• Home
  • News
  • ખેડૂત નેતાએ કહ્યું- અમને ખબર છે, થવાનું કશું નથી; સરકારને ઉઘાડી પાડવા માટે બેઠકમાં જઈશું
post

અમે 2024 મે સુધી આ આંદોલનને ચલાવીશું, જ્યાં સુધી આ સરકારનો કાર્યકાળ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી.'

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 12:08:42

ગત શુક્રવારે ખેડૂતોની સરકાર સાથેની વાતચીત ફરી એક વખત નિષ્ફળ રહી હતી. હવે 15 જાન્યુઆરીએ ખેડૂતનેતા 9મી વખત કેન્દ્રીય મંત્રીઓને મળશે, પરંતુ આ બેઠકને લઈને પણ ખેડૂતનેતાઓમાં કોઈ ઉત્સાહ નથી અને લગભગ તમામ ખેડૂતનેતાઓ એવું માની રહ્યા છે કે આગામી બેઠક પણ નિષ્ફળ જ રહેશે.

આવી સ્થિતિમાં આ સવાલ ઉઠાવવો સ્વાભાવિક છે કે ખેડૂતનેતાઓને જ્યારે આ બેઠકોમાંથી સમાધાનની કોઈ આશા નથી તો તેઓ એમાં સામેલ શા માટે થઈ રહ્યા છે? આ પ્રશ્ન પર ખેડૂતનેતા જોગીન્દર સિંહ ઉગ્રાહાં કહે છે, "શહીદ ભગતસિંહને પણ આવા જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે જ્યારે તમને કોર્ટ પાસેથી ન્યાય મળે એવી કોઈ આશા નથી તો પછી તમે દર તારીખે કોર્ટમાં કેમ જઇ રહ્યા છો, ત્યારે ભગતસિંહ જવાબ આપતા હતા કે અમે કોર્ટ એટલા માટે જઈ રહ્યા છીએ જેથી આખા દેશને જનતા સુધી અમારો અવાજ પહોંચી શકે. અમે પણ આ બેઠકોમાં એટલા માટે જ જઈ રહ્યા છીએ. "

આ બેઠકો નિષ્ફળ જવા પાછળ સરકારને જવાબદાર ગણાવતાં ઉગ્રાહાં કહે છે, 'વાતચીત અમારા કારણે નહીં, પણ સરકારને કારણે નિષ્ફળ થઈ રહી છે. અમારી માગ તો સીધી જ છે કે ત્રણેય કાયદાને રદ કરવામાં આવે, એના વગર અમે પરત નહીં જઈએ. અમે સરકારને આ અંગે ઘણી વાર જણાવ્યું છે, પરંતુ છતાં પણ તે અમને દર વખતે બોલાવે છે અને આ માગને સ્વીકારતી નથી. તેઓ આગલી વખતે પણ એ જ કરશે, પરંતુ અમે હજી પણ બેઠકમાં ભાગ લઈશું, જેથી સરકારને ઉઘાડી પાડી શકીએ.'

ખેડૂતનેતા ગુરનામસિંહ ચઢુની પણ માને છે કે સરકાર સાથે થઈ રહેલી આ વાતચીત કોઈ સમાધાન શોધી રહી નથી અને 15 જાન્યુઆરીએ થનારી વાતચીત પણ સંપૂર્ણ રીતે નિષ્ફળ થવાની છે. એ છતાં તેઓ બેઠકમાં સામેલ થવા માટે કહે છે, 'સરકારે પહેલાં પણ આ આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક અમને ખાલિસ્તાની કહેવામાં આવતા, ક્યારેક આતંકવાદી કહેવામાં આવતા અને ક્યારેક અમને નકલી ખેડૂત કહેવામાં આવતા હતા. અમે અમારી તરફથી સરકારને ખેડૂતોને બદનામ કરવાની કોઈ તક આપવા માગતા નથી, તેથી જ અમે બેઠકમાં આવીએ છીએ. આવી સ્થિતિમાં સરકાર એવું કહી નથી શકતી કે અમે વાટાઘાટો કરવા તૈયાર છીએ, પરંતુ ખેડૂતો પીછેહઠ કરી રહ્યા છે. એટલા માટે અમે જાણીએ છીએ તેથી જ અમે આગામી બેઠકમાં જઈશું અને એ દિવસે પણ સમાધાન થવાનું નથી.'

