સવારે 8 વાગ્યે મંડપ રોપણ, બપોરે હસ્તમેળાપ સમયે આયોજકો લગ્નસ્થળે પહોંચશે, સમાજ ભોજનનો ખર્ચ અને કરિયાવર આપશે
રાજ્યસરકાર દ્વારા કોવિડ-19ની નવી ગાઇડલાયન્સ જાહેર કરવામાં
આવી છે. જે મુજબ નવી સૂચના જાહેર ન થાય ત્યાં સુધી લગ્નપ્રસંગ, સગાઇ સહિતના સામાજિક પ્રસંગોમાં
બંને પક્ષોના મળી કુલ 100 વ્યક્તિને
ઉપસ્થિતિ રહેવા જણાવ્યું છે. ત્યારે ટંકારા પંથકમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં
આવ્યું હતું તેના આયોજકોએ નિયમ મુજબ હાલ શક્ય ન હોઈ દરેક યુગલના ઘરે જ લગ્નનું
આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા આજે
ગુરુવારે મહિલા સમિતી આયોજિત દ્વિતીય સમૂહલગ્ન યોજવામાં આવ્યા છે.
જો કે, હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ આયોજકોએ સરકારની
ગાઈડલાઈનને અનુસરીને લગ્નગ્રંથીથી જોડાનાર પંથકના તમામ 26 યુગલને એક મંડપ નીચે લગ્નવિધિ
કરવાના બદલે પોતપોતાના ઘરઆંગણે એક જ સમયે નિયમ અનુસાર મહેમાનોની ઉપસ્થિતીમા લગ્નના
તાંતણે જોડવાનો સરાહનિય નિર્ણય કરાયો છે. આયોજક ટીમ લગ્નથી જોડાનાર દરેક યુગલ
પરિવારના આંગણે પહોંચી આશિર્વાદ રૂપે ચોરી-મંડપ અને ભોજન ખર્ચની નિયત કરાયેલી રૂ. 20,000 સાથે કરીયાવર ઘરે જઈને
પહોંચાડવામાં આવશે.
20,000 રોકડા અને 1,20,000નો કરિયાવર અપાશે
સમૂહલગ્નમાં
જોડાનાર તાલુકાના 26 યુગલના
આંગણે એક સાથે સવારે 8 વાગ્યે
મંડપ રોપણ થશે, બપોરે
સીમિત સ્નેહીજનો માટે ભોજન પૂર્ણ કરાશે, વરપક્ષની જાન બપોરે 2:30 વાગ્યે કન્યા પક્ષના આંગણે પહોંચી
જશે. સમાજની આયોજન કમિટીના સભ્યોની ટીમ લગ્નથી જોડાનાર નવદંપતીને આશીર્વાદ આપવા
ઘરઆંગણે યોજાયેલા સ્થળે હસ્તમેળાપ વખતે પહોંચી જશે. અને દરેક યુગલને ઘરે કરાયેલા
ચોરી-મંડપ ખર્ચના રૂ.5000/- તથા
ભોજનખર્ચના રૂ.15000 રોકડા
આપવા સાથે નવવધૂ કન્યાઓને રૂપિયા 1,20,000ની કુલ 77 પ્રકારની વસ્તુ કરિયાવરરૂપે ભેટમાં
આપવામાં આવશે. આમ એક યુગલ પાછળ સમિતિએ 1,40,000નો ખર્ચ કર્યો.