એક તરફ હોસ્પિટલમાં મોતમાં વધારો, ત્યારે મોત બાદ પણ મલાજો નથી જળવાતો
અમદાવાદ શહેર હવે
કોરોનાને કારણે ભયાવહ બનતું જાય છે. જે રીતે યુરોપમાં દફનવિધિના વિડિયો સામે આવ્યા
બાદ સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાઈ હતી. એ રીતે હવે અમદાવાદમાં પણ હોસ્પિટલમાં
કોરોનાના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે અને શહેરનાં સ્મશાન 24 કલાક ચાલુ રાખવા પડી
રહ્યાં છે. મૃતદેહ માટે એમ્બ્યુલન્સનું વેઈટિંગ છે, એવામાં હવે ફરી એક વખત
એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાના બે મૃતદેહ થલતેજ સ્મશાનમાં લાવવામાં આવ્યા છે.
કોવિડના દર્દીઓના મૃતદેહોને
સીધા સ્મશાનમાં લઈ જવાય છે
શહેરમાં સ્મશાનમાં
નીરવ શાંતિની જગ્યાએ બહાર લોકોનાં ટોળાં ઊભાં હોય એવાં દૃશ્યો વધુ પ્રમાણમાં જોવા
મળે છે. હાલના સમયમાં કોરોના ફરી ટોપ પર છે અને એનાથી અતિ ગંભીર દર્દીઓ
હોસ્પિટલમાં વધુ આવી રહ્યા છે, જેને લીધે મોતનો આંકડો પણ ઊંચે જઇ રહ્યો છે. કોરોનાના
દર્દીઓને મોત બાદ તેમના મૃતદેહો સીધા સ્મશાનમાં લઈ જવામાં આવે છે, પણ સ્મશાનમાં પણ વેઈટિંગ
છે. આ સ્થિતિ એટલી ગંભીર બની છે કે હવે એમ્બ્યુલન્સમાં એકસાથે બે મૃતદેહ લાવવા પડી
રહ્યા છે.
એમ્બ્યુલન્સ વેઈટિંગમાં
હોવાથી એકસાથે બે મૃતદેહ લાવવામાં આવ્યા
શુક્રવારે રાતે
થલતેજ સ્મશાન પાસે આવેલી એમ્બ્યુલન્સમાં બે મૃતદેહ લાવવામાં આવ્યા હતા અને એનો આ
વિડિયો પણ સામે આવ્યો છે. સમગ્ર ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે આ 2 મૃતદેહ સોલા સિવિલમાંથી
લાવવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ વેઈટિંગમાં હોવાથી આ પ્રકારે એક જ એમ્બ્યુલન્સમાં
બે મૃતદેહ લાવવામાં આવ્યા હતા.