• Home
  • News
  • BJP કોર્પોરેટરના ભ્રષ્ટાચારનો વીડિયો વાઇરલ:સુરતનાં ભાજપ મહિલા કાઉન્સિલરે બાંધકામ માટે એક કાઉન્સિલરદીઠ 40 હજાર રૂપિયા માગ્યા, AAPએ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો
post

ભાજપના કાઉન્સિલર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને બદનામ કરવાનું ષડયંત્ર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-27 19:23:49

આમ આદમી પાર્ટી(AAP)એ સુરતનાં ભાજપનાં મહિલા કાઉન્સિલર દ્વારા તેમના વિસ્તારમાં બાંધકામ કરવા માટે પૈસાની માગણી કરી હોવાનો સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પ્રેસ-કોન્ફરન્સ કરીને આ વીડિયો જાહેર કર્યો હતો. સ્ટિંગ ઓપરેશન મુદ્દે ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાનાં ભાજપનાં એક મહિલા કાઉન્સિલર વૈશાલી પાટીલ (વોર્ડ નંબર 29) તથા તેમના પતિ રાજેન્દ્ર પાટીલ અને ભરતભાઈ (મળતિયા)એ પોતાના વિસ્તારમાં બાંધકામ કરવા માટે એક કાઉન્સિલરદીઠ 40 હજાર રૂપિયા અને ચાર કાઉન્સિલર (વૈશાલી પાટીલ, સુધાબેન પાંડે, બંશુ યાદવ અને કનુ પટેલ)ના કુલ 1.60 લાખ રૂપિયા( રાઉન્ડ ફિગરમાં એક લાખ પચાસ હજાર રૂપિયા) માગ્યા છે.

અધિકારીને પણ ત્રણ લાખ ચૂકવવા પડશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના અધિકારીને પણ ત્રણ લાખ ચૂકવવા પડશે. ભાજપના કાઉન્સિલર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ સ્ટિંગ ઓપરેશનમાં કોઇ અધિકારીનું નામ લેવામાં આવ્યું નથી. સુરતની જનતા અને સાથે સાથે ગુજરાત અને દેશની જનતાએ સમજવાની જરૂર છે કે, તમે જેમને ચૂંટીને મોકલો છો, તેઓ સુવિધાના કામને પ્રાથમિકતા આપવાની જગ્યાએ પોતાના ખિસ્સા ભરવાના કામને પ્રાથમિકતા આપે છે.

કાઉન્સિલર ઉપર કોઇ પગલા લેવાયા નથી
આ ઘટનામાં જે પીડિત વ્યક્તિ છે તેઓએ થોડા સમય પહેલા અમારી સમક્ષ આ બાબતની વ્યથા રજૂ કરી હતી. તેમણે તારીખ 5 એપ્રિલ 2023ના રોજ અમદાવાદ એસીબીને લેખિતમાં ફરિયાદ કરી હતી. લેખિત ફરિયાદને આજે અઢી મહિના જેટલો સમય થઇ ગયો તો પણ કોઇપણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું નથી. ગુજરાતની ભાજપ સરકાર અને એસીબી સમક્ષ અમારી માંગણી છે અને ગુજરાત પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે, આટલા મજબૂત પૂરાવા હોવા છતાં ભાજપના કાઉન્સિલર ઉપર કોઇપણ પ્રકારના પગલા લેવાયા નથી. તો આ બાબતની તપાસ થવી જોઇએ. અમે પીડિત વ્યક્તિનું નામ નહીં જણાવી શકીએ. જો એસીબી ધારે તો એમનું નામ જાહેર કરી શકે છે અથવા તો ગુપ્ત રાહે પણ તપાસ કરી શકે છે. આમાં જે પણ લોકો આરોપી છે તેમની ઉપર કાર્યવાહી પણ કરી શકે છે.

ગુનેગારનો જેલમાં મોકલવામાં આવે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે કોઇના પર કોઇ આરોપ નથી મુકતા પરંતુ અમે એસીબી સમક્ષ માંગણી કરીએ છીએ કે, તમામ આરોપોની તપાસ થાય અને એસઆઇટીની રચના કરીને તપાસ કરીને જે પણ લોકો ગુનેગાર છે તેમને જેલમાં મોકલવામાં આવે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને જરા પણ સહન કરતી નથી. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે પોતાના મંત્રીઓ ઉપર પણ કાયદાકીય કાર્યવાહીઓ કરી છે.

