ભારતનું ગગનયાન આપણા સ્પેસ સેક્ટરને નવી ઊંચાઈએ લઈ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. વડાપ્રધાને વિક્રમ સારાભાઈ ઈસરોના ચીફ એસ સોમનાથ સાથે સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી છે. મોદી અહીં લગભગ રૂ.1800 કરોડના ત્રણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને દેશના પ્રથમ મેન્ડ સ્પેસ મિશન ગગનયાનની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાને ગગનયાન મિશન પર મોકલવામાં આવનાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી અને તેમને અવકાશયાત્રી વિંગ્સ આપી. ગગનયાન મિશન પર જે અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે તેમાં ગ્રૂપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજિત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા સામેલ છે.
PMની સ્પીચ વિગતવાર વાંચો...
આજે જળ, જમીન, આકાશ અને અવકાશમાં ઐતિહાસિક કાર્યોની ખ્યાતિ મળી રહી છે
વડાપ્રધાને કહ્યું- હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ ઊભા થઈને આપણા અવકાશયાત્રીઓને અભિવાદન પાઠવે. દરેક રાષ્ટ્રની વિકાસયાત્રામાં કેટલીક એવી ક્ષણો આવે છે જે વર્તમાનની સાથે ભવિષ્યની પણ પેઢીઓને પણ વ્યાખ્યાયિત કરે છે. આજે ભારત માટે આ એક એવી ક્ષણ છે, આપણી વર્તમાન પેઢી ખૂબ જ ભાગ્યશાળી છે જેને જળ, જમીન, આકાશ અને અવકાશમાં ઐતિહાસિક કાર્યોની ખ્યાતિ મળી રહી છે.
4 લોકો 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને અવકાશમાં લઈ જશે
વડાપ્રધાને કહ્યું- થોડા સમય પહેલાં દેશને પહેલીવાર 4 ગગનયાન યાત્રીઓ સાથે પરિચય થયો હતો. આ માત્ર 4 નામ કે 4 વ્યક્તિઓ નથી, આ ચાર શક્તિઓ છે જે 140 કરોડ ભારતીયોની આશાઓને અવકાશમાં લઈ જશે. 40 વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં જઈ રહ્યા છે પરંતુ આ વખતે સમય આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણું છે.
2035 સુધીમાં ભારતનું અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- ગયા વર્ષે ભારત ચંદ્રના સાઉથ પોલ પર તિરંગો ફરકાવનાર પ્રથમ દેશ બન્યો હતો. આજે શિવ-શક્તિ પોઇન્ટ સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવી રહ્યો છે. PMએ કહ્યું- 2035 સુધીમાં ભારતનું અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે. આ સ્પેસ સ્ટેશનની મદદથી ભારત અવકાશના અજાણ્યા વિસ્તારનો અભ્યાસ કરી શકશે. અમૃતકાળનો આ સમયગાળો ભારતીય અવકાશયાત્રીઓ આપણા પોતાના રોકેટમાં ચંદ્રની સપાટી પર ઊતરશે.