સુંદરજીભાઈને આ ઘટનામાં ચાર દીકરી, ત્રણ તેના જમાઈ અને પાંચ ભાણેજનું અવસાન થયું છે.
મોરબી: મોરબીના ઝૂલતા પુલની
ઘટનામાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા આખી રાત બચાવ કાર્યમાં હતા. પણ તેઓને ખબર
પડી કે, આ ગોઝારી ઘટનામાં મારા જ 12 સગા મોતને ભેટ્યા છે ત્યારે કુંડારીયા પરિવારમ આઘાતમાં સરી
પડ્યો હતો. કુંડારીયાના બહેનના જેઠ સુંદરજીભાઈની ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ
ભાણેજ ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે મચ્છુ ડેમમાં ડૂબી ગયા હતા. આ તમામના મોત નીપજ્યા
છે. જેમાં સુંદરજીભાઈની ત્રણ દીકરી તો એક જ ગામ ખાનપરમાં જ સાસરે હતી. મૃત્યુ
પામનાર મોરબીથી 10 કિમી દૂર ખાનપર ગામના જીવાણી, રૈયાણી અને અમૃતિયા પરિવારના સભ્યો હતા. આથી જીવાણી, રૈયાણી અને અમૃતીયા
પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સુંદરજીભાઈને 6 દીકરી છે, ચારના મોત
સુંદરજીભાઈને છ દીકરી છે અને તેમાં ત્રણ દીકરી એકતાબેન જીવાણી, ધારાબેન અમૃતીયા અને
દુર્ગાબેન એક જ ગામ ખાનપરમાં સાસરે છે. ગઈકાલે એકતાબેન ચિરાગભાઈ જીવાણી, ધારાબેન હરેશભાઈ
અમૃતીયા (ઉં.વ.46), ધારાબેનના પતિ હરેશભાઈ માવજીભાઈ અમૃતિયા (ઉં.વ.47), બે પુત્રી જેન્વી
(ઉં.વ.19), ભૂમિ (ઉં.વ.17), દુર્ગાબેનની દીકરી કુંજલ સહિત 12 સભ્યો ફરવા માટે
મોરબીના ઝૂલતા પુલ પર ગયા હતા. ત્યારે પૂલ તૂટતા તમામ 12ના મોત નીપજ્યા હતા.
કુંજલ ચાર માસી સાથે ગઈ હતી. જ્યારે તેના માતા-પિતા ગયા નહોતા એટલે તેઓ બચી ગયા
છે.
ગામમાં અમૃતીયા, જીવાણી અને રૈયાણી પરિવાર આઘાતમાં
ધારાબેનના કૌટુંબિક યોગેશભાઈએ દિવ્ય ભાસ્કરને
જણાવ્યું હતું કે, અમારા અમૃતીયા પરિવારમાંથી હરેશભાઈ, તેમના પત્ની ધારાબેન, બે પુત્રી જેન્વી અને ભૂમિનું મોત થયું છે. જ્યારે ગામના રૈયાણી પરિવારમાંથી
એક દીકરી કુંજલનું મોત થયું છે. તેમજ અમારા ગામમાંથી જ જીવાણી પરિવારમાં ચિરાગ
જીવાણીના પત્ની એકતાબેનનું અવસાન થયું છે. આમ જોવા બધા એક ફેમિલીના થાય છે.
હરેશભાઈના સસરા સુંદરજીભાઈ જબલપુરના છે. સુંદરજીભાઈને આ ઘટનામાં ચાર દીકરી, ત્રણ તેના જમાઈ અને પાંચ
ભાણેજનું અવસાન થયું છે.
ગામમાં એકદમ ગમગીનીભર્યો માહોલ છે
યોગેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ બનાવ છે. અમારા
ગામના જીવાણી પરિવારના ચિરાગભાઈના એકતાબેન સાથે એક વર્ષ પહેલા લગ્ન થયા હતા.
ચિરાગભાઈ મારા પાડોશી હતા. હરેશભાઈ મારા કૌટુંબિક ભાઈ થતા હતા. રૈયાણી પરિવારમાંથી
દીકરી અવસાન પામી છે તેના પપ્પા શૈલેષભાઈ મારા મિત્ર છે. ગામમાં એકદમ ગમગીન માહોલ
છે. ચારેય બાજુ રોકકળ છે. અમારા ગામની વસ્તી 5
હજારની છે. આ ઘટાના પાછળ જે કોઈ તંત્ર કે કોઈ જવાબદાર
છે તેના પર પૂરેપૂરા પગલા લેવા જોઈએ. આ લોકોને ખરેખર ન્યાય આપીને સરકારે
શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. સરકાર ખરા દિલથી કરવા માગતી હોય તો ન્યાય આપી શ્રદ્ધાંજલિ
આપે તેવી મારી માગ છે.