યુવતી ચશ્માં બનાવવાના બહાને ઉત્તર પ્રદેશથી ભાગીને અમદાવાદ પહોંચી હતી અને પોતાની બહેનને પણ વિધર્મીની ચુંગાલમાંથી છોડાવી હતી
‘હું એવી તે વિધર્મીની
પ્રેમજાળમાં ફસાઇ કે આજે મારું જીવન બરબાદ થઈ ગયું છે. મારી નાની બહેન પણ એક
વિધર્મીની ચુંગાલમાં એવી ફસાઇ કે તેનો એક, બે કે ત્રણવાર નહીં, પણ પાંચ-પાંચ વખત
ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. જ્યારે મને વિધર્મી ઉત્તરપ્રદેશ લગ્ન કરવાની લાલચે
લઈ ગયો પણ ત્યાં તો મને 7 વર્ષ સુધી એક બંધકની જેમ રાખી, વિધર્મીએ મને એટલી
યાતના આપી કે એ દિવસો યાદ કરું તો આજે પણ હું ધ્રુજી જાઉં છું.’ આ શબ્દો છે લવ જેહાદનો
શિકાર બનેલી એક અમદાવાદની પીડિતાના. અમદાવાદમાં બે સગી બહેન લવ જેહાદનો શિકાર બની
છે. જેમાંથી એક બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગોમતીપુર પોલીસ
સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ
લવ જેહાદ જેવા મુદ્દે હિન્દુ સંગઠનો અલગ અલગ આક્રમક કાર્યક્રમો કરી રહ્યાં છે, ત્યારે વિધર્મી યુવકો
સામે કાર્યવાહી કરવા માટે હવે આગામી દિવસોમાં હોટલમાં રેડ થાય તેવી પણ શક્યતાઓ છે.
આ બધાની વચ્ચે અમદાવાદની બે સગી બહેન વિધર્મી યુવકોના સંપર્કમાં આવી અને તેઓ રોજ
રોજ યાતનાઓ સહન કરવા મજબૂર બની હતી. આ અંગે હાલ અમદાવાદના ગોમતીપુર પોલીસ
સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. જ્યારે અન્ય એક ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ
ધરવામાં આવી છે.
ચાર આરોપી વિરુદ્ધ ગુનો
દાખલ કરાયો
પોલીસે યુપીના પ્રતાપગઢ જિલ્લાના સિરાય ગામના ઇકબાલહુસેન અનવરહુસેન અંસારી, સિરાયના અનવરહુસેન
અંસારી, સિરાયની આબેદાબાનુ અનવરહુસેન અંસારી અને સિરાયના જ શહેઝાદહુસેન અનવરહુસેન
અંસારી સામે IPC કલમ 376 (N) (બળાત્કાર), 377 (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય), 344 (ખોટી રીતે કેદ કરી રાખવું), 354 A(1)(i) (જાતીય સતામણી), 354 D (1)(i)
(પીછો કરવો), 506 (2) (જાનથી મારી નાખવાની ધમકી), 507 (ધાકધમકી), 498 A (ક્રૂરતા આચરવી), 114 (દુષ્પ્રેરણા) હેઠળ ગુનો
દાખલ કરવામાં આવ્યો છે.
મોંઘી બાઇક લઈને એ આવી
જતો હતો
આ બન્ને પીડિતાના ઘરે પહોંચી તેમની વ્યથા સાંભળી હતી. જેમાં પીડિતાએ નમ થયેલી
આંખો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘હું રોજ સવારે ઘરેથી
બહાર નીકળું એટલે મોંઘી બાઇક લઈને એ આવી જતો હતો, મને કહેતો હતો કે, હું તને પ્રેમ કરું છું
અને તારી સાથે લગ્ન કરવા માગું છું. પહેલા હું એની વાતોમાં આવી ગઈ અને પછી તેણે
મારી જિંદગી બરબાદ કરી નાખી. મને અહીંથી મહારાષ્ટ્ર લઈ ગયો જ્યાં તેણે મારી પાસે
એફિડેવિટમાં સહી કરાવી દીધી હતી. જેમાં મારો ધર્મ પરિવર્તન થઈ ગયો હતો તેવું
મરાઠીમાં લખ્યું હતું.’
પ્રેમમાં એટલી પાગલ હતી
કે તેણે કહ્યું ત્યાં સહી કરી
પીડિતાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, ‘હું ગુજરાતી ભણેલી હતી, મરાઠી મને આવડતું ન
હતું. પણ પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે કહ્યું ત્યાં સહી કરી દીધી. મને એમ કે
મારાં લગ્ન થઈ ગયાં છે. પરંતુ ખરેખર અમારાં લગ્ન થયાં ન હતાં અને મારું
ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે મને તેના ગામ ઉત્તર પ્રદેશ લઈ
ગયો હતો. જ્યાં મને નોનવેજ ખાવા માટે કહેવાતું, પણ હું ક્યારેય આ ન ખાઈ
શકી. મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવતું અને પછી હું આ ચુંગાલમાં ફસાતી ગઈ.’
