બે પુલિત્ઝર પ્રાઈઝ જીતેલા પત્રકારોના પુસ્તક ‘અ વેરી સ્ટેબલ જિનિયસ’માં દાવો
નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયાની ભૌગોલિક સ્થિતિનો બિલકુલ અંદાજ નથી. એકવાર તેમણે ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં સુધી કહ્યું હતું કે, ‘ભારતની સરહદ ચીન સાથે નથી.’ આ વાત સાંભળતા જ મોદી આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બાદમાં તેમના હાવભાવ ચિંતામાં બદલાઈ ગયા હતા. આ અંગે ટ્રમ્પના એક સાથીદારે કહ્યું હતું કે, ‘એ બેઠક વડાપ્રધાન મોદીએ અધવચ્ચે જ છોડી દીધી હતી. એ વખતે મોદીના હાવભાવ જાણે એવું કહી રહ્યા હતા કે, ટ્રમ્પ એક ગંભીર વ્યક્તિ નથી. હું આવી વ્યક્તિને મારા સાથીદાર તરીકે ના સ્વીકારી શકું.’
ટ્રમ્પની ટિપ્પણીએ
ભારત-અમેરિકાના
રાજકીય સંબંધને
એક પગલું
પાછળ ધકેલી
દીધા
આ દાવા અમેરિકન અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના બે પત્રકાર ફિલિપ રકર અને કેરોલ લિઓનિંગે પોતાના નવા પુસ્તક ‘અવેરી સ્ટેબલ જિનિયસ’માં કર્યો છે. આ પત્રકારોને બે વાર પુલિત્સર પ્રાઈઝ મળી ચૂક્યું છે. ટ્રમ્પે ભારત-ચીન મુદ્દે કરેલી ટિપ્પણી અંગેનો આ દાવો ટ્રમ્પના નજીકના સાથીદારોની વાતચીતના આધારે કરાયો છે. 417 પાનાંના આ પુસ્તકમાં કહેવાયું છે કે, ‘ટ્રમ્પની આ ટિપ્પણીએ ભારત-અમેરિકાના રાજકીય સંબંધને એક પગલું પાછળ ધકેલી દીધા હતા.’ જોકે, ટ્રમ્પ કઈ બેઠકમાં આવું બોલ્યા હતા એ વિશે પુસ્તકમાં ઉલ્લેખ નથી, પરંતુ એવું કહેવાય છે કે, આ ઘટના ટ્રમ્પ-મોદીની પહેલી મુલાકાત વખતની છે. અમેરિકન સરકારના પૂર્વ સલાહકારો પણ ટ્રમ્પના આવા અનેક અજ્ઞાન વિશે જાહેરમાં કહી ચૂક્યા છે. ટ્રમ્પ એવું પણ વિચારતા હતા કે, નેપાળ અને ભુતાન ભારતમાં જ છે. ગયા વર્ષે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘મોદીએ જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલનમાં કાશ્મીર મુદ્દો ઉકેલવા મારી મધ્યસ્થી માંગી હતી.’ જોકે, આ વાતને ભારતીય વિદેશ મંત્રાલયે જૂઠી ગણાવી હતી.
ટ્રમ્પના નિવેદન
પછી ગૂગલ
પર ભારત-ચીન સરહદ અંગે
સર્ચ
નવા પુસ્તકમાં ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યા પછી ગૂગલ પર ભારત-ચીન સરહદ અંગે સર્ચ વધી ગયું હતું. લોકોએ ભારત-ચીન સરહદના નામ, લંબાઈ અને એ સ્થળો વિશે સર્ચ કર્યું હતું, જે ત્યાં મોજુદ છે. નોંધનીય છે કે, ભારત-ચીન વચ્ચે 3,488 કિ.મી. લાંબી એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) છે, જ્યાં અનેક સ્થળે સરહદી વિવાદ છે.