આગેવાનોએ મધ્યસ્થી કરી વિવાદ પૂરો કર્યો હતો
બારડોલી: મહુવા તાલુકાના વસરાઈ ગામે
આદિવાસી સમાજના લડાયક નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય સામાજિક
કાર્યકરોને એક સામાજિક કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં મહુવાના ધારાસભ્ય મોહન
ઢોડિયા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ
સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. દરેક આગેવાન પોતાનું વક્તવ્ય આપતા હતા
અને ત્યાર બાદ અચાનક જ ચાલુ કાર્યક્રમમાં જાહેર સ્ટેજ પરથી મહુવાના ધારાસભ્ય મોહન
ઢોડિયા વિશે એવી તો શું ટિપ્પણી કરવામાં આવી કે આદિવાસી લડાયક નેતા અને વાંસદાના
ધારાસભ્ય અનંત પટેલને પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાયા. આવો... જાણીએ આ અહેવાલમાં....
અનંત પટેલે વક્તવ્ય આપતાં મામલો બિચક્યો
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે દિશા
ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક સામાજિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં આદિવાસી સમાજના લડાયક
નેતા અને વાંસદા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ મહુવાના ધારાસભ્ય
મોહન ઢોડિયા સહિત અનેક આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય
ઉદ્દેશ સમાજને નવી દિશા બતાવવા માટે યોજવામાં આવ્યો હોવાનો હેતુ હતો, જેની સામે દરેક આગેવાનોએ
પોતાના વક્તવ્ય દ્વારા લોકોને સંબોધ્યા હતા. એમાં સૌપ્રથમ મહુવાના ધારાસભ્ય મોહન
ઢોડિયાએ પોતાનું વક્તવ્ય આપ્યા બાદ વાંસદાના ધારાસભ્યએ વક્તવ્ય આપતાં મામલો
બિચક્યો હતો.
અનંત પટેલે ભાજપના MLAને અપમાનિત કર્યાનો આક્ષેપ
મોહન ઢોડિયાએ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા
કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમિયાન આદિવાસી સમાજને એક નવી દિશા બતાવવાની વાત કરી
હતી. એ બાદ વાંસદાના ધારાસભ્યે પોતાના વક્તવ્યમાં મોહન ઢોડિયાની વાત પર ટિપ્પણી
કરતાં જણાવ્યું હતું કે દિશા ફાઉન્ડેશનને દિશા બતાવવાની જરૂર નથી. મોહનભાઈ, તમને દિશા બતાવવાની જરૂર છે.
અમે કોઈ દિવસ કેસરી ટોપી પહેરવાના નથી, અમે ફક્ત ફાળિયું જ પહેરવાના છીએ અને એમાં જ ખુશ છીએ. અમે ફાળિયા જોડે રહીશું, ફાળિયા જોડે મરીશું અને એનું
કફન બનાવી ઓઢી લઈશું.
ભાજપના કાર્યકરોએ અનંત પટેલનો વિરોધ નોંધાવ્યો હતો
અનંત પટેલ દ્વારા સામાજિક કાર્યક્રમ દરમિયાન સમાજને
નવી દિશા બતાવવાની જગ્યાએ ભાજપ પર પ્રહાર કરતું વક્તવ્ય કરતાં મામલો ગરમાયો હતો.
જો અત્રે ઉલ્લેખનીય છે કે મોહન ઢોડિયા અનંત પટેલના વક્તવ્ય પહેલાં જ
કાર્યક્રમમાંથી ચાલ્યા ગયા હોવાથી ભાજપના કાર્યકરોએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો.
ક્ષણવારમાં લોકટોળું એકઠું થઈ જતાં મામલો ગરમાયો હતો અને પોલીસ બોલવવાની ફરજ પડી
હતી. જ્યાં અનંત પટેલને પોલીસે કોર્ડન કરી સ્ટેજ પરથી ઉતાર્યા બાદ જીપમાં બેસાડ્યા
હતા, પરંતુ મોહન ઢોડિયાના સમર્થકોએ
અનંત પટેલ માફી માગે એવી માગ કરી હતી. જ્યાં તેમણે પોલીસની જીપ આગળ ઊભા રહી જઈ વિરોધ
નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો અનંત પટેલ માફી માગી લેશે તો અમે તેમને હાથ
પણ નહીં લગાવીએ. જોકે આ વાતનો અનંત પટેલે સાફ ઈનકાર કરી માફી માગવાની ના પાડી હતી.
