ક્યારેક તો એક દિવસમાં 9 મૃતદેહ આવતા હોય છે
સ્થળ : થલતેજ સ્મશાનગૃહ, સમય : 8.45 વાગે
છેલ્લા કેટલાક સમયથી એ ભાઈ સ્મશાનની બહાર રાહ જોઈ રહ્યા છે.
તેમના હાથમાં પકડેલી દોણીમાંનો અગ્નિ હવે બુઝાઈ ગયો છે, પરંતુ હજુ સ્મશાનમાં તેમનો વારો
આવ્યો નથી. તે જેમનો મૃતદેહ લઈને આવ્યા છે એ હજુ એમ્બ્યુલન્સમાં જ છે અને એ એક જ
એમ્બ્યુલન્સ સ્મશાનની બહાર નથી, સિવિલ હોસ્પિટલની બહાર એ સમયે ત્રણ એમ્બ્યુલન્સ પોતાના
વારાની રાહ જોઈ રહી છે અને સ્મશાનની બહાર બે એમ્બ્યુલન્સ પોતાના વારાની રાહ જોઈ
રહી છે. કોરોનાથી થતાં સંખ્યાબંધ મૃત્યુને કારણે મૃતદેહોને કતારમાં રહેવાની ફરજ
પડી રહી છે.
થલતેજમાં આવેલા સ્મશાન ગૃહમાં એકસાથે બે મૃતદેહના
અંતિમસંસ્કાર કરવાની વ્યવસ્થા છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે 24 કલાકમાં અહીં અંદાજે 25થી 30 જેટલા મૃતદેહ અગ્નિસંસ્કાર માટે
લાવવામાં આવતા હોય છે. ઘણી વખત તો એવું પણ બને છે કે એક દિવસમાં કોરોનાથી મૃત્યુ
પામેલા 7થી 9 મૃતદેહને અંતિમવિધિ માટે લાવવામાં
આવતા હોય છે. આમાંથી કેટલાક બહાર ગામના દર્દી હોય છે અને મૃત્યુ રાત્રિ દરમિયાન
થતાં હોસ્પિટલો પણ ઝડપથી બેડ ખાલી કરવાની લાયમાં રાત્રે જ ડિસ્ચાર્જ આપી દે છે, જેથી પ્રોટોકોલ મુજબ અહીંનાં
સ્મશાનોમાં જ તેમને લઈ જવામાં આવે છે. આમ, રાત્રે પણ એમ્બ્યુલન્સ ચાલુ રહેતી
હોવાથી ક્યારેક વેઈટિંગની લાઈનો પણ લાગતી હોય છે.
કોરોનાથી મૃત્યુ પામેલાં દર્દીનાં સ્વજનો પણ કલાકો સુધી
સ્મશાનોમાં જ બેસી રહે છે, કેમ
કે કોરોના દર્દીઓની સેનિટાઇઝ સહિતની પ્રક્રિયા કરવી પડતી હોય છે. જો એકસાથે વધુ
મૃતદેહ આવી જાય તો કલાકોના કલાકો સુધી મૃતદેહ એમ્બ્યુલન્સમાં જ રાખવા પડતા હોય છે.
ગુરુવારે થલતેજ સ્મશાન ગૃહમાં રાત્રે 10થી 11ના એક કલાકના ટૂંકા ગાળામાં જ
એકસાથે 6 મૃતદેહ
આવતાં સ્વજનોને 2થી 3 કલાક સુધી રાહ જોવાનો વારો આવ્યો
હતો. માત્ર સ્મશાન બહાર એમ્બ્યુલન્સની લાઈન હોય છે એવું નથી. કોરોના ઉપરાંત અન્ય
કોઈ કારણસર લોકો મૃત્યુ પામતા હોય છે. અસારવામાં આવેલા સિવિલ કેમ્પસ બહાર પણ
એમ્બ્યુલન્સની લાઈન જોવા મળી હતી.