રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી તેના એક તૃતિયાંશ સભ્યો દર બે વર્ષ ચૂંટાય છે
ગાંધીનગર: રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું
પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. છઠ્ઠી માર્ચથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલું થઈ
છે. જાહેરનામું વિધાનસભા સચિવાલયમાં લગાડી દેવાયું છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા
શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પંચ દ્વારા 13મી માર્ચ ફોર્મ ભરવાની અંતિમ તારીખ નક્કી થઈ છે. આથી ભાજપ અને કોંગ્રેસ
બંને રાજકીય પક્ષો આ દિવસે જ ફોર્મ ભરશે તેવું માનવામાં આવે છે પરંતુ બંને પક્ષોના
હાઇકમાન્ડ દ્વારા ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હોળાષ્ટક પછી બન્ને
રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો નક્કી કરીને છેલ્લા દિવસે જ ફોર્મ ભરાવશે.
30 વર્ષની વ્યક્તિ ફોર્મ ભરી શકે, વિધાનસભાના 10 સભ્યની સંમતિ જોઈએ
આ માટે ફોર્મ ભરવાની
પ્રક્રિયામાં પણ કેટલીક મહત્વની બાબતો છે જેના કારણે ગમે તે વ્યક્તિ આ ફોર્મ ભરી
શકતી નથી. પ્રથમ ઉંમર 30
વર્ષની મર્યાદા તેમજ
ફોર્મમાં રાજ્ય વિધાનસભાના ઓછામાં ઓછા દસ સભ્યોની સંમતિ દર્શાવ્યું સહીવાળું ફોર્મ
ભરવાનું રહે છે. રાજ્ય સભામાં કુલ 250 સભ્યોનું સંખ્યાબળ છે જેમાંથી 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે
છે. બાકીના સભ્યો રાજ્ય વિધાનમંડળ અને કેન્દ્ર શાસિત પ્રદેશના ચૂંટાયેલા સભ્યો કરે
છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી તેના એક તૃતિયાંશ સભ્યો દર બે વર્ષ
ચૂંટાય છે આ ચૂંટાયેલા સભ્યોની મુદ્દત 6 વર્ષની નક્કી કરવામાં આવી છે.
બંને પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગી
રાજ્યસભાએ ભારતના ઉપલા
સદન તરીકે ઓળખવામાં આવે છે. આ માટેની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણીપંચ મારફતે રાજ્યોની
વિધાનસભા દ્વારા કરવામાં આવે છે. આ ચારેય બેઠકોની ચૂંટણી પ્રક્રિયા 30 માર્ચ 2020ના પૂર્ણ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. આ માટે
બન્ને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જોરશોરમાં ચાલી રહી છે.
ભાજપમાંથી ચારેય બેઠકો પર ઉમેદવારો ઊભા કરવામાં આવે અને સામે કોંગ્રેસ તે રીતે કરે
તો ચૂંટણી નિશ્ચિત છે. પરંતુ બન્ને વચ્ચે સમજુતી કરીને બે-બે બેઠકોની ફાળવણી થઈ
જાય તો બિનહરીફ થઈ શકે છે. હાલના ગણિત પ્રમાણે ભાજપને એક બેઠકનું નુકસાન છે એટલે
ભાજપ-2 અને કોંગ્રેસ-2 બેઠકો રહે તેવું ચિત્ર બને છે.