આગેવાનોએ મધ્યસ્થી કરી વિવાદ પૂરો કર્યો હતો
મામલો વધુ ગરમાતાં અનંત પટેલ સહિત બંને પક્ષોના આગેવાનો
સમાજ ભવનના હોલમાં ગયા હતા, જ્યાં અનંત પટેલને આ બાબતે માફી માગવાનું કહેતાં તેમણે સ્પષ્ટ ના કહી દીધું
હતું. બાદમાં હાજર આગેવાનોએ મધ્યસ્થી કરી વિવાદ પૂરો કર્યો હતો. ત્યારે આ બાબતે
મહુવા પોલીસ મથકના PI જે.એ. બારોટ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે સમાજની ઓફિસમાં જઈને
આયોજક પાસે પોલીસે મહુવાના ભાજપના ધારાસભ્યને ફોન કરાવ્યો અને આ મામલે પૂછ્યું તો
ધારાસભ્ય મોહન ઢોડિયાએ એવું કહ્યું, અમારે આવું ચાલ્યા કરે છે મને કંઈ પ્રોબ્લેમ નથી. જેથી મામલો થાળે પડ્યો હતો.
ત્યાર બાદ રોષે ભરાયેલા કાર્યકરો સાથે ધારાસભ્ય મોહન ઢોડિયાએ વાત કરી અને તેમને
સમજાવ્યા હતા.
ભાજપના MLAએ વાતને અંત આપ્યો
મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે કાલે રાત્રે કાર્યક્રમમાં હું ઉદઘાટન કરીને
જતો રહ્યો હતો. બાદમાં અનંતભાઈ શું બોલ્યા એ તે જાણે અને ત્યાંના લોકો જાણે, મને કઈ ખબર નથી. રાત્રે
બે-ત્રણ વાગ્યે પોલીસ મારા ઘરે આવી હતી ત્યારે મને ખબર પડી કે અનંતભાઈ મારા વિશે
કંઈ બોલ્યા છે. માટે ત્યારે મેં ટેલિફોનમાં મામલો થાળે પાડ્યો હતો. જ્યારે સામાજિક
કાર્યક્રમમાં આવી રીતે અનંત પટેલનું બોલવું કેટલું યોગ્ય?.
એ બાબતે સવાલ પૂછતાં મોહનભાઈએ જણાવ્યું હતું કે એ તો
હવે અનંતભાઈએ જોવું જોઈએ. જોકે પ્રજાને ખબર જ છે કે કોની જોડે રહેવું અને કોની
જોડે નહીં, એટલે પ્રજા મારી સાથે જ છે અને
રહેવાની છે.
અનંત પટેલે દારૂનો નશો કર્યો હતો- ભાજપ મહિલા મોરચાના મંત્રી
આ મામલે મહુવા તાલુકા ભાજપનાં મહિલા મોરચાનાં મંત્રી
રેખાબેન પટેલે જણાવ્યું હતું કે દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું
આયોજન કરાયું હતું, જેમાં સમાજ સાથે જોડાયેલા રાજકીય, સામાજિક નેતાઓ હાજર રહ્યા હતા, જ્યાં પોતાના વક્તવ્ય દરમિયાન વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સમાજની વાત કરવાની
જગ્યાએ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા વિશે ગમે તેમ વાતો ચાલુ કરી હતી અને અપમાનિત
કર્યા હતા. મોહન ઢોડિયા કેસરી ટોપી પહેરે છે,
મોહનભાઈએ શું દિશા બદલી,
મોહનભાઈ કેસરિયો કેસરિયો કરે છે. તમારે તેમની વાતોમાં
નથી આવવાનું કહી ટિપ્પણી કરી હતી. ધારાસભ્ય વિશે અનંત પટેલએ આવી ટિપ્પણી કરતાં અમે
વિરોધ નોંધ્યો હતો અને આ બાબતે વાત કરવા જતાં તેમણે અમારી સાથે વ્યવસ્થિત વાત ન
કરી, બાદમાં સમાજ ભવનના હોલ ગયા હતા, જ્યાં અનંત પટેલને આ બાબતે
માફી મગવાનું કહેતાં તેમણે સ્પષ્ટ ના કીધું હતું. બાદમાં હાજર આગેવાનોએ મધ્યસ્થી
કરી વિવાદ પૂરો કર્યો હતો. વાતચીતમાં રેખાબહેનએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અનંત
પટેલએ દારૂનો નશો કર્યો હતો.