• Home
  • News
  • ગુજરાતમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા, ‘હોમ’ નમ: શિવાય, ઘરને મંદિર માનો... ઘરમાં જ રહો...
post

જનતા નહીં કાયદાકીય કર્ફ્યૂ; ઘરની બહાર નીકળશો તો દંડાશો, લોકોને કાબૂમાં રાખવા SRP, RAFની કંપની તહેનાત

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 09:58:00

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસારને ધ્યાનમાં લઈ સંપૂર્ણ રાજ્યમાં 31 માર્ચ સુધી સરકારે લૉકડાઉન કરી દીધું છે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરાઈ છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. લૉકડાઉનનું ચુસ્ત પાલન માટે પોલીસ ઉપરાંત એસઆરપીની 6 કંપની, રેપિડ એક્શન ફોર્સની 4 કંપની પણ રાજ્યમાં તહેનાત રહેશે. પોલીસે ગુજરાતના તમામ  જિલ્લાની અને રાજ્યની અન્ય રાજ્યો સાથેની બોર્ડર સીલ કરી દીધી છે. આ લૉકડાઉનમાં દવાઓ, કરિયાણુ, દૂધ અને શાકભાજી, ફળ, ઇંધણના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વાહનોને મુક્તિ અપાઈ છે. આ સાથે જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાન પણ ચાલુ રહેશે.

90 કલાકમાં 1400 કેસ વધ્યાં
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ ભયાનક સ્તરે પહોંચી ગયો છે, 24 જ કલાકમાં 12 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે સંખ્યા 30 પર પહોંચી ગઇ છે. છેલ્લા 90 કલાકમાં જ આશરે 1400 ટકા કેસ વધ્યા છે. સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં મળ્યા છે. આ સ્થિતિ જોતા હવે સમગ્ર રાજ્યમાં 31 માર્ચ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. તેનું કડકાઈથી પાલન કરાશે. આ મહામારીથી બચવાનો એક જ વિકલ્પ છે કે આપણે પોતાને સુરક્ષિત રાખીએ. પોતાના ઘરમાં જ રહીએ અને બને ત્યાં સુધી બીજા લોકો સાથે અંતર જાળવીએ.

નિયમપાલન સારી રીતે કરશો તો 31મી સુધી આપણે જીતી જઈશું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ હાઉસથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ હોસ્પિટલમાં દાખલ કોરોના પીડિત દર્દી સાથે વાત કરી અને તેમની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી તથા તેમનો જુસ્સો વધાર્યો હતો. સીએમે કહ્યું કે ગુજરાતમાં કોરોના બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે છે. તેનાથી બચવાનો એક જ ઉપાય છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને લોકો ઘરમાંથી બહાર ના નીકળે. નિયમનું પાલન કરશે તો 31મી સુધી આપણે આ વાઈરસને કંટ્રોલ કરી લઈશું.

ગુજરાતમાં 19થી 23 માર્ચ સુધી પોઝિટિવ કેસ  0થી 30 થયા એટલે 1400% વધ્યા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 નવા કેસ સાથે ગુજરાતમાં 30 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 19થી 23 માર્ચ સુધીમાં 1400 ટકા પોઝિટિવ કેસ વધ્યાં. સોમવારે મળેલા 12 નવા કેસમાં 6 કેસ તો ચેપગ્રસ્ત દર્દીને કારણે લાગેલા ચેપના છે. એટલે હવે ગુજરાતમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ચેપ લાગવાનું ખતરનાક સ્ટેજ શરૂ થઈ ગયું છે એટલે સતર્ક રહેવાની જરૂર છે.

અમદાવાદ-વડોદરા અત્યંત સંવેદનશીલ
અમદાવાદ અને વડોદરા કોરોના માટે સૌથી સંવેદનશીલ છે. વિદેશમાંથી સૌથી વધુ લોકો અહીં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 13 કેસ મળ્યા છે. માત્ર સોમવારે જ 6 કેસ મળ્યાં હતા. વડોદરામાં પણ સોમવારે 3 નવા કેસ નોંધાયા છે. બંને શહેરોમાં લોકલ ટ્રાન્સમિશનની સંખ્યા પણ વધી છે. 

હવે લૉકડાઉનથી નહીં માનો તો કર્ફ્યૂ જ વિકલ્પ
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ લૉકડાઉન હતું પરંતુ લોકો રસ્તા પર નીકળી આવતા હતા. આથી ત્યાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધવા લાગી. ત્યારપછી બંને રાજ્યોમાં સખ્ત કર્ફ્યૂની જાહેરાત કરવી પડી. જો ગુજરાતમાં લૉકડાઉનને ગંભીરતાથી લોકો નહીં લે તો પોલીસ કડકાઈથી કર્ફ્યૂનું પાલન કરશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post