કોરોના મહામારીમાં અનિશ્ચિતતાના કારણે વસિયત લખાવવાનો ટ્રેન્ડ વધ્યો
અમદાવાદ: કોરોનાના
કાળમાં એક નવો જ ટ્રેન્ડ ગુજરાતમાં ચલણમાં છે. આ દરમ્યાન રજિસ્ટર્ડ વિલ લખાવનારાઓ
તો વધ્યાં જ છે પણ સાથોસાથ 35થી 50 વર્ષના લોકો પણ વસિયત લખાવી રહ્યાં છે. રજીસ્ટ્રી વિભાગના
આંકડાઓ મુજબ અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન સુધી કુલ 11,286 લોકોએ
વસિયતનામુ રજિસ્ટર્ડ કરાવ્યું છે. એમાંથી 60 ટકા એટલે કે
7676 વસિયત એપ્રિલથી જૂન દરમ્યાન થઈ છે જ્યારે કોરોનાનો ભય સૌથી
વધારે હતો. અન્ય 3610 વિલ જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન રજિસ્ટર્ડ થયા હતા. એટલે કે
ગત ત્રણ મહિનામાં વસિયત લખાવનારાઓની સંખ્યામાં 112.63 ટકાનો વધારો
થયો છે. જ્યારે આ દરમ્યાન મોટાભાગના રજીસ્ટ્રી કાર્યાલયો લૉકડાઉનના કારણે બંધ
રહ્યાં હતા. અમદાવાદમાં 1006 વસિયત તો જૂનના અંતિમ 15 દિવસોમાં
લખાવવામાં આવી છે. રાજકોટમાં 500થી વધારે વિલ લખાવવામાં આવ્યા
છે, પણ અહીં રજિસ્ટર્ડ કરાવવાનું ચલણ ઓછું છે.
વકીલોના જણાવ્યા પ્રમાણે આ દરમ્યાન અન-રજિસ્ટર્ડ
વસિયતનામાઓની સંખ્યામાં પણ અંદાજે 80 ટકાનો વધારો
થયો છે. જો કે તે અલગ-અલગ વકીલો પાસે લખાવવામાં આવે છે તેથી તેની સંખ્યાનો સચોટ
અંદાજ મેળવી શકાતો નથી. એવું માનવામાં આવે છે કે આરોગ્ય અને ભવિષ્યને લઈને
ચિંતાઓના કારણે આ ટ્રેન્ડ વધ્યો છે. એક સિનિયર વકીલના જણાવ્યા પ્રમાણે
ગુજરાતમાં અત્યાર સુધી વસિયતનામુ રજિસ્ટર્ડ કરાવવાનું ચલણ ઓછું રહ્યું છે.
સમય વર્તે સાવધાન: ઓછી વયના લોકો પણ વિલ લખાવતાં થયા
એડવોકેટ પ્રીતિ પંડ્યાએ કહ્યું
હતું કે વસિયતનામા વિશે પહેલા કોઈ ધ્યાન આપતું નહોતું. મોટાભાગે કોઈની તબિયત ખરાબ
હોય કે વધુ ઉંમર હોય ત્યારે વસિયત લખાવવામાં આવતી. કોરોનાના ભયના કારણે હવે
લોકોમાં જાગૃતિ આવી છે. 35થી 50 વર્ષના યુવાનો પણ વસિયતનામું તૈયાર કરાવી રહ્યા છે. મારી
પાસે હાલમાં જ 10 એવા લોકોના વિલ રજિસ્ટર્ડ થયા છે જેમની ઉંમર 47 વર્ષ સુધીની છે. પંડ્યાએ જણાવ્યું હતું કે દરેકજણે વિલ
રજીસ્ટર કરાવવું જોઈએ જેથી ભવિષ્યમાં મુશ્કેલી ન થાય.
વીમાની જેમ ભવિષ્યનું સુરક્ષા કવચ છે વિલ
જિલ્લા કોર્ટમાં સિનિયર વકીલ
ઉર્વશી દવેએ જણાવ્યું હતું કે, કોરોનામાં બધા જ એકમેકને
સુરક્ષિત રાખવા માગે છે. વસિયતનામું લખવું એ પણ એક પ્રકારની સુરક્ષા છે. વીમાની
જેમ વસિયત પણ આવો જ એક વિકલ્પ છે, જેનાથી તમારી આવનારી પેઢીઓને
ફાયદો થાય છે. મારી પાસે સામાન્યપણે મહિનામાં એક કે બે વિલ આવતા હતા પણ બે
મહિનામાં આ સંખ્યા 12-15 સુધી પહોંચી ગઈ છે. વાસ્તવમાં કોરોનાને કારણે ફેલાયેલા
ગભરાટથી વસિયતનામુ લખાવવાના ચલણમાં વધારો થયો છે.
રજિસ્ટર્ડ થયેલાં વસિયતનામા
શહેર |
જાન્યુઆરી-માર્ચ |
એપ્રિલ-જૂન |
અમદાવાદ |
3610 |
7676 |
સુરત |
239 |
105 |
વડોદરા |
780 |
1006 |
રાજકોટ |
116 |
56 |
અન-રજિસ્ટર્ડ વસિયતનામા
શહેર |
જાન્યુઆરી-માર્ચ |
એપ્રિલ-જૂન |
અમદાવાદ |
5415 |
11511 |
સુરત |
360 |
740 |
વડોદરા |
1560 |
2050 |
રાજકોટ |
183 |
317 |