• Home
  • News
  • કોંગ્રેસે જ્યારે-જ્યારે ચિંતન શિબિર કરી ત્યારે-ત્યારે મળ્યો પરાજય, શું ઉદયપુરથી પાર્ટીને મળશે જીતનો મંત્ર
post

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે શુક્રવારથી એટલે કે 13 મેથી ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરની શરૂઆત કરી. જ્યાં પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં જીતનો મંત્ર શોધશે. જોકે અત્યાર સુધીના ઈતિહાસમાં 2003ની શિમલા શિબિરને છોડી દઈએ તો કોંગ્રેસે જ્યારે-જ્યારે ચિંતન શિબિર કરી છે ત્યારે ત્યારે પાર્ટીને પરાજય મળ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-14 15:07:54

નવી દિલ્લી: ચૂંટણીમાં મળી રહેલી એક પછી એક હારથી સુસ્ત થઈ ગયેલી કોંગ્રેસે શુક્રવારથી ઉદયપુરમાં ચિંતન શિબિરની શરૂઆત કરી. 2024માં બીજેપીના ચૂંટણી મોડલનો સામનો કરવો માટે કોંગ્રેસ પોતાની દશા અને દિશા નક્કી કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના તમામ દિગ્ગજ ઉદયપુરમાં છે. જ્યાં દેશની રાજકીય, આર્થિક, સામાજિક, કૃષિ અને યુવાઓ સાથે જોડાયેલ મુદ્દા પર મંથન થશે. આ મુદ્દા દ્વારા કોંગ્રેસ દેશના રાજકારણમાં પોતાની વાપસીનો રોડમેપ તૈયાર કરશે.

શું ચિંતન શિબિરથી મળશે જીતનો રસ્તો?
કોંગ્રેસના રાજકીય ઈતિહાસમાં અત્યાર સુધી ચાર વખત ચિંતન શિબિર આયોજિત થઈ ચૂકી છે અને પાંચમી ઉદયપુરમાં શરૂ થઈ રહી છે. કોંગ્રેસે ચાર વખત કરેલી ચિંતન શિબિરમાં ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક વખત થયેલી ચિંતન શિબિર પછી જ જીત મળી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીના બે વર્ષ પહેલાં પાંચમી શિબિર દ્વારા કંઈક ચમત્કારની આશા રાખી રહ્યું છે. એવામાં જોવાનું રહેશે કે શું ઉદયપુરથી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીનો ઉદય થશે? શું પાર્ટી 2024ની લોકસભાની પાર્ટીમાં જીતી શકશે?

પહેલી ચિંતન શિબિર પછી મળ્યો પરાજય
કોંગ્રેસની પહેલી ચિંતન શિબિર 1974માં ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં યોજાઈ હતી. સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણના વધતા પ્રભાવને જોતાં ઈન્દિરા ગાંધીએ ચિંતન શિબિરનું આયોજન નવેમ્બર 1974માં કર્યું હતું. આ ચિંતન શિબિર ઉત્તર પ્રદેશના નરૌરામાં થઈ હતી. જ્યાં કમિટીઓએ એકઠા થઈને સરકાર અને ઈન્દિરા ગાંધી પર થઈ રહેલા સતત વ્યક્તિગત હુમલાનો જવાબ શોધવા પર વિચાર-વિમર્શ કર્યો હતો. ચિંતન અને મંથન પછી પણ ઈન્દિરા ગાંધી સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થયો અને વિપક્ષ હાવી થતું ગયું. 1977માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો. પાર્ટીની સીટોની સંખ્યા 352થી ઘટીને 154 થઈ ગઈ. જ્યારે જનતા પાર્ટી 35 સીટોથી 295 પર પહોંચી ગયું. કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી અને મોરારજી દેસાઈની આગેવાનીમાં પહેલી બિન-કોંગ્રેસી સરકાર બની.

