NRC-CAAના વિરોધને ધ્યાનમાં રાખીને જાપાનના વડાપ્રધાન શિંજો આબેનો ગુવાહાટી પ્રવાસ રદ થયો હતો
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા(CAA)ના વિરોધને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદીની આસામ પ્રવાસ રદ કરવો પડ્યો છે. મોદીએ ગુવાહાટીમાં 10 જાન્યુઆરીએ ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2020નો પ્રારંભ કરવાનો હતો. ત્રીજી યૂથ ગેમ્સ 10થી 22 જાન્યુઆરીએ રમાશે. રાજ્યમાં CAA વિરુદ્ધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી સંગઠન ઓલ આસામ સ્ટુડન્ટ યૂનિયને વડાપ્રધાનના ઉદ્ધાટન સમારોહમાં આવવા અંગે ભારે વિરોધની ચેતવણી આપી હતી.
ખેલો ઈન્ડિયા ગેમ્સના CEOએ કહ્યું કે, અમે વડાપ્રધાન મોદીને ઉદ્ધાટન સમારોહમાં આમંત્રિત કર્યા હતા, અત્યાર સુધી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી. પરંતુ અનઓફિશીયલ રીતે અમને કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નહીં આવી શકે.
શિંજો આબેનો પ્રવાસ પણ ટળ્યો, બાંગ્લાદેશના વિદેશ મંત્રી પણ આવી શક્યા ન હતા
CAA અને NRCના મુદ્દે આસામ સહિત પૂર્વોત્તરમાં ડિસેમ્બરથી મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન થયેલી હિંસામાં 6 લોકોના મોત થયા હતા. વિરોધના કારણે ગુવાહાટીમાં 15થી 17 ડિસેમ્બર વચ્ચે થનારી ભારત-જાપાન સમિટ પણ રદ કરવી પડી હતી. જેના કારણે વડાપ્રધાન મોદી અને શિંજો આબેની મુલાકાત ટળી ગઈ હતી. તો બીજી બાજુ NRC અને CAA અંગે બાંગ્લાદેશ વિદેશ મંત્રી અબ્દુલ મોમિન અને ગૃહમંત્રી અસદુજ્જમાને તેમનો ભારતનો પ્રવાસ રદ કર્યો હતો.