• Home
  • News
  • દાદરાનગર હવેલીમાં નટરાજ હોટેલમાં યુવકે યુવતીનું ગળું દબાવી પતાવી દીધી, બાદમાં પોતે પંખે લટકી ગયો
post

દારૂના કારણે સંસાર વસે એ પહેલાં વિખેરાઇ ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 18:16:05

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી નટરાજ હોટલમાંથી હત્યા અને આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનથી આવેલા યુવક-યુવતીએ હોટેલનો એક રૂમ બુક કર્યો હતો. બાદમાં સાંજે વેઇટર જમવાનું ઓર્ડર લેવા જતાં દરવાજો ન ખોલતા મેનેજરને જાણ કરી હતી. મેનેજરને કંઇક અજુગતુ લાગતાં પોલીસને જાણ કરી, પોલીસે આવીને રૂમ ખોલતાં યુવતીની લાશ બેડ પર પડી હતી અને યુવક પંખે લટકીને ગળે ફાંસો ખાધો હતો. સેલવાસ પોલીસે યુવક યુવતીની લાશનો કબ્જો લઈ આગળની તપાસ ધરી છે.

વેઇટર જમવાનો ઓર્ડર લેવા ગયો ને કોઇએ દરવાજો ન ખોલ્યો
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના નરીલી રોડ ઉઓર આવેલી નટરાજ હોટલમાં મંગળવારે સાંજે યુવક યુવતીએ રૂમ ન.119 ભાડે રાખ્યો હતો. રાતે જમવાનો ઓડર લેવા ગયેલા વેઇટરે દરવાજો નોક કરતા રૂમનો દરવાજો કોઈએ ખોલ્યો ન હતો. જેથી વેઇટરે ઘટનાની જાણ હોટલના મેનેજર અને હોટલ સંચાલકને ઘટનાની જાણ કરી હતી. મેનેજરે પણ રૂમ ન. 119નો દરવાજો નોક કરીને દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રૂમમાં આવેલા યુવક યુવતીએ રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી કંઇક અજુગતું બન્યું હોવાનો વહેમ જતા હોટલ મેનેજરે સમગ્ર ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરી હતી.

આધાર કાર્ડના સરનામાના આધારે ઓળખ થઇ
સેલવાસ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા રૂમ ભાડે રાખનાર યુવક પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જ્યારે યુવતીને ગળે ટુંપો આપી હત્યા કરેલી હાલતમાં લાશ બેડ ઉપર પડેલી હાલતમાં મળી આવી હતી. ઘટના અંગે સેલવાસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ટીમ ઘટના સ્થળે પહોંચી રૂમ ન. 119ની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે સેલવાસ SP રાજેન્દ્ર પ્રસાદ મીણા સહિત નવા મહિલા IPS અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે હોટલનો રૂમ બુકિંગ કરાવતી વખતે આપેલા આધાર કાર્ડના સરનામુ જોતા આ યુવક રાજસ્થાનથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

યુવક અને યુવતી વચ્ચે શું સંબંધ?
સેલવાસ પોલીસે હત્યા અને આત્મા હત્યાનો ભેદ ઉકેલવા હોટલના CCTV ફૂટેજ અને હોટલ બુકિંગ વખતે લખાવેલા એડ્રેસ અને ફોન નંબર ઉપર યુવક યુવતીના પરિવાર જનોની શોધખોળ હાથ ધરી હતી. રાજસ્થાનથી સેલવાસ આવવાનું કારણ અને યુવક યુવતી વચ્ચેના સંબંધો અને મોતનું ચોક્કસ કારણ જાણવા હાલ પોલીસ તપાસ કરી રહી છે.

નવસારીમાંથી પણ આવો જ બનાવ સામે આવ્યો હતો
બે દિવસ અગાઉ નવસારીમાંથી આવો જ બનાવ સામે આવ્યો હતો. જોકે, તેમાં કારણ હતું પ્રેમ પ્રકરણ.. નવસારીના બીલીમોરામાં લિવ-ઇનમાં રહેતાં પ્રેમી-યુગલનો ઘરસંસાર વસે એ પહેલાં જ અંત આવ્યો હતો. દારૂ પીવાની ટેવ ધરાવતા પ્રેમીને સગીર પ્રેમિકાએ પીવાની ના પાડતાં આવેશમાં આવેલા પ્રેમીએ ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં પસ્તાવો થતાં પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આંખો મળીને પ્રેમનાં પુષ્પો ખીલ્યાં
મૂળ બિહારનો પરિવાર વર્ષોથી બીલીમોરાના આંતલિયા ખાતે રહે છે. આંતલિયા ગામના શિવશક્તિનગરમાં રહેતા અને ચીખલીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા 27 વર્ષીય રાજા સુરેન્દ્ર સિંહ રાજપૂતની આંખો આંતલિયા ખાતે રહેતી 16 વર્ષીય સગીરા સાથે મળી જતાં બંને વચ્ચે પ્રેમનાં પુષ્પો ખીલી ઊઠ્યાં હતાં, જેની સુવાસ બંનેના પરિવારો સુધી પહોંચતાં તેમણે એકાદ વર્ષ અગાઉ તેમને પતિ-પત્ની તરીકે સાથે રહેવાની મંજૂરી આપી હતી અને સગીરાની ઉંમર 18 વર્ષની થાય ત્યારે લગ્ન કરાવવાનાં હતાં.

દારૂના કારણે સંસાર વસે એ પહેલાં વિખેરાઇ ગયો
શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું હતું, પરંતુ વખત જતાં પ્રેમીને દારૂની લત લાગતાં તે નશાના રવાડે ચડ્યો હતો. આ બાબતે સગીર પ્રેમિકા પ્રેમીને નશો ન કરી રેગ્યુલર નોકરી કરવા માટે સમજાવતી હતી. આ બાબતે અવારનવાર પ્રેમિકા વિરોધ કરતાં ઝઘડા પણ થતા હતા. ગત ગુરુવારે રાત્રે રાજા નશો કરીને ઘરે આવતાં બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. જે ઝઘડામાં યુવકે સગીરાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને બાદમાં પોતે પંખે લટકી ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post