આ મામલે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટીનો આદેશ છે અને અમે પાર્ટીના કાર્યકર્તા છીએ.
રાજકોટ: રાજકોટ શહેરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ આજે એકાએક
રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઈસચેરમેન સહિત 15 સભ્યોનાં રાજીનામાં લઇ
લેવામાં આવ્યાં છે. પાંચ વર્ષની ટર્મમાં એકાએક બે વર્ષના સમય દરમિયાન અધવચ્ચેથી
રાજીનામાં લઇ લેવામાં આવતાં અનેક તર્ક-વિતર્ક રાજકોટના રાજકારણમાં ચર્ચાઈ રહ્યા
છે. એક ચર્ચા એવી પણ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન આ
ટીમની રચના કરવામાં આવી હતી જેને આજે એકાએક હટાવી દેવામાં આવતા રાજકોટના
રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
રાજકોટના રાજકારણમાં
ગરમાવો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન
છાયા સહિત 15 સભ્યોના આજે રાજકોટ કમલમ્ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને મેયર
ડો. પ્રદીપ ડવની હાજરીમાં સભ્યપદ ઉપરથી અધવચ્ચેથી રાજીનામાં લઇ લેવામાં આવ્યાં છે.
ગઈકાલે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ શહેર પ્રમુખ, મેયર, નગરપ્રાથમિક શિક્ષણ
સમિતિના ચેરમેન સહિતનાઓની પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠક બાદ
આજે બીજા જ દિવસે એકાએક રાજીનામાં લઇ લેવામાં આવતા રાજકોટના રાજકારણમાં ગરમાવો
જોવા મળી રહ્યો છે.
નવી ટીમની જાહેરાત થશે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું
હતું કે, ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ
પાર્ટી છે. આજે પાર્ટીના આદેશ મુજબ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન
સહિત તમામ સભ્યોએ સામૂહિક રાજીનામાં આપી દીધાં છે. ભૂતકાળમાં મુખ્યમંત્રીથી લઇ
તમામ મંત્રીમંડળએ એકસાથે રાજીનામાં ભારતીય જનતા પાર્ટીમાં આપવામાં આવ્યાં છે. કોઈ
જૂથવાદ, કોઈ ફરિયાદ કે કોઈ નારાજગી નથી
માત્ર પ્રદેશની સૂચના આધારે તમામનાં રાજીનામાં લેવામાં આવ્યાં છે. સમિતિનું હવે
રિશફલિંગ થશે અને આગામી સમયમાં પાર્ટીની સૂચના મુજબ નવી ટીમની જાહેરાત કરવામાં
આવશે.
પાર્ટીની સૂચના મુજબ રાજીનામાં આપ્યાં
આ મામલે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન
અતુલ પંડિતએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટીનો આદેશ છે અને અમે પાર્ટીના કાર્યકર્તા છીએ. પાર્ટીનો આદેશ અમને
શિરોમાન્ય હોય છે. પાર્ટી દ્વારા જે જવાબદારી સોંપવામાં આવે તે નિભાવવાની હોય છે.
આજે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું માટે તમામ સભ્યો સાથે અમે અમારી આખી ટીમે
રાજીનામું આપ્યું છે. કોઈ નારાજગી નથી, કોઈ જૂથવાદ નથી પાર્ટીની સૂચના મુજબ અમે રાજીનામાં આપ્યાં છે.
મિડ-ટર્મમાં ફેરફાર
જોવા મળશે
સામાન્ય રીતે મહાપાલિકાની શિક્ષણ સમિતિની મુદત પાંચ વર્ષની હોય છે પણ હવે
તેમાં મિડ-ટર્મમાં ફેરફાર જોવા મળશે કારણ કે એકસાથે આખી સમિતિનાં રાજીનામાં
લેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કહેવાતા
ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ લેખિતમાં ઉપર સુધી પહોંચતા તમામનાં રાજીનામાં લેવામાં
આવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નગરપ્રાથમિક શિક્ષણ
સમિતિના ચેરમેન અને સભ્યોનાં રાજીનામાં
1.
અતુલ પંડિત - ચેરમેન
2.
સંગીતાબેન છાયા - વાઇસ ચેરમેન
3.
કિશોર પરમાર - સભ્ય
4.
વિજય ટોળિયા - સભ્ય
5.
રવિ ગોહેલ - સભ્ય
6.
કિરીટ ગોહેલ - સભ્ય
7.
તેજસ ત્રિવેદી - સભ્ય
8.
જે.ડી.ભાખડ - સભ્ય
9.
શરદ તલસાણિયા - સભ્ય
10.
અશ્વિન દુઘરેજિયા - સભ્ય
11.
ધૈર્ય પારેખ - સભ્ય
12.
ફારુખ બાવાણી - સભ્ય
13.
પીનાબેન કોટક - સભ્ય
14.
જાગૃતિબેન ભાણવડિયા - સભ્ય
15.
મેઘાવી સિંધવ - સભ્ય