• Home
  • News
  • કોરોનાની અત્યંત ભયજનક સ્થિતિ, રોકેટ ગતિથી વધી રહ્યો છે મૃત્યુઆંક, નવા 3.79 લાખથી વધુ કેસ
post

દેશમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. દૈનિક કેસનો આંકડો તો વધી જ રહ્યો છે પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં જે રીતે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે તે ચિંતાજનક બાબત છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-29 11:47:00

નવી દિલ્હી: દેશમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. દૈનિક કેસનો આંકડો તો વધી જ રહ્યો છે પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં જે રીતે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.79 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં 3645 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

એક જ દિવસમાં 3.79 લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ સમગ્ર દેશમાં કોરોના વાયરસના નવા  3,79,257 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,50,86,878 લોકો રિકવર થયા છે. જ્યારે 30,84,814 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાથી 3645 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃતકોની સંખ્યા 2,04,832 થઈ છે. દેશમાં એક જ દિવસમાં 2,69,507 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. રસીકરણ અભિયાન હેઠળ 15,00,20,648 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે. 

બુધવારે 17 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ 28,44,71,979 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 17,68,190 ટેસ્ટ બુધવારે કરવામાં આવ્યા હતાં. 

દિલ્હીમાં પ્રતિબંધોની કોઈ અસર નહી!
રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોના વાયરસના નવા 25,986 દર્દીઓ નોંધાયા. એક જ દિવસમાં સંક્રમણના કારણે 368 લોકોએ જીવ ગુમાવવા પડ્યા. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ નવા કેસની સાથે જ રાજધાનીમાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા 10,53,701 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 14,616 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્થિતિ વિકટ
મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો લાગુ હોવા છતાં કોરોનાની ગતિ ધીમી પડવાનું નામ લેતી નથી. બુધવારે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે બહાર પાડેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના નવા 63,309 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 44,73,394 અને મૃતકોનો આંકડો 67,214 પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં રાજ્યમાં 985 લોકોના કોરોનાથી મોત થયા. 

ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો
ગુજરાતની વાત કરીએ તો રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બુધવારે બહાર પડેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના નવા 14120 દર્દીઓ નોંધાયા છે. એક જ દિવસમાં 174 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે 8595 દર્દીઓ રિકવર પણ થયા. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 5740 અને ત્યારબાદ સુરતમાં 2116 નવા દર્દીઓ નોંધાયા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post