• Home
  • News
  • રાજ્યના શિક્ષકો-એસ.ટીના કર્મચારીઓ CM રાહત ફંડમાં એક દિવસનો પગાર આપશે, કોંગ્રેસના તમામ MLAની રૂ.10-10 લાખની મદદ
post

સરકારી શાળાના શિક્ષકો એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45.34 કરોડની સહાય કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-26 09:24:41

અમદાવાદઃ કોરોના વાઈરસ ધીમે ધીમે ગુજરાતને ભરડામાં લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એકનું મોત પણ થઈ ચૂક્યું છે. જેને પગલે અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ અને રાજકારણીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી રહી છે. આજે કોંગ્રેસના 68 ધારાસભ્યોએ ધારાસભ્ય દીઠ રૂ.10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે રાજ્યના પ્રાથમિક શાળાઓના શિક્ષકો, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો  અને ગુજરાત એસ.ટીના 40 હજાર કર્મચારીઓએ એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત નિધિમાં આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં શિક્ષકો એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45.34 કરોડની રકમ જમા કરાવશે.


કોંગ્રેસના 68 ધારાસભ્યો રૂ.10-10 લાખ આપશે
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના 68 ધારાસભ્યો દ્વારા રૂપિયા 10-10 લાખની રકમ ફાળવવામાં આવી છે, જે અંતર્ગત કલેક્ટરને પત્ર દ્વારા જાણ કરી છે. 


કોરોનાની મહામારી સામે લડવા કોંગ્રેસના 68 ધારાસભ્યોએ જરૂરી સાધનો, મેડિકલ કીટ તથા સંસાધનો માટે તાત્કાલિક 10-10 લાખ રૂપિયા જનતા માટે ફાળવી તંત્રને ઝડપથી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. 

રાજ્યના 2 લાખ 76 હજાર શિક્ષકો એક દિવસનો પગાર આપશે
કોરોના વાઈરસની સંક્રમણની પરિસ્થિતિમાં રાજ્ય સરકારને સહાયરૂપ બનવા રાજ્યના પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ તેમનો એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત નિધિમાં જમા કરાવવાનો નિર્ણય લીધો છે.

આ શિક્ષકો એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45. 34 કરોડની રકમ જમા કરાવશે.
 
રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત નગરપાલિકાઓ હસ્તકની પ્રાથમિક શાળાઓના અંદાજે 2.13 લાખ પ્રાથમિક શિક્ષકો તેમના એક દિવસના પગારની રૂપિયા 34.20 કરોડની રકમ મુખ્યમંત્રીની રાહત નિધિમાં જમા કરાવશે. જ્યારે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 63,000 શિક્ષકો એક દિવસના પગાર પેટે રૂપિયા 11.16 કરોડ સાથે કુલ રૂપિયા 45 .34 કરોડની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષક સમુદાયને એક દિવસના પગારની રકમ મુખ્યમંત્રીના રાહત ફંડમાં જમા કરાવી સહાયરૂપ બનવાની સંવેદના દર્શાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post