પદયાત્રા કરી રહેલા લોકો અંગે સુપ્રીમમાં સુનાવણી
નવી
દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે હજારો પ્રવાસી શ્રમિકોનો મુદ્દો ઉઠ્યો
હતો. આ લોકો લૉકડાઉનને કારણે કોઈપણ જાતના સાધન વિના ભૂખ્યા-તરસ્યાં પગે ચાલીને ઘરે
જઈ રહ્યા છે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેના નેતૃત્ત્વ હેઠળની બેન્ચે તેમને રાહત આપવાની
માંગણી અંગેની અરજીની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું
કે હાલના સમયમાં ડર અને દહેશત કોરોના કરતાં પણ મોટી સમસ્યા છે. કેન્દ્ર આ મામલે
જણાવે કે તેમણે આ લોકો માટે શું વ્યવસ્થા કરી છે. એક દિવસમાં જવાબ આપવા જણાવાયું
છે. કોર્ટ હવે મંગળવારે બપોરે 12.15 વાગ્યે
આ કેસની સુનાવણી કરશે.
જાહેરહિતની અરજીમાં
વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે કહ્યું કે કોરોનાના આ સંકટના સમયે સૌથી વધુ પીડિત નહીં
નોંધાયેલા પ્રવાસી શ્રમિક છે. તેઓ દેશના અલગ-અલગ શહેરોમાં રિક્ષાચાલક, કારખાનાના
મજૂર, ઘરના નોકર તરીકે કામ કરે છે. તેમની પાસે
સંસાધન કે એટલા પૈસા નથી કે લૉકડાઉનના 21 દિવસમાં
ગુજારો કરી શકે. કેન્દ્રએ 1.7 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે પણ
પ્રવાસમાં ફસાયેલા આ શ્રમિકોને તેનો લાભ મળી શક્યો નથી.