અત્યાર સુધી આ લોકો પર તપાસ કેમ નથી થઈ?
એસીબીએ એક વખત એક છટકું ગોઠવ્યું હતું. પરંતુ મહિલા કાઉન્સિલર અને તેમના મળતીયા ભરતભાઈ એ સમયે આવ્યા નહીં. તો મારો સવાલ એ પણ છે કે એસીબીએ છટકું ગોઠવ્યું છે તેની જાણ આ લોકોને કઈ રીતે થઈ? આમ આદમી પાર્ટીના કે વિપક્ષના કોઈ નેતા કોઈ સામાન્ય વાત કરે તો પણ તેમના ઉપર ફરિયાદ થઈ જાય છે, તો આ લોકો પર અત્યાર સુધી તપાસ કેમ નથી થઈ? આ બાબતમાં ફરિયાદીને એક વખત જવાબ લખવા માટે પણ બોલાવ્યા હતા. ગયા મહિનાની 4 તારીખે તેમણે પોતાનો જવાબ પણ લખાવી દીધો છે અને તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વીડિયોમાં લાલ કલરના શર્ટમાં કાઉન્સિલરના પતિ રાજેન્દ્ર પાટીલ છે તથા જે બેન દેખાય છે તે વોર્ડ નંબર 29ના ભાજપના કાઉન્સિલર વૈશાલી પાટીલ છે. ટીશર્ટમાં દેખાતા વ્યક્તિ ભરત પટેલ છે, જે તેમના મળતીયાના રૂપે કામ કરે છે.

કોર્પોરેટર દ્વારા નાણાની માંગણી કરવામાં આવી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવી કે, વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોર્પોરેટર દ્વારા નાણાની માંગણી કરવામાં આવી છે. એસીબીમાં ફરિયાદ થઈ છે અને એસીબીએ છટકું ગોઠવ્યું તો એની માહિતી પણ તે લોકોને પહોંચી ગઈ છે. એનો મતલબ એમ છે કે સિસ્ટમ ફૂટેલી છે. એસીબીને લેખિતમાં ફરિયાદ કર્યા છતાં પણ એસીબીએ કોઈ કાર્યવાહી નથી કરી. એનો મતલબ એવો ગણી શકાય કે સુરતના કોઈ મોટા નેતાએ એસીબી પર કોઈ દબાણ કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

મહિને પાંચ લાખનો તોડ પણ કરવા મળશે
વારંવાર આપણે જોતા આવ્યા છીએ કે ભાજપના નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડવાની કોશિશ કરવામાં આવે છે અને તેઓ લાલચ આપે છે કે આમ આદમી પાર્ટીમાં રહીને ભ્રષ્ટાચાર નહીં કરી શકો તો ભાજપમાં આવી જાઓ અહીંયા મહિને પાંચ લાખ રૂપિયાનો તોડ પણ કરવા મળશે અને જો કોઈ એસીબીમાં ફરિયાદ કરી દે તો ઉપરના નેતાઓ પણ એસીબીને ફોન કરીને જાણ કરી દે છે કે આમને પકડવાના નથી.

સીઆર પાટીલ ભ્રષ્ટાચારના મુદ્દે ખુલાસો કરે
ભાજપમાં નેતાઓ કહેતા હોય છે કે આપણે નરેન્દ્ર મોદીના નામે વોટ માંગીને જીતી જવાના છીએ અને જેટલો પણ ભ્રષ્ટાચાર કરીશું તેને લોકો ભૂલી જવાના છે. ગુજરાતની જનતાએ ભાજપને લોકસભામાં 26 સીટો આપી અને વિધાનસભામાં 156 સીટો આપી પરંતુ તેઓ આજે જનતા માટે સારી સ્કૂલ પણ બનાવી નથી અને પોતાના માટે દરેક જિલ્લામાં મોટા મોટા કમલમ બનાવી રહ્યા છે. આજે દરેક જગ્યા પર ભ્રષ્ટાચાર છે અને કમિશન આપ્યા વગર કામ થતું નથી. તપાસના નામે પણ કંઈ થતું નથી. હું સીઆર પાટીલને વિનંતી કરું છું કે તેઓ આ ભ્રષ્ટાચારના મુદ્દે ખુલાસો કરે કે તેઓ શું માને છે. એમને જણાવવું પડશે કે તેઓ આ કોર્પોરેટરોને ચાલુ રાખવા માંગે છે કે સસ્પેન્ડ કરવા માંગે છે અને જો આ કોર્પોરેટરોને ચાલુ રાખવામાં આવશે તો તેનો સ્પષ્ટ મતલબ થઈ તેઓ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે.

અમારા વિપક્ષના નેતાએ પણ પુરાવા એકઠા કર્યા
અમારી માંગણી છે કે SITની રચના કરવામાં આવે અને તેમાં હાઇકોર્ટના નિવૃત્ત જજના અંતર્ગત તપાસ થાય. કારણ કે અમને એસીબીમાં પણ ગડબડ હોય એવું લાગી રહ્યું છે, આ સાચું છે કે ખોટું એ તો તપાસમાં બહાર આવશે. અમારા વિપક્ષના નેતાએ પણ પુરાવા એકઠા કર્યા છે. ગુજરાતમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય તો અમે તેને જોઈને બેસી રહીશું નહીં. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપના નેતાઓ વારંવાર કરી રહ્યા છે કે 50 લાખથી એક કરોડ રૂપિયા લઈને ભાજપમાં આવી જાવ અને ત્યારબાદ તમે ભાજપમાં આવીને લૂંટ ચલાવો.

adv

Related News

post
post
post
post
post
post
post