CJIએ કહ્યું- ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની કોઈ જવાબદારી હોય એવું લાગતું જ નથી
નવી દિલ્લી: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
(CJI) એનવી રમનાએ કેસની મીડિયા ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે
મીડિયા કાંગારૂ કોર્ટ ચલાવી રહ્યું છે. આવી સ્થિતિમાં અનુભવી ન્યાયાધીશોને પણ
નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. તેમણે કહ્યું હતું કે પ્રિન્ટ મીડિયામાં હજુ પણ
જવાબદારી છે, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ મીડિયાની કોઈ જવાબદારી હોય એવું લાગતું જ નથી.
CJIએ કહ્યું હતું કે અમે
જોઈએ છીએ કે કોઈપણ કેસ બાબતે મીડિયા ટ્રાયલ શરૂ થાય છે. ઘણી વખત અનુભવી ન્યાયાધીશો
માટે નક્કી કરવું પણ મુશ્કેલ બની જાય છે. ન્યાય વિતરણ સંબંધિત મુદ્દાઓ પર ખોટી
માહિતી અને એજન્ડા આધારિત ચર્ચા લોકશાહી માટે હાનિકારક સાબિત થાય છે. તમારી
જવાબદારીઓથી આગળ વધીને તમે આપણી લોકશાહીને બે ડગલાં પાછળ લઈ જઈ રહ્યા છો.
જજોને પણ રાજકારણીઓની
જેમ સુરક્ષા મળવી જોઈએ
CJI રમનાએ કહ્યું હતું કે આજકાલ જજો પર હુમલા વધી રહ્યા છે. પોલીસ અને રાજકારણીઓને
નિવૃત્તિ પછી પણ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે જજોને પણ
સુરક્ષા આપવી જોઈએ. CJIએ કહ્યું હતું કે તેઓ રાજકારણમાં આવવા ઈચ્છતા હતા, પરંતુ નિયતિના મનમાં
કંઈક બીજું મંજૂર હતું. જોકે જસ્ટિસ રમનાએ કહ્યું હતું કે તેમને જજ બનવાનો અફસોસ
નથી.
સામાજિક મુદ્દાઓથી મોં
ફેરવી શકાતું નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં ન્યાયતંત્ર સામે સૌથી મોટા
પડકારોમાંથી એક નિર્ણય માટે મુદ્દાઓને પ્રાધાન્યતા આપવાનો છે. ન્યાયાધીશો સામાજિક
વાસ્તવિકતાઓ તરફ આંખ આડા કાન કરી શકતા નથી. સિસ્ટમ ટાળી શકાય એવા સંઘર્ષો અને
બોજથી બચવા માટે ન્યાયાધીશે દબાણયુક્ત કેસોને પ્રાથમિકતા આપવી પડશે.
જસ્ટિસ રમના ભારતના 48મા CJI છે
27 ઓગસ્ટ, 1957ના રોજ કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા જસ્ટિસ
એન.વી. રમનાએ 24 એપ્રિલ 2021ના રોજ ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેઓ હૈદરાબાદમાં કેન્દ્રીય વહીવટી
ટ્રિબ્યુનલમાં કેન્દ્ર સરકારના સ્થાયી સલાહકાર અને રેલવે સલાહકાર પણ રહ્યા છે.
આંધ્રપ્રદેશ ઉપરાંત તેઓ એડવોકેટ જનરલ પણ રહી ચૂક્યા છે. તેમણે 10 માર્ચ, 2013થી 20 મે, 2013 સુધી આંધ્રપ્રદેશ
હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. તેમની 27 જૂન, 2000ના રોજ આંધ્રપ્રદેશ
હાઈકોર્ટમાં કાયમી જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.