• Home
  • News
  • Cyclone Yaas Live Updates: ઓડિશાના કાંઠા વિસ્તારો પર ત્રાટક્યું વાવાઝોડું યાસ, લેન્ડફોલ બાદ ભારે વરસાદ
post

પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કાંઠા વિસ્તારો પર વાવાઝોડા યાસનું જોખમ તોળાઈ રહ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-26 11:59:49

Cyclone Yaas Latest News: હવામાન ખાતાના જણાવ્યા મુજબ યાસ ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે અને તે ઓડિશાના કાંઠા વિસ્તારો સાથે ટકરાયું છે. ચક્રવાતી તોફાન યાસની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યો પર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ખુબ પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. 

ઓડિશાના ભદ્રક જિલ્લામાં ધામરામાં રહેણાંક વિસ્તારોમાં સમુદ્રના પાણી ભરાઈ ગયા છે. તોફાનની લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જેને પૂરી થતા લગભગ 3 કલાકનો સમય લાગશે. 

વહેલી સવારે જ્યારે અપડેટ આવ્યા હતાં ત્યારે આ વાવાઝોડું પારાદ્વિપથી 90 કિમી દૂર હતું. જ્યારે ઓડિશાના ધર્માથી 60 કિમી દૂર અને પશ્ચિમ બંગાળના દીઘાથી 100 કિમી દૂર હતું. તે સિવિયર સાયક્લોનમાં ફેરવાઈ ચૂક્યું હતું.. યાસ આજે બપોર સુધીમાં ઉત્તર ઓડિશા તટ નજીક ધામરા અને બાલાસોના દક્ષિણ પાસે પહોચવાની આગાહી કરાઈ હતી. જો કે 11 વાગ્યાની આસપાસ તે ઓડિશાના કાંઠા વિસ્તારો પર ટકરાયું.. આ દરમિયાન યાસ ખુબ ગંભીર ચક્રવાતી તોફાનના સ્વરૂપ ધારણ કરેલું છે. 

ચક્રવાતી તોફાન યાસની અસરના કારણે પશ્ચિમ બંગાળના મેદિનીપુર, બાકુરા, ઝારગ્રામ, સાઉથ 24 પરગણા, કોલકાતા, અને નાદિયામાં કેટલીક જગ્યાએ હળવાથી ભારે વરસાદ, કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. 

યાસની અસર ઝારખંડમાં પણ જોવા મળી રહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે અને આવતી કાલે ઝારખંડના કેટલાક સ્થળો પર હળવાથી ભારે વરસાદ, કેટલાક સ્થળોએ ભારે અને ક્યાંક ખુબ ભારે વરસાદ પડી શકે છે. 

પશ્ચિમ બંગાળમાં કરન્ટ લાગવાથી 2 લોકોના મોત
પ.બંગાળમાં વાવાઝોડા યાસના કારણે કેટલાક અકસ્માત પણ સર્જાયા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના હાલિશહેરમાં 40 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. બીજી ઘટના ચિનસરાહમાં ઘટી છે. જ્યાં કેટલાક ઘરોને નુકસાન થયું છે. હુગલી જિલ્લાના પાંડુઆમાં કરન્ટ લાગવાથી 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

બંગાળમાં 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
ઓડિશાના ભુવનેશ્વરમાં રાહત પેકેટ તૈયાર થઈ રહ્યા છે. જ્યારે રિલિફ કેમ્પ સુધી સતત લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે. ભદ્રકમાં એનડીઆરએફએ મોરચો સંભાળેલો છે અને લોકોને વાવાઝોડાથી બચાવવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. ઓડિશાની જેમ બંગાળમાં પણ લોકોને રિલિફ કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 10 લાખ લોકોને સમુદ્ર કિનારાવાળી જગ્યાઓથી ખસેડીને 4000 જેટલા રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે. દોઢ લાખ લોકો તો પૂર્વ મેદિનીપુરમાં જ સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. અત્યાર સુધીમાં કુલ 14 જિલ્લાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. 

કોલકાતા-ભુવનેશ્વર એરપોર્ટ બંધ
તોફાનની આશંકાને પગલે કોલકાતાથી ચેન્નાઈ જનારો રસ્તો આજ બપોરે 12 વાગ્યા સુધી બંધ કરાયો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના કોલકાતા અને ઓડિશાના ભુવનેશ્વર એરપોર્ટને પણ આજે બંધ કરાયું છે. 

યાસનો કહેર ક્યાં વધુ જોવા મળશે
યાસ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા, અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. ઓડિશાના પુરી, જગતસિંહગપુર, ખુર્દા, કટક, ભદ્રક, બાલાસોર, ગંજમ અને મયૂરગંજમાં તોફાન વધુ ખતરનાક બની શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, હુગલી, મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, અને ઉત્તર 24 પરગણામાં તોફાન તબાહી મચાવી શકે છે. આ ઉપરાંત સમગ્ર પૂર્વ ભારતને અલર્ટ રાખવામાં આવ્યું છે. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા ઉપરાંત ઝારખંડ અને બિહારમાં અસર પડવાની છે. જ્યારે દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં તોફાન સૌથી વધુ નુકસાન કરી શકે છે. જ્યારે આંદમાન અને નિકોબારમાં પણ તોફાન તબાહી મચાવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post