ફાંસી આડેના તમામ અંતરાય હટ્યા પછી આશાદેવીએ કહ્યું હતું, મારી આ લડાઈ દેશની તમામ દીકરીઓને અર્પણ કરું છું
અમદાવાદ: બહુચર્ચિત નિર્ભયા કેસના ચારે ય ગુનેગારોએ
ફાંસીથી બચવા શક્ય તમામ પ્રયાસ કર્યા. ઐતિહાસિક રીતે સર્વોચ્ચ અદાલત રાત્રે અઢી
વાગ્યે ખૂલી અને જસ્ટિસ ભાનુમતિએ તમામ અરજી ફગાવી દીધી એ સાથે ફાંસીનો માર્ગ
ખુલ્લો થયો. સવારે સાડા પાંચ વાગ્યે તિહાર જેલમાં ચારેય ને ફાંસી અપાયા પછી
ભાવવિભોર બનેલી નિર્ભયાની માતા આશાદેવીએ માધ્યમો સમક્ષ કહ્યું હતું કે, આજે મેં દીકરીની તસવીરને ગળે લગાવીને મનોમન
કહ્યું કે બેટા બહુ મોડું થયું છે તો પણ આજે મેં તને ન્યાય અપાવ્યો છે.
બાર વર્ષની અડગ લડાઈ
નિર્ભયા સાથે દુષ્કર્મ
થયું એ પછી તરત આઘાતમાંથી બહાર આવીને તેની માતા આશાદેવીએ નિર્ભયાને ન્યાય મળે એ
માટે અદાલતના ચક્કર કાપવાના શરૂ કર્યા હતા. અત્યંત સાધારણ પરિવારમાંથી આવતાં હોવા
છતાં આશાદેવીએ પૂરી મક્કમતાથી કાનૂની આંટીઘૂંટીનો આરોપીએ દ્વારા થઈ રહેલાં ઉપયોગનો
સામનો કર્યો હતો અને આરોપીની પ્રત્યેક ચબરાકીને પડકારી હતી. સમાંતરે માધ્યમો
સાથેની મુલાકાતોમાં પણ આશાદેવીએ બહુ જ પ્રભાવક રીતે પોતાનો લાગણીસભર પક્ષ રજૂ
કરીને સમગ્ર દેશનું દિલ જીતી લીધું હતું. પોતાની દીકરીને ન્યાય અપાવવા સતત સંઘર્ષ
કરી રહેલી મા તરીકે આશાદેવીને દેશભરની મહિલાઓનું પીઠબળ મળ્યું હતું.
દેશની તમામ દીકરીઓને આ લડાઈ અર્પણ
રાત્રે અઢી વાગ્યે
સર્વોચ્ચ અદાલતમાં કાનૂની જંગ ચાલી રહ્યો હતો ત્યારે પણ નિર્ભયાની માતા આશાદેવીએ
ગુનેગારોને આજે જ ફાંસી થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ ભાનુમતિએ
ગુનેગાર પવનની અરજી ખારિજ કરી દીધા પછી આંખમાં આંસુ સાથે આશાદેવીએ કહ્યું હતું કે
મારી દીકરી તો જતી રહી છે. એ હવે પાછી આવવાની નથી. પરંતુ તેમ છતાં ય હું આ લડાઈ 7 વર્ષથી લડતી રહી છું. મારી આ લડાઈ દેશની તમામ
દીકરીઓને અર્પણ કરું છું.