમેદવારો નોંધાયો છે. જેથી અંદાજે બે લાખ જેટલા ઉમેદવારો એસટી બસનો ઉપયોગ કરશે તેવી શક્યતાઓના પગલે આ વખતે 4,500 જેટલી બસો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને એસટી બસ મળી રહે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ઉમેદવારોને એડવાન્સ બુકિંગ કરવા અપીલ
તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવાની છે તે સમયગાળો વેકેશનનો પણ છે. જેથી એસટી બસમાં મુસાફરોની અવરજવર વધુ હોય છે. જેને ધ્યાનમાં રાખી અને બસો મૂકવામાં આવનાર છે. ઉમેદવારોને અમે અપીલ કરીએ છીએ કે, તેઓ જો એસટી બસમાં મુસાફરી કરવાના હોય તો તેઓ એડવાન્સ બુકિંગ કરાવી લે, જેથી તેઓને કોઈ તકલીફ ન પડે. ગુજરાત એસટી નિગમ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ પણ અમદાવાદ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે થઈ અને પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે આશા પૂર્ણ થાય ત્યારબાદ ઉમેદવારો ઘરે પરત ફરતા હોય છે, ત્યારે ભીડ થતી હોય છે. જેથી તમામ એસ.ટી બસ સ્ટેન્ડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ જાણ કરી દેવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post