ધર્મપરિવર્તન કરાવી માનસિક-શારીરિક ત્રાસ આપ્યો
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેન લવ
જેહાદનો શિકાર બની હતી. વિધર્મી યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને તેના પર જુલમ કર્યો
હતો. ધર્મપરિવર્તન કરાવીને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. આથી બંન્ને બહેનો
જેમતેમ કરીને આ વિધર્મીઓના ચુંગાલમાંથી છૂટી હેમખેમ ઘરે આવી ગઈ છે. બાદમાં બન્ને
બહેનોએ વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કર્યો હતો. બાદમાં બંનેને વિશ્વ હિન્દુ
પરિષદના કાર્યાલયમાં રાખવામાં આવી હતી અને ગોમતીપુરની યુવતીએ વિધર્મી યુવકો
વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગ કરી હતી. જેથી પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ
શરૂ કરી છે.
યુપીના પ્રતાપગઢમાં બંધકની જેમ રાખવામાં આવી હતી
મોટી બહેનને ઉત્તર પ્રદેશના વિધર્મી યુવક ઇકબાલે
પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ અશ્લીલ ફોટો પાડીને લગ્ન કરવાની ધમકી આપીને
ભગાડીને યુપી લઈ ગયો હતો. યુવતીને યુપીના પ્રતાપગઢમાં બંધક જેમ રાખવામાં આવતી હતી.
7 વર્ષ બાદ યુવતી ઘર છોડીને નાની
બહેનને છોડાવવા પહોંચી હતી. નાની બહેન પણ વિધર્મી યુવક સાથે લગ્ન કરીને ફસાઈ ગઇ
હતી. વિધર્મીએ નાની બહેનને ફેસબુકમાં હિન્દુ નામ મંથન જોશીથી સંપર્ક કર્યો હતો. જે
બાદ તેણે તેની સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ યુવતીને જાણ થઈ કે યુવકનું નામ
મંથન નહીં પણ સોહેલ ખાન છે. આ ઉપરાંત લગ્ન બાદ ધર્મપરિવર્તનના સોગંદનામામાં સહી
કરાવી હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
ચશ્માં બનાવવાના બહાને મોટી બહેન વિધર્મીની ચુંગાલમાંથી છૂટી
હવે લવ જેહાદનો શિકાર બનેલી બન્ને બહેનો ન્યાયની
ઝંખના કરી રહી છે. બન્ને બહેનની સાથે લવ જેહાદના બનાવમાં મોટી બહેનને તો વિધર્મીએ
કોમ્પ્યુટર ક્લાસમાં પ્રેમજાળમાં ફસાવી હતી. ઇકબાલે મોટી બહેનના વીડિયો બનાવ્યા
હતા. વીડિયો બનાવ્યા બાદ સાથે રહેવા મજબૂર કરી હતી. મજબૂર યુવતીને મુંબઈ લઈ જઈ
મરાઠી ભાષાના સોગંદનામામાં સહી કરાવી હતી. યુવતીને લગ્ન કરવાના હોવાથી સહીનું
કહ્યું પરંતુ લગ્નના બદલે યુવતી પાસે ધર્મપરિવર્તનના સોગંદનામા પર સહી લઈ લીધી
હતી. જે બાદ યુવતીને લગ્ન કર્યા વગર 7 વર્ષ ઉત્તર પ્રદેશમાં રાખી હતી. યુવતી ચશ્માં બનાવવાના બહાને ઉત્તર પ્રદેશથી
ભાગીને અમદાવાદ પહોંચી હતી અને પોતાની બહેનને પણ વિધર્મીની ચુંગાલમાંથી છોડાવી હતી
નાની બહેનને એક, મોટી બહેનને બે સંતાન
નાની બહેનને ધર્મપરિવર્તનના દબાણ સાથે 5 વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો.
સતત યાતનાથી પીડિત બન્ને બહેનો રક્ષણ અને ન્યાયની માંગ કરી રહી છે. આ બન્ને બહેનો
સાથે વિધર્મી યુવક અને તેનો પરિવાર ભેદભાવ રાખીને બર્બરતાપૂર્વક વ્યવહાર કરતા
હોવાના આક્ષેપો કર્યા છે. નાની બહેનને સંતાનમાં એક બાળક પણ છે. જ્યારે મોટી બહેનને
બે સંતાન છે.