બીજી ચિંતન શિબર પણ કોઈ પરિણામ બદલાયું નહીં
વર્ષ 1996માં કેન્દ્રની સત્તાથી બહાર થયા પછી જ્યારે કોંગ્રેસના નેતાઓમાં સત્તામાં વાપસીનો ખળભળાટ વધવા લાગ્યો હતો. એવામાં રાજીવ ગાંધીની હત્યાના 7 વર્ષ પછી ગાંધી પરિવારની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ. સીતારામ કેસરીને હટાવીને સોનિયા ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સોનિયા ગાંધીએ પાર્ટીની રાજકીય દશા અને દિશા પર મંથન-ચિંતન કરવા માટે મધ્ય પ્રદેશના પંચમઢીમાં ચિંતન શિબિરનું આયોજન કર્યું. જયાં કોંગ્રેસે એકલો ચાલોની નીતિ નક્કી કરી. જેનું પરિણામ એ આવ્યું કે 1998માં કોંગ્રેસને 141 બેઠક મળી હતી. અને 1999માં તે ઘટીને 114 સુધી પહોંચી ગઈ. 24 પક્ષની સાથે બીજેપી સત્તા પર આવ્યું. અટલબિહારી વાજપેયી 1999માં પાંચ વર્ષ માટે પ્રધાનમંત્રી બન્યા અને મજબૂત નેતા તરીકે સામે આવ્યા. એટલે કે બીજી ચિંતન શિબિર પણ કોંગ્રેસ માટે ફ્લોપ સાબિત થઈ.

2003માં ગઠબંધનથી નીકળ્યો જીતનો મંત્ર
એકલો ચલોની નીતિથી કોંગ્રેસને લાગ્યું હતું કે હવે જો કોંગ્રેસે ગઠબંધન રાજનીતિને નહીં અપનાવી તો ક્યારેય સત્તામાં વાપસી નહીં કરી શકે. આથી કોંગ્રેસે વર્ષ 2003માં શિમલા ચિંતન શિબિરમાં પંચમઢીની નીતિને પલટી નાંખી. આ ચિંતન શિબિરમાં કોંગ્રેસે એકલો ચલોની નીતિ છોડીને ગઠબંધનની રાજનીતિના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસે સામાન્ય વિચારધારાવાળા પક્ષની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ કેન્દ્રમાં સરકાર બનાવવામાં સફળ થઈ. 2004થી 2014 સુધી કોંગ્રેસ સત્તામાં રહી અને મનમોહન સિંહ પ્રધાનમંત્રી રહ્યા. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસને 2003માં ચિંતન શિબિરથી રાજકીય લાભ મળી શકે છે.

જયપુરની ચિંતન શિબિરથી કોઈ ફાયદો થયો નહીં
કોંગ્રેસે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં જાન્યુઆરી 2013માં જયપુરમાં ચિંતન શિબિર આયોજિત કરી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને મહાસચિવમાંથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે જયપુરની ચિંતિન શિબિરમાં નિર્ણય કર્યો કે પ્રદેશ અધ્યક્ષ અને જિલ્લાધ્યક્ષ લોકસભા કે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. જોકે ચિંતન શિબિરમાં તેના પર ચર્ચા થઈ નહીં કે 10 વર્ષની સત્તા વિરોધી લહેરને કેવી રીતે નિષ્પ્રભાવી બનાવી શકાય અને કેવી રીતે મોદી લહેરને રોકી શકાય. તેનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસનું પરફોર્મન્સ સૌથી નીચે જતું રહ્યું અને કોંગ્રેસ સદનમાં વિરોધ પક્ષના નેતા તરીકેનું સ્થાન પણ મેળવી શકી નહીં.

શું ઉદયપુરથી કોઈ જાદુઈ ચિરાગ નીકળશે
કોંગ્રેસ 2014થી લઈને અત્યાર સુધી ડઝન કરતાં વધારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હારી ચૂકી છે અને લોકસભા 2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસ છેલ્લાં 8 વર્ષથી કેન્દ્રની સત્તાથી બહાર છે અને દેશના માત્ર બે જ રાજ્યમાં તેના મુખ્યમંત્રી છે. એવામાં તમામ યુવા નેતા પાર્ટીનો સાથ છોડી ચૂક્યા છે. આ સ્થિતિમાં કોંગ્રેસ ઉદયપુરમાં ચિંતન શિબિર કરી રહી છે. જ્યાં 2024ની ચૂંટણી માટે જીતનો મંત્ર શોધશે. ચિંતન શિબિરમાં પાર્ટી અલગ-અલગ મુદ્દા પર વિચાર-મંથન અને મનોમંથન કરશે. ત્યારે એ જોવાનું રહેશે કે શું પાંચમી ચિંતન શિબિર કોંગ્રેસ માટે કોઈ જાદુઈ ચિરાગ સાબિત થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post