કેપ્ટનથી નારાજ 40 MLAના પત્ર બાદ આજે ધારાસભ્ય દળની બેઠક
પંજાબ કોંગ્રેસમાં હંગામો હવે એટલી હદે વધી ગયો છે કે
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની ખુરશી જોખમમાં હોવાનું જણાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટનનું રાજીનામું માગી લીધું છે. આ સિવાય સાંજે થનારી
ધારાસભ્ય દળની બેઠકમાં નવા નેતાની પસંદગી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે કેપ્ટન
ગ્રુપ આ વાત નકારી રહ્યું છે, પરંતુ સિદ્ધુ ગ્રુપમાં વધી રહેલી કાર્યવાહીથી એનો અંદાજ
લગાવી શકાય છે.
મોટો સવાલ એ થઈ ગયો છે કે સન્માનજનક વિદાય માટે કેપ્ટન
અમરિંદર સિંહ રાજીનામું આપશે અથવા ધારાસભ્યો પક્ષની બેઠકમાં જ અવિશ્વાસ પ્રસ્તાવ
આપશે. કેપ્ટને અંદાજે 2 વાગે તેમના ગ્રુપની બેઠક બોલાવી છે અને ધારાસભ્યોને આવવા કહ્યું છે.
કેપ્ટનથી નાખુશ 40 ધારાસભ્યના પત્ર પછી
કોંગ્રેસ હાઈકમાન્ડે એક મોટો નિર્ણય લેતાં આજે સાંજે 5 વાગ્યે ચંદીગઢમાં પંજાબ
કોંગ્રેસ ભવનમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.
પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધીને મળ્યા
બાદ શુક્રવારે મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય દળની બેઠક અંગે માહિતી આપી
છે. આજની બેઠકમાં અજય માકન અને હરીશ ચૌધરી કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહેશે. આ
બેઠક બાદ રિપોર્ટ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે.
કેપ્ટન સામે અવિશ્વાસ
પ્રસ્તાવની તૈયારી
એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક હાઇકમાન્ડના 18-પોઇન્ટ ફોર્મ્યુલા વિશે
છે, પરંતુ બળવાખોરોનું વલણ જોતાં એ સ્પષ્ટ છે કે તેના દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ
લાવવાની તૈયારી છે. બળવાખોર જૂથ દ્વારા હરીશ રાવત પર પણ સવાલ ઉઠાવાયા હતા. આવી
સ્થિતિમાં બે નિરીક્ષકોને આજની બેઠક માટે મોકલવામાં આવી રહ્યા છે, જેથી બાદમાં કોઈને
પ્રશ્નો ઉઠાવવાની તક ન મળે.
કેપ્ટને તેના નજીકના
ધારાસભ્યને બોલાવ્યા
ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે એ બાબતે જાણ થતાં જ કેપ્ટન અમરિંદર
સિંહે તેમના નજીકના ધારાસભ્યોને પણ સિસવા ફાર્મ હાઉસમાં બેઠક માટે બોલાવ્યા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે અહીં બળવાખોર જૂથ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની
સ્થિતિમાં તેની સામે લડવા માટેની એક યોજના તૈયાર કરવામાં આવશે.
આવતા વર્ષે ચૂંટણી છે, તેથી વિવાદ સમાપ્ત
કરવાનો પ્રયાસ થશે
નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા ત્યારથી કોંગ્રેસમાં હંગામો
ચાલી રહ્યો છે. ખાસ કરીને કેપ્ટનના વિપક્ષી જૂથે બીજી વખત મોરચો ખોલ્યો છે, જ્યારે આવતા વર્ષે
વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ઈચ્છશે કે આ મામલો વહેલી તકે
ઉકેલાય. જોકે કેપ્ટન સામે બળવો કરવાની દરેક શરત અત્યારસુધી નિષ્ફળ રહી છે. આવી
સ્થિતિમાં હવે સિદ્ધુ કેમ્પ સંપૂર્ણ જોર લગાવશે કે આજની બેઠકમાં જ કેપ્ટનને ખુરશી
પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે.
મોટો પ્રશ્ન- જો
કેપ્ટનને હટાવી દેવામાં આવે તો કોને કમાન મળશે?
જો બળવાખોર જૂથ કેપ્ટન અમરિંદર સિંહ પર ભારે પડશે અને તેમણે ખુરશી છોડવી પડી
તો પંજાબ કોંગ્રેસ સમક્ષ મોટો પ્રશ્ન એ હશે કે આ કમાન કોને સોંપવી જોઈએ. જોકે
બળવાખોર જૂથનું નેતૃત્વ કરનારા સુખજિંદર રંધાવા પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવે
છે, પરંતુ આમ કરવાથી કેપ્ટન ગ્રુપના ધારાસભ્યો નારાજ થશે.
પંજાબમાં અત્યારે મુખ્યમંત્રી અને પક્ષના વડા (સિદ્ધુ) બંને
શીખ ચહેરા છે. આનાથી હિન્દુઓ અને શીખોની સંવાદિતાનું રાજકીય ગણિત ખોરવાઈ ગયું છે.
આવી સ્થિતિમાં ચર્ચા છે કે શું કોઈ હિન્દુ ચહેરાને 5 મહિના માટે
મુખ્યમંત્રીની ખુરશી આપી શકાય છે? આવી સ્થિતિમાં સુનીલ જાખડનું નામ સામે આવી રહ્યું છે.
પૂર્વ મંત્રી લાલ સિંહ પણ આ દિવસોમાં કેપ્ટનની નજીક રહ્યા
છે. બીજી તરફ, સાંસદ પ્રતાપ સિંહ બાજવા પણ લાંબા સમયથી ખુરશી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આ
સિવાય રાજીન્દર કૌર ભટ્ટલ પર પણ નજર બનેલી છે, જે પહેલાં પણ સીએમ રહી
ચૂક્યાં છે.