• Home
  • News
  • Covid-19 Updates: નવા કેસમાં ઘટાડો પણ કોરોનાથી સતત વધી રહેલો મોતનો આંકડો ડરામણો, જાણો લેટેસ્ટ અપડેટ
post

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી થયેલા મોતના આંકડાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-18 10:40:01

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાં મોતના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી થયેલા મોતના આંકડાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે નવા કેસમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.63 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 4300થી વધુ મોત થયા છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.63 લાખથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona) ના નવા 2,63,533 દર્દીઓ નોંધાયા છે.  આ સાથે કુલ કેસનો આંકડો 2,52,28,996 પર પહોંચી ગયો છે. જો કે એક જ દિવસમાં 4,22,436 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,15,96,512  થઈ છે. હાલ 33,53,765 દર્દીઓ સારવાર હેઠળ છે. ચિંતાજનક વાત એ છે કે દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4329 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો  2,78,719 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 18,44,53,149 લોકોને રસી અપાઈ છે. 

મોતના આંકડાએ તમામ રેકોર્ડ તોડ્યા
ભારતમાં કોવિડ-19ના નવા કેસમાં ભલે ઘટાડો થયો હોય પરંતુ મોતના આંકડા ડરામણા છે. છેલ્લા 24 કલાકમાં 4329 લોકોએ કોરોનાથી પોતાના જીવ ગુમાવ્યા. જે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. આ અગાઉ 12મી મેના રોજ સૌથી વધુ મોત થયા હતા ત્યારે 4205 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. 

મહારાષ્ટ્રમાં નવા કેસની સાથે મોતના આંકડામાં પણ ઘટાડો
કોરોના વાયરસની બીજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં નવા કેસની સાથે સાથે મોતના આંકડામાં પણ ભારે ઘટાડો થયો છે. રાજ્યમાં સોમવારે 26616 નવા કેસ નોંધાયા. જ્યારે 516 લોકોના એક દિવસમાં કોરોનાથી મોત થયા. આ અગાઉ રવિવારે 24 કલાકમાં 34389 નવા  કેસ નોંધાયા હતા અને 974 લોકોના મોત થયા હતા. 

ગુજરાતમાં નોંધપાત્ર ઘટાડો
ગુજરાતમાં પણ કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7135 નવા કેસ નોંધાયા છે. જ્યારે 81 લોકોએ એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા. રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક દિવસમાં 12342 દર્દીઓ રિકવર થયા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post