ખેડૂતોની સરકાર સાથે વાતચીત એટલા માટે અટકી ગઈ છે, કેમ કે ખેડૂતો કૃષિ કાયદાઓને રદ કરવા સિવાય માનવા માટે તૈયાર નથી અને સરકાર પણ આ કાયદાઓને રદ કરવા માટે તૈયાર નથી. એવામાં સરકાર સતત એ પ્રયાસ કરી રહી છે કે વાતચીત દ્વારા કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે.

શુક્રવારે મળેલી બેઠકમાં સરકારે એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે ખેડૂતો જો ઇચ્છે તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને ત્યાં આ કાયદાઓને પડકારી શકે છે. આ પ્રસ્તાવ અંગે અખિલ ભારતીય કિસાન સભાના નેતા મેજર સિંઘ કહે છે, "કોર્ટની ભૂમિકા કાયદાઓની સમીક્ષા કરવાનો અને કોઈ કાયદાનો નિર્ણય લેવાનો છે, પછી ભલે એ બંધારણના ક્ષેત્રમાં હોય. જો આપણે કાયદાઓની બંધારણીયતાને પડકાર નથી આપી રહ્યા તો કોર્ટમાં જઈને શું કરીશું. કાયદાને બનાવવા એ સરકારના અધિકાર ક્ષેત્રમાં છે, પરંતુ એ કાયદા ખેડૂતોના હિતમાં નથી, માટે અમારી લડાઈ સરકાર સાથે છે અને અમે જ્યારે આ લડાઈ જીતીશું નહીં ત્યાં સુધી સરકાર સામે લડતા રહીશું.'

સરકાર સાથે થઈ રહેલી વાતચીતને પણ આ જ લડતનો ભાગ માનતા ઉત્તરપ્રદેશના મોટા ખેડૂતનેતા રાકેશ ટિકૈત કહે છે, 'સરકાર આ આંદોલનને નબળું પાડવા માટે તારીખ પર તારીખ આપી રહી છે. તેમનાથી થવાનું કશું જ નથી. બસ, લોકો તારીખનો ભાર ઉઠાવી રહ્યા છે. આગામી બેઠકમાં પણ આવું જ થશે. સરકારને લાગે છે કે આવું કરવાથી આંદોલન નબળું પડશે અને લોકોમાં એક સંદેશ આવશે કે સરકાર તો વાતચીત કરી રહી છે, પરંતુ ખેડૂતો સહમત નથી. અમે પણ એટલા માટે જ બેઠકનો ઇનકાર કરી રહ્યા નથી, કારણ કે અમે લોકોને જણાવવા માગીએ છીએ કે અમે અમારી માગણીઓ વિશે ખૂબ સ્પષ્ટ છીએ, પરંતુ સરકાર એ માટે સંમત નથી.'

જો આવી જ પરિસ્થિતિ જ રહેશે તો પછી વાતચીત કરવાનો મતલબ શું રહેશે અને આવું ક્યાં સુધી ચાલશે? આ સવાલ બાબતે રાકેશ ટિકૈત કહે છે, 'અત્યારે આ જ સમજી લો કે આગામી બેઠકના બહાને અમે 26 જાન્યુઆરીએ યોજાનારી ટ્રેક્ટર પરેડની રેકી કરીશું. એ દિવસે ખેડૂત કૂચ નીકળશે. ભલે સરકાર રાજી ન થાય તો આંદોલન ચાલતું જ રહેશે. અમે 2024 મે સુધી આ આંદોલનને ચલાવીશું, જ્યાં સુધી આ સરકારનો કાર્યકાળ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી.'

 

adv

Related News

post
post
post
post
post
post
post