મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2079ના પ્રથમ દિને અડાલજ ખાતેના દાદા ભગવાનના ત્રિમંદિર જઈને શિશ ઝૂકાવીને દર્શન અને પ્રાર્થના કર્યા હતા
રાજ્યભરમાં આજે વિક્રમ સંવત 2079નો પ્રારંભ થઈ ગયો છે. નવા વર્ષના પ્રારંભમાં જ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ પણ
જામી ગયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય
દેવવ્રતને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે રાજભવન ખાતે ઉપસ્થિત વિવિધ
ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારીઓ, રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર
સહિત અન્ય ઉચ્ચ અધિકારીગણ, પ્રજાજનો અને રાજભવન પરિવારના સભ્યો સાથે પણ રાજ્યપાલે નૂતન વર્ષે શુભેચ્છાઓની
આપ-લે કરી મંગલ કામના પાઠવી હતી.
દાદા ભગવાનના આશીર્વાદ લીધા
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2079ના પ્રથમ દિને અડાલજ ખાતેના
દાદા ભગવાનના ત્રિમંદિર જઈને શિશ ઝૂકાવીને દર્શન અને પ્રાર્થના કર્યા હતા. તેમણે
દાદા ભગવાનના સૌ અનુયાયીઓને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સવારે ટેલિફોનિક વાતચીત
કરીને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2079નો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ
મંદિરમાં દર્શન અને આરતી દ્વારા કર્યો હતો. ત્યારબાદ દર વર્ષની જેમ અમદાવાદના
નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યાં હતા જ્યાં નવા
વર્ષ નિમિતે માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ભદ્રકાળીના દર્શન કર્યા બાદ
મુખ્યમંત્રી શાહીબાગ ખાતે એનેક્ષી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના કાર્યકરો તથા
નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તમામ લોકોને મુખ્યમંત્રી રૂબરૂ મળીને
શુભેચ્છા આપી હતી.
ત્યારબાદ મુખ્યમંત્રી IPS અધિકારીઓના સ્નેહ મિલન સમારંભમાં પહોંચ્યા હતા. IPS
મેસમાં મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા
સહિતના IPS અધિકારીઓ હાજર રહ્યા હતા.