રિપબ્લિકન સાંસદ મીટ રોમનીએ પોતાની પાર્ટીના જ ટ્રમ્પ વિરુદ્ધ જઈને પોતાના સાથીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ ચૂંટણી અંગેનાં ટ્રમ્પનાં જુઠાણાંને સાથ ન આપે
કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ઇલેક્ટોરલ વોટની ગણતરી શરૂ થઈ, જેના માટે ચાર સાંસદને ટેલર્સ
તરીકે નિયુક્ત કરાયા, જેમાં
બે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને બે સાંસદ સેનેટના રહ્યા હતા. જેમણે દરેક રાજ્યનાં
વોટ સર્ટિફિકેટ્સ વાંચ્યાં હતાં. આલ્ફાબેટિકલી દરેક રાજ્યના ઈલેક્ટોરલ વોટના સર્ટિફિકેટ્સ
વાંચવામાં આવ્યાં હતાં. ટ્રમ્પના સમર્થકોની હિંસા બાદ અમેરિકન કોંગ્રેસમાં
ઈલેક્ટોરલ વોટની ગણતરી શરૂ કરવામાં આવી છે.
સંસદમાં જે રીતે ટ્રમ્પના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો એને
કારણે ટ્રમ્પની ખૂબ ફજેતી થઈ છે. એ પછી નેશનલ ગાર્ડ્સ દ્વારા સંસદમાંથી તોફાનીઓને
દૂર કરી દેવામાં આવ્યા હતા અને સંસદમાં જો બાઈડનને રાષ્ટ્રપ્રમુખ તરીકે જાહેર કરવા
માટે ઈલેક્ટોરલ વોટની સર્ટિફિકેશન પ્રોસેસ ફરી શરૂ કરાઈ હતી. જોકે હિંસાની આ ઘટના
અંગે રિપબ્લિકન સાંસદોએ જ નારાજગી વ્યક્ત કરી હતી. એક સેનેટરે કહ્યું હતું કે
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા, પણ તેમણે મોટા ભાગનો સમય
ગોલ્ફિંગમાં ગાળ્યો. તેઓ આપણી લોકશાહીના ભવિષ્ય માટે ભયજનક છે.
ટ્રમ્પના સાંસદોએ જ નારાજગી વ્યક્ત
કરી, સમર્થકોને
ઉશ્કેરવાનો ટ્રમ્પ પર આરોપ
અમેરિકન સંસદમાં રિપબ્લિકન પાર્ટી અને ડોનાલ્ડ ટ્રમ્પના
સમર્થકોએ જે રીતે હિંસા આદરી એનાથી ખુદ રિપબ્લિકન પાર્ટીના સાંસદો પણ નારાજ થયા
હતા. અમેરિકન સંસદમાં ઈલેક્ટોરલ વોટની ગણતરી શરૂ થતાં પહેલાં કેટલાક રિપબ્લિકન
સાંસદોએ જ ટ્રમ્પને પરાજયનું સત્ય સ્વીકારી લેવા સલાહ આપી હતી, જ્યારે કેટલાક સાંસદે તો ટ્રમ્પ પર
આરોપ મૂક્યો હતો કે તેમણે તોફાનીઓને સંસદમાં ઘૂસી જવા માટે ભડકાવ્યા હતા.
રિપબ્લિકન પાર્ટીના સેનેટર મીટ રોમનીએ હિંસાની ઘટના પછી
કહ્યું હતું - હું આ ઘટનાની નિંદા કરું છું. મને ક્ષોભ છે કે આપણા રાષ્ટ્રપ્રમુખે
તોફાનીઓને સંસદમાં ઘૂસવા માટે ઉશ્કેર્યા. લોકતંત્રમાં જીત અને હારને સ્વીકારવાની
હિંમત હોવી જોઈએ. તોફાનીઓને સ્પષ્ટ મેસેજ છે કે તેઓ સત્યને સ્વીકારે. હું મારી
પાર્ટીના સાથીઓ પાસેથી પણ આ જ આશા રાખું છું કે તેઓ લોકતંત્રને બચાવવા માટે આગળ
આવે.
