તમામ વસ્તુઓ ઘરઆંગણે મળતી હોવા છતાં 5-10 રૂપિયાની બચતની લાલચે મોટાં બજારોમાં ભીડ કરતા ગુજરાતીઓ
રાજ્યમાં એક તરફ
કોરોના-બોમ્બ ફૂટી રહ્યો છે ત્યારે બીજી તરફ હજુ પણ લોકો બેદરકારીપૂર્વક
રોડ-બજારોમાં ફરી રહ્યા છે. લોકલ સંક્રમણને ટકાવવા માટે અમદાવાદમાં ગત શનિ-રવિ
કર્ફ્યૂ રાખવામાં આવ્યો હતો, પરંતુ સોમવારે સવારે 6 વાગે કર્ફ્યૂ ખૂલતાં જ
ફરી માર્કેટ તેમજ રોડ-રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી, જેને કારણે ટ્રાફિકજામ
જેવી સ્થિતિઓ પણ જોવા મળી હતી. જો આ પ્રકારે લોકો કામ વગર બજારોમાં ભીડ જમાવશે તો
સંક્રમણ અટકવાને બદલે હાલ કરતાં પણ ડબલ સ્પીડમાં વધી શકે છે. લોકોને શાકભાજી તેમજ
અન્ય જરૂરી વસ્તુઓ ઘરઆંગણે મળતી હોવા છતાં 5-10 રૂપિયાની બચતની લાલચે
મોટાં બજારોમાં ભીડ કરતા હોય છે, જે લોકલ સંક્રમણ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
કોરોનાની એક દિવસની
સારવારનો ખર્ચ 12,000થી 21,000 થાય છે
તમામ પ્રકારની
જીવનજરૂરિયાત વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી જતી હોવા છતાં લોકો સસ્તાની લાલચમાં
બજારમાં ભીડ જમાવે છે. ગઈકાલે અમદાવાદના જમાલપુર તેમજ કાલુપુરના શાકભાજી
માર્કેટમાં આવાં જ દૃશ્યો જોવા મળ્યાં હતાં. ત્યાં વહેલી સવાથી કર્ફ્યૂ ખૂલતાંની
સાથે જ લોકોએ ભીડ કરી ટ્રાફિકજામની સ્થિતિ સર્જી નાખી હતી, સાથે જ માસ્ક તેમજ
સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. શહેરની સ્થિતિ હાલમાં એટલી ખરાબ છે
કે જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તોપણ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં જગ્યા
મળવી પણ મુશ્કેલ છે. જ્યારે શહેરની મોટા ભાગની કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે.
બીજી તરફ,
ખાનગી
હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો એક દિવસનો ખર્ચ 12,000થી 21,000 હજારની આસપાસ છે. આ રકમ
સામાન્ય પરિવારમાં 5 ગણી થાય છે. તેવામાં લોકો દ્વારા આ પ્રકારની બેદરકારી
તેમના તેમજ તેમના પરિવાર માટે જોખમી સાબિત થઈ શકે છે.
વડોદરા-રાજકોટ-સુરતનાં માર્કેટમાં
પણ આવી જ સ્થિતિ છે
અમદાવાદની
સાથે વડોદરા, રાજકોટ
તેમજ સુરત જેવાં શહેરોમાં પણ કર્ફ્યૂનો સમય પૂર્ણ થતાં જ લોકો બજારોમાં
બેદરકારીપૂર્વક રખડતા જોવા મળે છે. વડોદરાના એપીએમસી માર્કેટમાં પણ સોશિયલ
ડિસ્ટન્સના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા. સવારે માર્કેટ ખૂલતાંની સાથે જ મોટી સંખ્યામાં
લોકો અહીં ભેગા થઈ ગયા હતા, જ્યાં
કેટલાક વેપારીઓ માસ્ક વગર તેમજ કેટલાક માત્ર દંડથી બચવા માટે મોઢા પર માસ્ક રાખીને
વેચાણ કરતા ઝડપાયા હતા. આવી જ સ્થિતિ સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા શાકભાજી
માર્કેટમાં જોવા મળી હતી, જ્યાં
લોકો શાકભાજીની ખરીદી કરવા મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. ત્યાં સોશિયલ
ડિસ્ટન્સિંગનું લોકો ભાન ભૂલ્યા હતા. આ અંગે પાલિકા કમિશનરે પણ નારાજગી દર્શાવી
હતી, જેથી
આજે સવારથી જ આ શાકભાજી માર્કેટને બંધ કરાવી દેવામાં આવ્યું છે. હાલ પોલીસ તહેનાત
પણ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 77 લાખથી વધુ
રાજ્યમાં
અત્યારસુધીમાં 77 લાખ 4 હજાર 705 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 98 હજાર 899ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,876એ પહોંચ્યો છે તેમજ અત્યારસુધીમાં 1 લાખ 81 હજાર 187 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ
કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13, 836 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર, જ્યારે 13,747 દર્દીની હાલત સ્થિર છે.