રાહુલ ગાંધી જમીનથી કપાયેલા સિનિયર નેતાઓને હાંશિયામાં નાખી દેવાનો સીધો સંદેશ આપવામાં મહદ અંશે સફળ
કોંગ્રેસ
ફરી એકવાર દેશને મજબૂત વિપક્ષ તરીકેનો સંદેશ આપવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ
કાર્યસમિતિની બેઠક ચાર મુદ્દાઓ અંગે યોજાઈ જેમાં કોરોના સંકટ, નબળું અર્થતંત્ર, બેરોજગારી અને ચીનની
ઘૂસણખોરી સામેલ છે. પણ પરસ્પર મતભેદોને કારણે મામલો પાર્ટીના નેતૃત્વ પર જ સમેટાઈ
ગયો. જોકે રાહુલ ગાંધી જમીનથી કપાયેલા સિનિયર નેતાઓને હાંશિયામાં નાખી દેવાનો સીધો
સંદેશ આપવામાં મહદ અંશે સફળ રહ્યા. સંદેશ સ્પષ્ટ છે કે હવે એક નવી કોંગ્રેસ ઊભી
થશે, જે આવનારા સમયમાં રાહુલ
ગાંધીના નેતૃત્વનો આધાર તૈયાર કરશે. આ અભિયાન આગામી અધિવેશન સુધી પૂર્ણ થશે.
રાહુલે
કાર્યસમિતિમાં ભાષણની શરૂઆતમાં એ જ વાત કહી જે 2019ની ચૂંટણીમાં પરાજયની
જવાબદારી સ્વીકારતાં પદ છોડતા સમયે કહી હતી. તેમનો આશય એટલો જ હતો કે મેં તો
જવાબદારી સ્વીકારી પદ છોડી દીધું, બાકી લોકોએ શું કર્યુ? ખરેખર 2019માં પરાજય બદલ ફક્ત
રાહુલે જ જવાબદારી સ્વીકારી હતી. બાકીના ટોચના નેતા ચૂપચાપ વચગાળાના અધ્યક્ષ
સોનિયાની પડખે ઊભા થઈ ગયા હતા. આ તથાકથિત મોટા નેતા યથાસ્થિતિ જ ઈચ્છતા હતા. જોકે
રાહુલ સમર્થકોને આશા હતી કે 10 ઓગસ્ટે નેતૃત્વ બદલાશે, પણ 14 ઓગસ્ટે રાજસ્થાન સરકાર
સંકટને લીધે તેને ટાળવું પડ્યું.
આ
દરમિયાન કેટલાક મોટા નેતાઓને ખુદ પર સંકટ આવતું દેખાયું. વકીલ બ્રિગેડની
આગેવાનીમાં 150
નેતાઓનો
સીધો સંપર્ક કરાયો. 23
નેતાઓના
હસ્તાક્ષર સાથે પત્ર લખાયો. બેઠકના એક દિવસ પહેલાં તેને લીક પણ કરાયો. તેનો ઉદ્દેશ્ય
સ્પષ્ટ હતો કે મોદીનું સમર્થન કરી યુવાઓએ રાહુલની યુવા અપીલ ફગાવી દીધી છે. ધરખમ
ફેરફારની માગનો ઉદ્દેશ્ય એ જ હતો કે કમાન રાહુલના હાથમાં ન આવે કેમ કે તે સતત એ
વાત પર અડગ છે કે 2019ના પરાજયની જવાબદારી
ફક્ત તેમના જ માથે કેમ આવી?
આ
દરમિયાન જ પુસ્તક પણ આવી ગયું જેમાં પ્રિયંકા ગાંધીએ એ વાતની વકીલાત કરી હતી કે
ગાંધી પરિવારથી બહારના અધ્યક્ષ જ પાર્ટીના હિતમાં છે અને તેમના ભાઈ પણ એ વાતથી
સંમત છે.