અન્ય એક રિપબ્લિકન સેનેટરે કહ્યું હતું, અમેરિકનો ફાઈટર છે અને કોરોના
વાઇરસનો લાખો માણસો ભોગ બન્યા પછી પણ તેમણે નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખપદની
ચૂંટણીમાં દેશના નેતૃત્વમાં પરિવર્તન લાવવાનો નિર્ણય કર્યો. મહામારીના આ સમયમાં પણ
અમેરિકનો લોકશાહી બચાવવા માટે કટિબદ્ધ રહ્યા અને ચૂંટણીમાં તેમણે નેતૃત્વ પરિવર્તન
માટે મતદાન કર્યું. કોરોના વાઇરસને કારણે ઈકોનોમી ધરાશાયી થઈ એ સત્ય છે, કોરોનાને કારણે લાખો લોકો ભોગ
બન્યા એ સત્ય છે, જો
બાઈડન જીત્યા અને ટ્રમ્પની હાર થઈ એ સત્ય છે. દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ
અને એને કારણે આપણા વિશાળ લોકતંત્ર પર જોખમ વધ્યું છે. દેશના લોકો જ નક્કી કરશે કે
કોને નેતૃત્વ સોંપવું અને તેમણે તેમનો નિર્ણય આપી દીધો છે.
આ ઉપરાંત રિપબ્લિકન દ્વારા મિશિગનનાં ઈલેક્ટોરલ પરિણામો
સામે વાંધો ઉઠાવાયો હતો. આ વાંધો જ્યોર્જિયાના પ્રતિનિધિ ટેઈલર ગ્રીન દ્વારા
ઉઠાવાયો હતો. જો બાઈડનની જીતનો વિરોધ કરતું લખાણ સોંપ્યું હતું, પરંતુ આ લખાણમાં સેનેટર દ્વારા
હસ્તાક્ષર કરાયા નહોતા. એ પછી વાઈસ-પ્રેસિડેન્ટ માઈક પેન્સ દ્વારા આ વાંધો નકારી
દેવાયો હતો. રિપબ્લિકન પાર્ટીના માઈક પેન્સે કહ્યું હતું કે આવા કિસ્સામાં
ઓબ્જેક્શન પર લક્ષ આપી શકાય નહીં, તેથી એ નકારવામાં આવે છે. આ સાથે જ કોંગ્રેસના સભ્યો દ્વારા
તેમને તાળીઓથી વધાવી લેવાયા હતા.
જ્યારે જ્યોર્જિયાના ઈલેક્ટોરલ રિઝલ્ટ્સ સામે પણ ઓબ્જેક્શન
નોંધાવાયું હતું, પરંતુ
પ્રતિનિધિ જોડી હીસે કહ્યું હતું કે સંસદમાં હિંસાની જે ઘટના બની એ પહેલાં
ઓબ્જેક્શનની તૈયારી હતી, પરંતુ
આ ઘટનાઓ પછી અનેક સેનેટર્સે પોતાનું ઓબ્જેક્શન પાછું ખેંચ્યું છે. એની સાથે જ
કોંગ્રેસના સભ્યોએ તાળીઓથી તેમની પ્રશંસા કરી હતી. ત્યાર પછી માઈક પેન્સે
જ્યોર્જિયાના ઈલેક્ટોરલ વોટ સામેના ઓબ્જેક્શનને રદ કર્યું હતું.
ઈલેક્ટોરલ વોટની ગણતરી સમયે એરિઝોના અને પેન્સિલવેનિયામાં
બાઈડનની જીત વિરુદ્ધ વિરોધ નોંધાવાયો, પરંતુ કોંગ્રેસે એ નકારી દીધો.
એરિઝોના અંગેનો મામલો વધુ ફસાયો. પ્રથમ સેનેટમાં અહીંનાં પરિણામો અંગે વાંધો
નોંધાવાયો. અહીં તે નકારાતાં મામલો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ પાસે પહોંચ્યો. આખરે
અહીં પણ ઓબ્જેક્શનને નકારી દેવાયું. સેનેટમાં તો ટ્રમ્પની પાર્ટીની પીછેહઠ થઈ.
પ્રસ્તાવની તરફેણમાં 6 અને
વિરોધમાં 93 વોટ
પડ્યા.
પેન્સિલવેનિયા અંગે રિપબ્લિકન સાંસદ જો હેલેએ અગાઉથી જ
સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ વાંધો ઉઠાવશે. તેમણે એમ જ કર્યું, પણ તેમને પૂરતું સમર્થન ન મળ્યું.
ઓબ્જેક્શન ક્યારે સ્વીકારાય?
ઈલેક્ટોરલ
વોટના સર્ટિફિકેશન વખતે યુએસએના જે રાજ્યના સેનેટર્સ દ્વારા જે ઉમેદવારની જીત
વિરુદ્ધ વાંધો (ઓબ્જેક્શન) ઉઠાવવામાં આવે એમાં એ શરત છે કે એ ઓબ્જેક્શન લેખિતમાં
હોય અને એના પર સેનેટરના હસ્તાક્ષર હોવા અનિવાર્ય છે. એ પછી જોઈન્ટ સેશન
અટકાવવામાં આવે છે અને હાઉસ અને સેનેટ અલગથી એના પર વિચાર કરવા માટે એડજોર્ન થાય
છે.