• Home
  • News
  • ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ
post

વંદે ભારત મિશન અંતર્ગત પ્લેન દુબઇથી ભારત આવ્યું હતું, વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યમંત્રી સાથે પ્લેન ક્રેશ અંગે વાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-08 08:47:39

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. ભારે વરસાદના લીધે સાંજે 7.41 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે મલ્લાપુરમના એસપીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે. તેમાં એરફોર્સના રિટાયર્ડ વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે સામેલ છે જેઓ પ્લેન ઉડાવી રહ્યા હતા. કો પાયલટ અખિલેશ કુમાર પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ ફ્લાઇટમાં ક્રૂ સહિત 191 મુસાફરો હતા. તેમાં 128 પુરુષ, 46 મહિલા, 10 નવજાત બાળકો અને 7 ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને 5 કેબિન ક્રૂ) સામેલ હતા.

દુબઈથી આવેલા વિમાનમાં મોટાભાગના લોકો કુટુંબ સાથે આવ્યા હતા. હાલમાં નિયમિત વિમાન સેવા બંધ હોવાથી વંદે ભારત મિશન હેઠળ ચલાવાતી વિમાની સેવાનો લોકો લાભ લઈ રહ્યાં છે. અકસ્માતમાં એક બાળકીનો બચાવ થયો હતો પરંતુ તેનાં માતા-પિતાની ભાળ મળી શકી નથી. પોલીસ કર્મચારીએ કહ્યું કે તેના માતા-પિતા જીવિત છે કે કોઈ હોસ્પિટલમાં છે તેનો હજુ સ્પષ્ટ ખ્યાલ આવ્યો નથી.

ટેબલ ટોપ છે કરિપુર એરપોર્ટનો રનવે એટલે કે રનવેની આગળ ઊંડી ખીણ છે
કોઝિકોડના કરિપુરનું એરપોર્ટ પર્વતીય વિસ્તારમાં છે. તેનો રનવે ટેબલ ટોપ છે. એટલે કે, એક ચોક્કસ અંતર પછી રનવેના આગળના ભાગમાં ઊંડી ખીણ છે. આવા સ્થળે પાઈલટ પાસે વિમાન રોકવા માટે ઘણી ઓછી જગ્યા હોય છે. એવું કહેવાય છે કે, ભારે વરસાદના કારણે લેન્ડિંગ કરતા સમયે વિમાન રનવે પર આગળ નીકળીને ખીણમાં પડી ગયું.

મોદી-અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે વાત કરી છે. વિજયને પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય અધિકારીઓને રાહત અને મેડિકલ સહાયતા માટે તમામ વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ એનડીઆરએફના ડીજીને શક્ય એટલી ઝડપે ઘટના સ્થળે પહોંચવાનો આદેશ કર્યો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે ભારે વરસાદને કારણે રન-વે પર પાણી ભરાયું હતું.

કોરોના મહામારીના લીધે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે ભારત મિશન અંતર્ગત આ પ્લેન અહીં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે આ દુર્ઘટના અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને અત્યારે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.

આ દુર્ઘટના કેવી રીતે બની?
આ બોઇંગ 737 પ્લેનનું રન વે પર ક્રેશ લેન્ડિંગ થયું હતું. શહેરમાં ભારે વરસાદ થઇ રહ્યો હતો. DGCAના જણાવ્યા પ્રમાણે વિઝિબિલિટી 2000 મીટર હતી. રન વે નંબર 10 પર પ્લેન લપસીને આગળ ગયું અને ખાઇમાં પડી ગયું હતું. ઘટના બાદ પ્લેનમાં આગ નહોતી લાગી કારણ કે ત્યારે વરસાદ વધુ હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મીડિયા વિભાગના એડિશનલ ડીજી રાજીવ જૈનના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં બે પાયલટ અને 5 કેબિન ક્રૂ સિવાય 174 પેસેન્જર અને 10 નવજાત બાળકો હતાં. ઘટના બાદ અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

DGCA દ્વારા તપાસના આદેશ
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આ ઘટના મામલે તપાસના આદેશ આપવામા આવ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમા કહ્યું કે આ ફ્લાઇટમાં બે પાયલટ સહિત 6 ક્રૂ મેમ્બર ઓનબોર્ડ હતા. તેમાં 174 પેસેન્જર હતા અને આજે એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેન ફસડાઇ ગયું હતું. દુર્ઘટનાની તસવીરો સામે આવી છે તે ડરામણી છે. કારણ કે આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેનના બે ટુકડા થઇ ગયા છે. વરસાદના લીધે આ દુર્ઘટના બની હોવાની શક્યતા છે.

35 ફુટ ઉંડી ખાઈમાં પ્લેન પડ્યું
રિપોર્ટ્સ પ્રમાણે સાંજે 7.38 વાગ્યે આ ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી. ત્યારે ભારે વરસાદ થઇ રહ્યો હતો. ટચડાઉન કરતાજ પ્લેન રનવે પર લપસી પડ્યું હતું અને 30 ફુટ ઉંડી ખાઈમાં પડી ગયું હતું. કોઝિકોડ એરપોર્ટ એક ટેબલટોપ એરપોર્ટ છે જે પહાડ પર સ્થિત છે. અહીં આસપાસ ખાઇ હોય છે તેથી પાયલટને સાવધાનીપૂર્વક લેન્ડિંગ કરવું પડે છે.

ગૃહમંત્રી અમિત શાહનું ટ્વિટ
એર ઇન્ડિયા એક્સપ્રેસ દુર્ઘટના અંગે સાંભળીને દુખ થયું. રેસ્ક્યૂ માટે NDRFની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post