CM વિજય રૂપાણીએ કહ્યું મંદી માત્ર હવા છે ! MSME એકમોને પ્રોત્સાહન આપવા સોલર પોલીસીમાં ફેરફાર
ગાંધીનગર: દેશભરમાં નોટબંધી અને જીએસટી આવ્યાં બાદ મંદીનો માહોલ છે, દેશનો જીડીપી દર 5 ટકાના નીચા તળિયે આવી ગયો છે, ઓટોમોબાઇલ સેક્ટરમાં કંપનીઓએ કાર સહિતના વાહનોના ઉત્પાદન ઘટાડવા પડ્યાં છે અને આવા મંદીના માહોલમાં સીએમ વિજય રૂપાણીને લાગી રહ્યું છે કે મંદીની માત્ર વાતો છે, મંદી એક હવા છે, એટલે કે તેમને મંદી દેખાતી નથી, એક પત્રકારે મંદી પર પૂછેલા જવાબમાં વિજય રૂપાણીએ જણાવ્યું કે ભાઇ, અત્યારે અમારી પાસે આવા કોઇ આંકડા નથી, મંદી એક હવા છે, અત્યાર સુધી કોઇ MSMEનાં એકમો મંદીથી બંધ થઇ ગયા હોય તેવું પણ સામે આવ્યું નથી, અમે જનતા માટે કામ કરી રહ્યાં છીએ, લોકો ધંધો કરી રહ્યાં છે, ભૂતકાળમાં બધા કહેતા હતા કે આપણે ત્યાં પાવર મોંઘો છે, પરંતુ અમારી સરકારી પોલીસીએ બધુ બદલી નાખ્યું છે, અને ધંધા ચાલી રહ્યાં છે, તેમને કહ્યું કે અમારી સરકાર માત્ર જનતા માટે કામ કરી રહી છે.
સૌરઉર્જાને લગતી મહત્વની જાહેરાત
CM રૂપાણી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સૌરઉર્જા પોલીસીને લગતી કેટલીક જાહેરાતો કરી છે, ગ્રીન ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે અને MSME એકમો સોલર પેનલનો ઉપયોગ કરતા થાય તે માટે મહત્વની જાહેરાત કરી છે, મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે સૌરઉર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત આપવાનું રાજ્ય સરકારે નક્કિ કર્યું છે. સરકારના નવા નિર્ણય પ્રમાણે સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરાઇ છે. હવે, MSME એકમો મંજૂર થયેલા લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે, જો MSME એકમો પોતાના વપરાશ બાદની વધારાની સૌરઉર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની તેમની પાસેથી રૂ. 1.75 પ્રતિ યુનિટના ભાવે વીજળી ખરીદશે.
અંદાજે 3 રૂપિયાનો MSME એકમોને ફાયદો
ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે MSME એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને 8 રૂપિયા જેટલી રકમ આપે છે, પરંતુ આ કંપનીઓ જો પોતાની જગ્યાએ સોલાર એનર્જી ઉત્પાદન કરશે તો તેમને અંદાજે 3.80 રૂપિયાનો ફાયદો થશે, અને તેઓ ભાડાની જ0ગ્યા પર વીજ ઉત્પાદન કરે તો અંદાજે 2.75 રૂપિયાનો ફાયદો થશે.